Delhi New CM Rekha Gupta: રેખા ગુપ્તા દિલ્હીના મુખ્યમંત્રી બન્યા છે. ભાજપ વિધાનસભા પક્ષના નેતા રેખા ગુપ્તા એ 20 ફેબ્રુઆરીના રોજ દિલ્હીના રામલીલા મેદાનમાં મુખ્યમંત્રી પદના શપથ ગ્રહણ કર્યા છે. જો કે શપથ ગ્રહણ પહેલા રેખા ગુપ્તાએ કહ્યું હતું કે, તેઓ પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના પૂર્વ સત્તાવાર નિવાસસ્થાન, જેને ભાજપ શીશ મહેલ કહે છે, તેમા રહેશે નહીં. તો કરોડો રૂપિયાના ખર્ચે તૈયાર કરાયેલા શીશ મહેલનું શું થશે તે અંગે લોકોના મનમાં પ્રશ્નો ઉદભવી રહ્યા છે.
શીશ મહેલનું શું થશે?
દિલ્હીના મુખ્યમંત્રી પદના શપથ ગ્રહણ પહેલા રેખા ગુપ્તાએ કહ્યું હતું કે, તેઓ પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના નિવાસસ્થાન જેને ભાજપ શીશ મહેલ કહે છે, તેમા રહેશે નહીં. તેને એક સંગ્રહાલયમાં ફેરવી દેશે. રેખા ગુપ્તાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવેલા તમામ વચનો પૂરા કરવાની ખાતરી પણ આપી હતી.
એનડીટીવી સાથે વાત કરતા રેખા ગુપ્તાએ કહ્યું કે, “અમે શીશ મહેલને એક સંગ્રહાલય બનાવીશું. તેમણે કહ્યું કે, અમે વડાપ્રધાન મોદી દ્વારા કરવામાં આવેલા તમામ વચનો પણ પૂરા કરીશું. આ પદ માટે મને પસંદ કરવા બદલ હું તેમનો આભાર માનું છું. ”
રેખા ગુપ્તા શીશ મહેલ માં નહીં રહે
રેખા ગુપ્તાએ અન્ય એક ન્યૂઝ ચેનલ સાથે વાત કરતા કહ્યું કે, “બિલકુલ નહીં. તે લોકોની મહેનતની કમાણીનો મહેલ છે. હું તેને લોકોને સમર્પિત કરીશ. લોકો જઈને તેને જોશે અને તેમને દરેક ક્ષણનો અહેસાસ થશે કે તેમના પૈસા ક્યાં ખર્ચાય છે. ”
શીશ મહેલને લઈને ભાજપનો અરવિંદ કેજરીવાલ પર હુમલો
હકીકતમાં દિલ્હીના 6 ફ્લેગસ્ટાફ રોડ સ્થિત બંગલાના રિનોવેશન માટે ભાજપ સતત અરવિંદ કેજરીવાલ પર પ્રહાર કરી રહી છે. 40,000 ચોરસ યાર્ડમાં ફેલાયેલો આ બંગલો 2015થી ઓક્ટોબર 2024 સુધી કેજરીવાલનું સત્તાવાર નિવાસસ્થાન હતું. ભાજપ મારફતે તીવ્ર રાજકીય તપાસ વચ્ચે મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપ્યા બાદ તેમણે આ જગ્યા ખાલી કરી દીધી હતી.
ઓક્ટોબર 2024 માં જાહેર કરાયેલા સેન્ટ્રલ પબ્લિક વર્ક્સ ડિપાર્ટમેન્ટ (સીપીડબ્લ્યુડી) ના અહેવાલમાં બંગલામાં વૈભવી સુશોભન અને મોંઘા ઉપકરણોના ઉપયોગની વાત કરવામાં આવી હતી. આ પછી, કેન્દ્રએ તાજેતરમાં શીશ મહેલના રિનોવેશનની કથિત ગેરરીતિઓની તપાસના આદેશ આપ્યા હતા અને સીપીડબ્લ્યુડીને બંગલાના રિનોવેશનમાં નિયમોનું ઉલ્લંઘન થવાના આક્ષેપોની વિગતવાર તપાસ હાથ ધરવા નિર્દેશ આપ્યો હતો.
આપ એ 1-1 પૈસાનો હિસાબ આપવો પડશેઃ રેખા ગુપ્તા
પોતાના શપથ ગ્રહણ સમારંભ પહેલા ગુપ્તાએ અગાઉની આપ સરકારની ટીકા કરતા કહ્યું કે, તેમણે લોકોને એક-એક પૈસાનો હિસાબ આપવો પડશે. રામલીલા મેદાનમાં પોતાના શપથ ગ્રહણ સમારોહ પહેલા ગુપ્તાએ કાશ્મીરી ગેટના મારઘાટ સ્થિત હનુમાન બાબા મંદિરની મુલાકાત લીધી હતી. ભાજપ વિધાનસભા પક્ષના નેતા તરીકે ચૂંટાયેલા રેખાએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, પોતાના વચનો પૂરા કરવા એ તેમની ટોચની પ્રાથમિકતા છે.
તેમણે કહ્યું, “રાષ્ટ્રીય રાજધાનીના ભાજપના તમામ 48 ધારાસભ્યોની જવાબદારી છે કે તેઓ વડા પ્રધાન નરેન્દ્ર મોદીના સ્વપ્નને સાકાર કરે.” અમે મહિલાઓ માટે આર્થિક સહાય સહિત અમારા તમામ વચનો ચોક્કસપણે પૂરા કરીશું, એમ તેમણે જણાવ્યું હતું. 8 માર્ચ સુધી મહિલાઓના ખાતામાં પૈસા જરૂરથી જમા થઈ જશે. દર વર્ષે 8 માર્ચને આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ તરીકે ઉજવવામાં આવે છે.
એક સત્તાવાર નોટિફિકેશન અનુસાર, રેખા ગુપ્તા ઉપરાંત નવા ચૂંટાયેલા છ ધારાસભ્યો – પરવેશ વર્મા, આશિષ સૂદ, પંકજ સિંહ, મનજિંદર સિંહ સિરસા, કપિલ મિશ્રા અને રવિન્દ્ર ઇન્દ્રજ નવા મંત્રીપરિષદના સભ્ય તરીકે શપથ લેશે. વાંચો: દિલ્હીના મુખ્યમંત્રીના શપથ ગ્રહણ સમારોહ સાથે જોડાયેલી લેટેસ્ટ અપડેટ્સ