PM Narendra Modi Donald Trump Meeting Highlights: ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે દ્વિપક્ષીય બેઠક થઇ છે. આ બેઠક દરમિયાન ઘણા મહત્વના મુદ્દાઓ પર ચર્ચા થઇ છે, જેમા ઘણા ક્ષેત્રોમાં સહયોગ વધારવા પર પણ ભાર મૂકવામાં આવ્યો. આ મંત્રણા દરમિયાન રશિયા યુક્રેન યુદ્ધ થી લઇ મુંબઇ હુમલાના માસ્ટર માઇન્ડ તહવ્વુર રાણાના પ્રત્યાર્પણ અને દ્વિપક્ષીય વેપાર સહિત ઘણા મુદ્દાઓ પર ચર્ચા થઇ છે. અહીં પીએમ મોદી અને ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચેની બેઠકના મુખ્ય 5 મુદ્દાઓ વિશે જાણકારી આપવામાં આવી છે.
એફ35 સ્ટેલ્થ ફાઇટર જેટ
સંરક્ષણ ક્ષેત્રે ભારત અને અમેરિકા વચ્ચે મોટો સોદો થયો છે. આ ડીલ હેઠળ હવે અમેરિકા ભારતને F35 સ્ટીલ્થ ફાઈટર જેટ આપશે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે આ વર્ષે જ અમે ભારત સાથે અમારા સૈન્ય વેચાણમાં ઘણો વધારો કરવા જઈ રહ્યા છીએ. જે હેઠળ હવે ભારતને F35 સ્ટેલ્થ ફાઇટર જેટ આપવામાં આવશે.
IMEC માટે ટ્રમ્પ તૈયાર
ભારત મધ્ય પૂર્વ યુરોપ ઈકોનોમિક કોરિડોર માટે અમેરિકા તૈયાર છે. હકીકતમાં, આ એક કોરિડોર છે, જેના દ્વારા રશિયા, અરેબિયન ગલ્ફ અને યુરોપ વચ્ચે આર્થિક એકીકરણ અને કનેક્ટિવિટીને જબરદસ્ત પ્રોત્સાહન આપી શકાય છે. આ માર્ગ દ્વારા આર્થિક વિકાસ પણ વધશે તેવું નિષ્ણાંતોનું માનવું છે. આ કોરિડોર ચીનના રોડ એન્ડ બેલ્ટ પ્રોજેક્ટના કાઉન્ટરમાં જોવા મળે છે તેના કારણે તેનું મહત્વ પણ વધી જાય છે.
દ્વિપક્ષીય વેપાર વધારવા પર ભાર
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી યુએસ અને અમેરિકા વચ્ચે વેપારને બમણો કરવા માટે સહમત થયા છે. હાલમાં ભારત અને અમેરિકા વચ્ચે 129.2 અબજ ડોલરનો વેપાર થાય છે, પરંતુ 2030 સુધીમાં આ આંકડો 500 અબજ ડોલર સુધી લઈ જવાનો છે.
અમેરિકા ઓઇલ અને ગેસ સપ્લાય કરશે
પીએમ મોદી અને ટ્રમ્પની મંત્રણા દરમિયાન, તેલ અને ગેસની ખરીદીને લઈને મોટી ડીલ થઈ છે. રાષ્ટ્રપતિ ટ્રમ્પે ભારપૂર્વક જણાવ્યું છે કે અમેરિકા ભારતનું તેલ અને ગેસનું સૌથી મોટું સપ્લાયર બનવા જઈ રહ્યું છે. ઊર્જાના ક્ષેત્રમાં સહયોગ ઐતિહાસિક રીતે વધારવામાં આવશે.
અમેરિકામાં વધુ બે દૂતાવાસ ખોલાશે
ટ્રમ્પ અને મોદી વચ્ચે બે નવા દૂતાવાસ ખોલવાને લઈને પણ મોટી જાહેરાત કરવામાં આવી છે. બોસ્ટન અને લોસ એન્જલસમાં ટૂંક સમયમાં બે દૂતાવાસો ખુલવા જઈ રહ્યા છે. આ અંગે પીએમ મોદીએ કહ્યું કે, આ દૂતાવાસોના કારણે ભારત અને અમેરિકાના સંબંધો મજબૂત થશે. પીએમ મોદીએ એ વાત પર પણ ભાર મૂક્યો કે અમેરિકામાં રહેતા ભારતીયો અમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે.
મુંબઈ આતંકવાદી હુમલાનો આરોપી તહવ્વુર રાણા ભારતને સોંપાશે
અમેરિકા 26/11 મુંબઈ આતંકવાદી હુમલાના આરોપી તહવ્વુર હુસૈન રાણા ભારતને સોંપશે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જાહેરાત કરી છે કે, રાણાને ટૂંક સમયમાં ભારત મોકલવામાં આવશે, જ્યાં તેને કાયદાકીય કાર્યવાહીનો સામનો કરવો પડશે. ભારત લાંબા સમયથી તહવ્વુર રાણાના પ્રત્યાર્પણની માંગ કરી રહ્યું હતું અને હવે અમેરિકન રાષ્ટ્રપતિએ તેને મંજૂરી આપી દીધી છે.
અમેરિકાની પરમાણુ ટેકનોલોજીને પ્રોત્સાહન આપવા માટે ભારત કાયદામાં ફેરફાર કરશે
વ્હાઇટ હાઉસ ખાતેની બેઠક બાદ, યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે, અમેરિકા ભારત સાથે અદ્ભુત વેપાર સોદા કરશે. અમેરિકા દ્વારા રેસિપ્રોકલ ટેરિફની જાહેરાત કર્યાના થોડા સમય પછી ટ્રમ્પ અને મોદી મળ્યા હતા. એવું કહેવામાં આવી રહ્યું છે કે રેસિપ્રોકલ ટેરિફની ભારત પર અસર થઇ શકે છે. ટ્રમ્પે કહ્યું કે ભારત અમેરિકન પરમાણુ ટેકનોલોજીના પ્રવેશને પ્રોત્સાહન આપવા માટે તેના કાયદાઓમાં સુધારો કરવા જઈ રહ્યું છે. તેમણે કહ્યું કે ઊર્જા પરનો આ મહત્વપૂર્ણ સોદો અમેરિકાને ભારતને તેલ અને કુદરતી ગેસનો મુખ્ય સપ્લાયર બનાવશે.