Waqf Amendment Bill : કેન્દ્રીય કેબિનેટે ગુરુવારે સંયુક્ત સંસદીય સમિતિ (જેપીસી) દ્વારા પ્રસ્તાવિત વકફ (સંશોધન) બિલ, 2024 માં તમામ 14 સુધારાને મંજૂરી આપી દીધી છે. બજેટ સત્રના બીજા ભાગમાં આ બિલને સંસદમાં રજૂ કરવામાં આવે તેવી સંભાવના છે. આ સુધારામાં વકફ અધિનિયમ, 1995માં વ્યાપક ફેરફારો લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે, જે સરકારને વકફ સંપત્તિના સંચાલન અને વિવાદ નિવારણમાં વધુ સત્તા આપશે.
વિપક્ષની ટીકા વચ્ચે આ બિલને અગાઉ જેપીસીને મોકલવામાં આવ્યું હતું. ભાજપના સાંસદ જગદમ્બિકા પાલની અધ્યક્ષતાવાળી પેનલે ભાજપ અને તેના સાથી પક્ષો દ્વારા રજૂ કરવામાં આવેલા 14 સુધારાને મંજૂરી આપી હતી, જ્યારે વિપક્ષ દ્વારા રજૂ કરવામાં આવેલા 44 સુધારાને નકારી કાઢવામાં આવ્યા હતા.
બિલના મુખ્ય મુદ્દાઓ
લંબાવેલ સમય મર્યાદા
સંશોધિત બિલ હેઠળ દરેક વકફ અને વકફની સંપત્તિનું છ મહિનાની અંદર કેન્દ્રીય પોર્ટલ પર રજિસ્ટ્રેશન કરાવવું ફરજિયાત રહેશે. જિલ્લા કલેક્ટર આ ડેટાની સમીક્ષા કરી જરૂરી તપાસ કરી રાજ્ય સરકારને રિપોર્ટ કરશે. જેપીસીએ જેડી(યુ)ના સાંસદ દિલેશ્વર કામતના કેટલાક કેસોમાં રજિસ્ટ્રેશન માટેની સમયમર્યાદા વધારવાની જોગવાઇ ઉમેરવાના પ્રસ્તાવને સ્વીકાર્યો હતો.
કાનૂની કાર્યવાહીનો અધિકાર
સંશોધિત બિલ અનુસાર જો વકફની સંપત્તિ છ મહિનાની અંદર નોંધવામાં ન આવે તો કોઈ પણ દાવો, અપીલ કે કાનૂની કાર્યવાહીનો અધિકાર સમાપ્ત થઈ શકે છે. જોકે ભાજપના સાંસદ રાધા મોહનદાસ અગ્રવાલના પ્રસ્તાવને સામેલ કરી એવો નિર્ણય લેવામાં આવ્યો હતો કે જો કોર્ટ વકફ પોર્ટલ પર વિલંબના કારણો સમજાવતું સોગંદનામું રજૂ કરે તો વકફને દાવો દાખલ કરવાની મંજૂરી આપી શકે છે.
આ પણ વાંચો – મહાકુંભ ખતમ પણ શ્રદ્ધાળુઓની આસ્થા યથાવત્, સંગમ પર ઉમટી રહી છે ભીડ, જાણો કારણ
જિલ્લા કલેક્ટરની ભૂમિકા
સુધારેલા બિલમાં વકફ ટ્રીબ્યુનલને વકફ મિલકતોને લગતા વિવાદોનો ઉકેલ લાવવાનો અધિકાર હતો, પરંતુ હવે તે જિલ્લા કલેક્ટર પાસે રહેશે. જો કોઈ મિલકતને સરકારી મિલકત ગણવામાં આવે તો મહેસૂલી રેકર્ડમાં ફેરફાર કરવાની જવાબદારી “નિયત અધિકારી”ને આપવામાં આવશે. જેપીસીએ ટીડીપીના સાંસદ લાવુ શ્રી કૃષ્ણ દેવરાયુલુ દ્વારા વિવાદ નિવારણ પ્રક્રિયામાં રાજ્ય સરકારના વરિષ્ઠ અધિકારીને સામેલ કરવા માટે ચાર સુધારાને મંજૂરી આપી હતી.
વકફ બોર્ડમાં બિનમુસ્લિમ સભ્યો
સંશોધિત બિલમાં વકફ બોર્ડમાં બિનમુસ્લિમ સભ્યોની નિમણૂકની જોગવાઈ છે. જેપીસીએ ભાજપના સાંસદ અભિજિત ગંગોપાધ્યાય દ્વારા વકફ બોર્ડમાં રાજ્ય સરકારના અધિકારીનો સંયુક્ત સચિવ તરીકેનો દરજ્જો નક્કી કરવા માટે રજૂ કરાયેલા સુધારાને સ્વીકાર્યો હતો. આ ઉપરાંત ભાજપના સાંસદ ગુલામ અલીના સંશોધનનો પણ સ્વીકાર કરવામાં આવ્યો હતો, જેમાં મુસ્લિમ કાયદા અને ન્યાયશાસ્ત્રના નિષ્ણાતને વકફ ટ્રિબ્યુનલના સભ્ય બનાવવાની ભલામણ કરવામાં આવી હતી.