Lok Saha Election Result 2024 on Mohan Bhagwat : લોકસભા ચૂંટણીના પરિણામો બાદ પહેલીવાર આરએસએસ ચીફ મોહન ભાગવત તરફથી કોઈ પ્રકારની ટિપ્પણી આવી છે. આરએસએસના વડાએ સોમવારે કહ્યું હતું કે, સાચા સેવકમાં અહંકાર હોતો નથી અને તે બીજાને નુકસાન પહોંચાડ્યા વિના કામ કરે છે. તાજેતરમાં યોજાયેલી ચૂંટણી દરમિયાન પ્રચારનો ઉલ્લેખ કરતાં તેમણે કહ્યું હતું કે, આ સમયગાળા દરમિયાન ‘શિષ્ટતા જળવાઈ નથી’.
RSS કાર્યકર્તાઓ માટે પ્રશિક્ષણ શિબિરના સમાપન પછી એક સભાને સંબોધતા ભાગવતે ‘સહમતિ’ની જરૂરિયાત પર પણ ભાર મૂક્યો હતો.
આ દરમિયાન મોહન ભાગવતે કહ્યું, “સાચો સેવક જે હોય છે, જેને વાસ્તવિક સેવા કહી શકાય, તે ગૌરવ સાથે કામ કરે છે. જે આ બધી મર્યાદાઓનું પાલન કરે છે, કાર્ય કરે છે પણ કાર્યમાં વ્યસ્ત નથી થતો, તેને અહંકાર નથી હોતો, જેણે આ રીતે કર્યું છે અને તેને જ સાચો સેવક કહેવાનો પણ અધિકાર છે.
RSS ચીફનું નિવેદન કેમ ચર્ચામાં છે?
આરએસએસ ચીફની આ ટિપ્પણી એવા સમયે આવી છે, જ્યારે ભાજપે નવા કેબિનેટની જાહેરાત કરી છે અને આરએસએસ પરિણામો પછીની સ્થિતિ અંગે ચર્ચામાં વ્યસ્ત છે. મોહન ભાગવતે કહ્યું કે, ચૂંટણીને યુદ્ધ તરીકે ન જોવી જોઈએ.
તેમણે કહ્યું, “જે પ્રકારની વાતો કહેવામાં આવી હતી, જે રીતે બંને પક્ષોએ (ચૂંટણી દરમિયાન) એકબીજા પર આક્ષેપો અને પ્રતિ-આક્ષેપો કર્યા હતા. જે રીતે કોઈએ તેની પરવા કરી ન હતી કે, જે થઈ રહ્યું છે તે સામાજિક વિભાજન પેદા કરી રહ્યું છે અને કોઈપણ કારણ વિના સંઘને તેમાં ખેંચવામાં આવ્યો છે, જુઠ્ઠાણા ફેલાવવામાં આવ્યા હતા.
મણિપુર પર ચિંતા વ્યક્ત કરી
મોહન ભાગવતે મણિપુર મુદ્દે ચિંતા વ્યક્ત કરી અને પૂછ્યું કે, પાયાના સ્તરે આ સમસ્યા પર કોણ ધ્યાન આપશે? તેમણે કહ્યું કે, આ સમસ્યાને પ્રાથમિકતાના ધોરણે ઉકેલવી પડશે.
આ પણ વાંચો – Modi Cabinet 2024 Ministers – Ministries : મોદી સરકાર કેબિનેટ મંત્રીઓ : કોને કયું મંત્રાલય મળ્યું? જુઓ સંપૂર્ણ લિસ્ટ
ભાગવતે કહ્યું, “મણિપુર છેલ્લા એક વર્ષથી શાંતિ માટે રાહ જોઈ રહ્યું છે. છેલ્લા એક દાયકાથી તે શાંતિપૂર્ણ હતું. એવું લાગતું હતું કે, જાણે જૂના જમાનાનું ગન કલ્ચર જતું રહ્યું. પરંતુ તે ફરી શરૂ થયું છે. મણિપુર હજુ પણ સળગી રહ્યું છે. આ તરફ કોણ ધ્યાન આપશે? અગ્રતાના ધોરણે તેનો સામનો કરવો એ અમારી ફરજ છે.