PM Modi Birthday, નરેન્દ્ર મોદી જન્મદિવસ : RSSના સ્વયંસેવકથી લઈને PM બનવા સુધીની સફર, જાણો સરકારના કયા કયા નિર્ણયોની દેશ પર ઊંડી અસર પડી

PM Narendra Modi Birthday: વડાપ્રધાન મોદી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘથી લઈને ભાજપ સુધી, ગુજરાતના મુખ્યમંત્રીથી પ્રધાનમંત્રીની ખુરશી સુધી કેવી રીતે પહોંચ્યા, તેના વિશે અહીં જાણીશું

Written by Ashish Goyal
Updated : September 17, 2024 11:50 IST
PM Modi Birthday, નરેન્દ્ર મોદી જન્મદિવસ : RSSના સ્વયંસેવકથી લઈને PM બનવા સુધીની સફર, જાણો સરકારના કયા કયા નિર્ણયોની દેશ પર ઊંડી અસર પડી
PM Modi Birthday (નરેન્દ્ર મોદી જન્મદિવસ): પીએમ મોદીનું જીવન (ફાઇલ ફોટો)

PM Narendra Modi Birthday: વડા પ્રધાન નરેન્દ્ર મોદી 17 સપ્ટેમ્બર 2024ના રોજ 74 વર્ષના થશે. પીએમ મોદીના જન્મદિવસને ખાસ બનાવવા માટે દેશભરમાં અનેક સંસ્થાઓ દ્વારા મોટા પાયે કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. વિશ્વ વિખ્યાત દરગાહ અજમેર શરીફમાં 4000 કિલોના શાકાહારી લંગરનું પણ આયોજન કરવામાં આવ્યું છે. વડાપ્રધાન મોદી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘથી લઈને ભાજપ સુધી ગુજરાતના મુખ્યમંત્રી કેવી રીતે બન્યા અને પછી 2014માં પ્રધાનમંત્રીની ખુરશી સુધી પહોંચ્યા, આ એક લાંબી યાત્રા છે, જેના વિશે અહીં જાણીશું.

ગુજરાતના વડનગરના એક સાધારણ પરિવારમાં જન્મેલા નરેન્દ્ર મોદીએ બાળપણમાં પિતાને ચા વેચવામાં મદદ કરી હતી. નરેન્દ્ર મોદીઃ ધ મેન ધ ટાઇમ્સ નામના પુસ્તકમાં નિલંજન મુખોપાધ્યાય લખે છે કે વડનગર રેલવે સ્ટેશન પર મોદીના પિતાની ચા ની કીટલી હતી. આ પછી તેમણે પોતાના ભાઈ સાથે બસ સ્ટેન્ડ પાસે એક ચાની દુકાન પણ ચલાવી હતી.

મોદી ઘર છોડીને ચાલ્યા ગયા

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ માત્ર 17 વર્ષની ઉંમરે જ પોતાનું ઘર છોડીને આખા દેશમાં ફરવાનો નિર્ણય કર્યો હતો. ભારત યાત્રા દરમિયાન તેઓ હિમાલયમાં ગરુડચટ્ટી ખાતે રોકાયા તો પશ્ચિમ બંગાળના રામકૃષ્ણ આશ્રમની મુલાકાત લીધી અને પૂર્વોત્તરમાં પણ ગયા હતા. આ યાત્રાઓની નરેન્દ્ર મોદીના જીવન પર ઘણી અસર પડી હતી.

સંઘમાં જોડાવાનો નિર્ણય

narendramodi.in જણાવ્યા અનુસાર નરેન્દ્ર મોદી બે વર્ષ બાદ ઘરે પરત ફર્યા હતા, પરંતુ તેઓ અહીં માત્ર બે અઠવાડિયા જ રોકાયા હતા અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘમાં જોડાવા માટે ઘર છોડીને ચાલ્યા ગયા હતા. ત્યારે નરેન્દ્ર મોદીની ઉંમર માત્ર 20 વર્ષની હતી જ્યારે તેઓ આરએસએસમાં સામેલ થવા માટે અમદાવાદ પહોંચ્યા હતા. પિતા સાથે ચાના સ્ટોલ પર કામ કર્યું ત્યારે તેઓ આરએસએસના સંપર્કમાં આવ્યા હતા. સંઘના પ્રચારક તરીકે મોદીએ સમગ્ર ગુજરાતમાં પ્રવાસ ખેડ્યો હતો.

ડિસેમ્બર 1973માં ગુજરાતની એક એન્જિનિયરિંગ કોલેજના વિદ્યાર્થીઓએ વધેલા મેસ બિલ સામે વિરોધ નોંધાવ્યો ત્યારે તે આંદોલનમાં ફેરવાઈ ગયું અને તે નવનિર્માણ આંદોલન બની ગયું હતું. બાદમાં જેપી પણ આ આંદોલનમાં જોડાયા અને આ આંદોલન ઈન્દિરા ગાંધી સરકાર માટે મુસીબત બની ગયું હતું. જ્યારે ઈન્દિરા સરકારે ઈમરજન્સી લગાવી ત્યારે નરેન્દ્ર મોદીએ તેનો વિરોધ કર્યો હતો. ઇમરજન્સી દરમિયાન મોદીને ઘણા નેતાઓ અને કાર્યકર્તાઓ સાથે કામ કરવાની તક મળી હતી.

1988માં ગુજરાત ભાજપના સચિવ બન્યા

રાષ્ટ્રીય સ્વંયસેવક સંઘથી આગળ વધીને 1988માં નરેન્દ્ર મોદીને ભાજપના ગુજરાતના સંગઠન સચિવ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. આ સાથે જ તેમણે ચૂંટણીલક્ષી રાજકારણમાં પ્રવેશ કર્યો હતો. ભાજપના સંગઠનમાં નરેન્દ્ર મોદી ધીરે ધીરે આગળ વધ્યા અને 1990માં પૂર્વ નાયબ વડાપ્રધાન લાલકૃષ્ણ અડવાણીની અયોધ્યા રથયાત્રા અને 1991-92માં મુરલી મનોહર જોશીની એકતા યાત્રાના સંચાલનમાં મહત્વની ભૂમિકા ભજવી ત્યારે તેમને ઓળખ મળી હતી. આ પછી તેમણે રાજ્યોમાં પાર્ટી દ્વારા આપવામાં આવેલી જવાબદારીઓ નિભાવવાનું ચાલુ રાખ્યું હતું.

આ પણ વાંચો – પીએમ મોદીએ ગુજરાતને 8,000 કરોડથી વધુના વિકાસકાર્યોની ભેટ આપી, ગુજરાતીઓને આ બાબતે કર્યા સાવધ

2001માં મોદી બન્યા સીએમ

2001માં ભાજપે નરેન્દ્ર મોદીને ગુજરાતના મુખ્યમંત્રી પદ સંભાળવા માટે કહ્યું હતું. મોદી 2014 સુધી આ પદ પર રહ્યા. નરેન્દ્ર મોદીએ 2002, 2007 અને 2012ની વિધાનસભા ચૂંટણીમાં મુખ્યમંત્રી રહીને ભાજપને જીત અપાવી હતી. તેઓ આજે પણ ગુજરાતમાં ભાજપનો સૌથી મોટો ચહેરો છે, જેમના નામે પાર્ટીને ત્યાં વોટ મળે છે.

2014માં મોદી પીએમ બન્યા

નરેન્દ્ર મોદી આઝાદી બાદ પહેલા એવા બિન કોંગ્રેસી નેતા છે જે સતત ત્રણ વખત વડાપ્રધાન બન્યા છે. 2014ની લોકસભા ચૂંટણીમાં જ્યારે ભાજપે નરેન્દ્ર મોદીને વડાપ્રધાન પદનો ચહેરો બનાવ્યો હતો ત્યારે મોદીએ દેશભરમાં પાર્ટી અને એનડીએ માટે વ્યાપક પ્રચાર કર્યો હતો. રાજકીય વિશ્લેષકોના જણાવ્યા પ્રમાણે મોદી અને પાર્ટી સંગઠનની મહેનતનું જ પરિણામ હતું કે 2009ની લોકસભા ચૂંટણીમાં 116 બેઠકો જીતનાર ભાજપ 2014ની લોકસભા ચૂંટણીમાં 282 બેઠકોના આંકડા સુધી પહોંચી ગયું હતું. આ પછી ભાજપ પણ વિશ્વની સૌથી મોટી પાર્ટી બની ગઈ હતી.

ઘણા રાજ્યોમાં ભાજપની સરકાર બની

નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા બાદ ભાજપે તમામ રાજ્યોમાં ખૂબ જ આક્રમક રીતે લડત આપી અને એક પછી એક અનેક ચૂંટણીઓ જીતી. પાર્ટીએ હરિયાણા, ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ અને ડાબેરી બહુમતીવાળા ત્રિપુરામાં પણ સરકાર બનાવી હતી. પૂર્વોત્તરમાં પણ ભાજપનો કાફલો સતત વધી રહ્યો છે. 2019ની લોકસભા ચૂંટણીમાં ભાજપે નરેન્દ્ર મોદીને પોતાનો ચહેરો બનાવ્યો હતો અને પાર્ટીએ 303 બેઠકો જીતી હતી. ત્યારે ભાજપના આ પ્રદર્શને રાજકીય વિશ્લેષકોને પણ ચોંકાવી દીધા હતા. નરેન્દ્ર મોદીના કરિશ્માઈ નેતૃત્વને આની પાછળનું કારણ માનવામાં આવતું હતું.

2024માં પોતાના દમ પર બહુમત ન મળી

2024ની લોકસભા ચૂંટણીમાં નરેન્દ્ર મોદી ફરી ભાજપના ચૂંટણી પ્રચારનો ચહેરો બન્યા અને પાર્ટીએ પોતાના દમ પર 370 સીટો અને એનડીએને 400 સીટો જીતવાનો ટાર્ગેટ રાખ્યો હતો. નરેન્દ્ર મોદીએ ફરી એક વખત દેશભરમાં જોરશોરથી પ્રચાર કર્યો, પરંતુ ભાજપ પોતાના દમ પર બહુમત પણ મેળવી શકી નહીં. જોકે એનડીએ સાથી પક્ષોના જોરે પોતાની સરકાર બનાવવામાં સફળ રહી હતી.

વડાપ્રધાન બન્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તાબડતોડ વિદેશની મુલાકાત લીધી હતી. તેઓ પોતાના પ્રથમ અને બીજા કાર્યકાળમાં ઘણા દેશોના રાષ્ટ્રાધ્યક્ષો અને નેતાઓને મળ્યા હતા. છેલ્લા કેટલાક વર્ષોમાં વડાપ્રધાને જર્મની, રશિયા, ભૂટાન, શ્રીલંકા, બાંગ્લાદેશ, નેપાળ, જાપાન, સાઉદી અરેબિયા સહિત ઘણા દેશોની મુલાકાત લીધી છે.

સર્જિકલ સ્ટ્રાઈકથી લઈને 370ના અંત સુધી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીને છેલ્લા 10 વર્ષમાં નોટબંધીથી લઇને બાલાકોટ એર સ્ટ્રાઇકથી લઇને જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 ખતમ કરવા સુધીના મોટા નિર્ણયો માટે યાદ કરવામાં આવે છે. મોદી સરકારે ત્રણ તલાકની પ્રથાને નાબૂદ કરવા માટે કાયદો બનાવ્યો. લોકસભા અને તમામ રાજ્યોની વિધાનસભામાં મહિલાઓ માટે 33 ટકા અનામતનો અમલ પણ મોદી સરકારનો મોટો નિર્ણય માનવામાં આવે છે.

છેલ્લા 10 વર્ષમાં મોદી સરકાર દ્વારા પીએમ જનધન યોજના, સુકન્યા સમૃદ્ધિ યોજના, ઉજ્જવલા યોજના, પીએમ કિસાન સન્માન નિધિ, આયુષ્માન ભારત યોજના, પ્રધાનમંત્રી આવાસ યોજના, પ્રધાનમંત્રી મુદ્રા લોન યોજના જેવી અનેક મોટી યોજનાઓ શરૂ કરવામાં આવી છે. સરકારનો દાવો છે કે આ યોજનાઓથી દેશની જનતાને ઘણો ફાયદો થયો છે.

યુપીઆઈથી આસાન બની ખરીદદારી

દેશમાં યુપીઆઈ ડિજિટલ ક્રાંતિ લાવવાનો શ્રેય પણ મોદી સરકારને જાય છે. આ કારણે મોટા શહેરોથી લઈને અંતરિયાળ ગામડાઓ સુધી દેશભરમાં ઓનલાઈન ટ્રાન્ઝેક્શને વેગ પકડ્યો છે. યુપીઆઈએ ભારતમાં રોજિંદી ખરીદીને વધુ સરળ બનાવી દીધી છે.

રામ મંદિરનું નિર્માણ, 25 કરોડ લોકો ગરીબી રેખામાંથી બહાર આવ્યા

ભાજપના નેતાઓનું કહેવું છે કે મોદીના વડાપ્રધાન પદ દરમિયાન જ વર્ષોથી પડતર રામ મંદિર નિર્માણનો વિવાદ ઉકેલાઈ ગયો અને સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ અયોધ્યામાં ભવ્ય રામ મંદિર પણ બનાવવામાં આવ્યું. અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ, જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 ખતમ કરવાનો પણ ભાજપના ચૂંટણી એજન્ડામાં સમાવેશ કરવામાં આવ્યો હતો. આ બંને બાબતો નરેન્દ્ર મોદીના વડાપ્રધાન બન્યા પછી જ બની હતી. ભાજપનો દાવો છે કે વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં 25 કરોડથી વધુ લોકો ગરીબી રેખામાંથી બહાર આવ્યા છે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આ કાર્યકાળમાં ભારતને વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનાવવાનું લક્ષ્ય રાખ્યું છે. આ ઉપરાંત મોદી સતત 2047 સુધીમાં ભારતને વિકસિત દેશ બનાવવાની વાતનું પુનરાવર્તન કરતા રહ્યા છે. 2029માં વન નેશન વન ઈલેક્શન પણ મોદી સરકારના એજન્ડામાં સામેલ છે.

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ