NEET-UG Row: નીટ-યુજી વિવાદમાં પહેલી એફઆઈઆર નોંધવામાં આવી છે. સીબીઆઈએ 24 કલાકની અંદર આ મોટી કાર્યવાહી કરી છે. શનિવારે રાત્રે કેન્દ્ર સરકારે મોટો નિર્ણય લઈને આ વિવાદની તપાસ સીબીઆઈને સોંપી હતી. હવે અહેવાલ છે કે તપાસ એજન્સીએ તાત્કાલિક કાર્યવાહી કરીને પ્રથમ એફઆઈઆર દાખલ કરી છે.
આમ જોવા જઈએ તો આ કાર્યવાહી એવા સમયે કરવામાં આવી છે જ્યારે કેન્દ્રએ પણ 5 મે ના રોજ યોજાયેલી પરીક્ષામાં કેટલીક ગેરરીતી, છેતરપિંડી થઈ હોવાની વાત સ્વીકારી છે.
સીબીઆઈ કેવી રીતે કરશે તપાસ?
હાલ તો કહેવામાં આવી રહ્યું છે કે સીબીઆઇ પોતાની બે ટીમને બિહાર અને ગુજરાત મોકલવા જઇ રહી છે. એક મોટા ષડયંત્રને જોતા તપાસ એજન્સી પહેલા આ બંને રાજ્યોમાંથી પોતાની તપાસ શરૂ કરવા માંગે છે. ત્યાર બાદ અન્ય રાજ્યોમાં પણ તપાસ કરવામાં આવશે અને ઘણી ધરપકડો પણ જોવા મળી શકે છે. જાણકારી માટે જણાવી દઈએ કે છેલ્લા ઘણા દિવસોથી આ નીટ વિવાદને લઈને પણ અનેક ખુલાસાઓ આવી જ રીતે થઈ રહ્યા છે.
વિદ્યાર્થીઓ શું સવાલો ઉઠાવી રહ્યા છે?
બિહાર હવે આ સમગ્ર કેસનું એપીસેન્ટર બની ગયું છે જ્યાં સૌથી વધુ ધરપકડ કરવામાં આવી છે. કથિત પેપર લીકના જે આરોપો લાગ્યા છે તેમાં બિહારની ભૂમિકા પણ સામે આવી છે. આ સિવાય આ પરીક્ષામાં ઘણી એવી ગરબડીઓ સામે આવી છે જેમણે વિદ્યાર્થીઓને આક્રોશિત કરવાનું કામ કર્યું છે.
આ પણ વાંચો – નીટ યુજી પેપર લીક પાછળ મોટી ગેંગ, અનેક પુરાવા, બિહાર EOU ટીમે કેન્દ્રને સોંપેલા રિપોર્ટમાં સ્ફોટક માહિતી
એક સાથે આટલા બધા વિદ્યાર્થીઓ પરીક્ષામાં કેવી રીતે ટોપ પર આવ્યા? કયા આધારે ઘણા વિદ્યાર્થીઓને ગ્રેસ માર્ક્સ આપવામાં આવ્યા?કેટલાક વિદ્યાર્થીઓ ઊંચા માર્ક્સ મેળવ્યા પછી પણ રેન્કિંગમાં ઘણા પાછળ રહી ગયા? આ પ્રશ્નો આ સમયે વિવાદનું કારણ બન્યા છે અને એનટીએની કામગીરી પર ગંભીર પ્રશ્નો ઉભા કરી રહ્યા છે.
સરકારે શું પગલા ઉઠાવ્યા?
હવે આ સવાલો વચ્ચે સરકારે અનેક પગલાં ભર્યા છે. કેન્દ્ર સરકારના શિક્ષણ મંત્રાલયે એનટીએની કામગીરીની સમીક્ષા કરવા અને સુધારાની ભલામણ કરવા માટે 7 સભ્યોની પેનલની રચના કરી છે. આ પેનલનું નેતૃત્વ ઇસરોના પૂર્વ વડા કે.રાધાકૃષ્ણન કરશે.
આ પેનલમાં એઈમ્સ દિલ્હીના પૂર્વ ડાયરેક્ટર રણદીપ ગુલેરિયા, હૈદરાબાદ સેન્ટ્રલ યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર બી જે રાવ, આઈઆઈટી મદ્રાસના પ્રોફેસર એમરિટસ કે રામામૂર્તિ, આઈઆઈટી મદ્રાસના સિવિલ એન્જિનિયરિંગ વિભાગના પ્રોફેસર એમેરિટસ સામેલ છે. પીપલ સ્ટ્રોંગના સહ-સ્થાપક અને કર્મયોગી ભારત બોર્ડના સભ્ય પંકજ બંસલ, આઈઆઈટી દિલ્હીના વિદ્યાર્થી બાબતોના ડીન આદિત્ય મિત્તલ અને શિક્ષણ મંત્રાલયના સંયુક્ત સચિવ ગોવિંદ જયસ્વાલ પણ તેના સભ્યોમાં સામેલ છે.