India Squad For Asia Cup 2023 : એશિયા કપ માટે બીસીસીઆઈએ ભારતીય ટીમની જાહેરાત કરી દીધી છે પણ ઘણા દિગ્ગજો ટીમથી સંતુષ્ટ નથી. ભારતને વર્લ્ડ કપ જીતાડનાર દિગ્ગજ ખેલાડી મદન લાલે સિલેક્ટર્સ પર સવાલ ઉઠાવતા કહ્યું કે ટીમમાં ઇજાગ્રસ્ત ખેલાડીઓને સ્થાન આપવામાં આવી રહ્યું છે. સાથે તેમણે યુજવેન્દ્ર ચહલને બહાર કરવાના નિર્ણયને પણ ખોટો ગણાવ્યો છે.
મદન લાલે આજ તક સાથે વાત કરતા કહ્યું કે મને લાગે છે કે સિલેક્ટર્સ અને ટીમ મેનેજમેન્ટ કેએલ રાહુલની ફિટનેસને લઇને આશ્વત નથી. તે જાણતા નથી કે રાહુલ ફિટ છે કે નહીં. આ વિશે તેમણે સ્પષ્ટ કરવું જોઈએ. તેમણે શ્રેયસ ઐયરને તક આપી છે. તેની ફિટનેસને લઇને પણ કશું સ્પષ્ટ નથી. તે પ્રોફેશનલ ક્રિકેટ રમ્યો નથી. તેને ફિટનેસ સાબિત કર્યા પછી તક આપવી જોઈએ. નેટ્સ પર બેટિંગ કરવી અને મેચ રમવી બન્ને અલગ વાત છે.
ટીમ પસંદગી પછી થયેલી પ્રેસ કોન્ફરન્સમાં જ્યારે અજિત અગરકરને ફિટનેસને લઇને સવાલ કરવામાં આવ્યો તો તેમણે કહ્યું કે રાહુલ ટીમમાં વિકેટકીપર બેટ્સમેન તરીકે રમે છે. આશા છે કે તે પ્રથમ મેચથી જ પસંદગી માટે ઉપલબ્ધ રહેશે, રાહુલ અને ઐયર બન્ને લાંબા સમયથી ઇજાગ્રસ્ત છે અને તેણે ફિટ થવા માટે ઘણી મહેનત કરી છે. રાહુલ ફરીથી ઇજાગ્રસ્ત થતા ઝટકો લાગ્યો છે પણ અમને આશા છે કે બધું ઠીક થઇ જશે. તે એક મહત્વપૂર્ણ ખેલાડી છે.
આ પણ વાંચો – 30 ઓગસ્ટથી શરૂ થશે એશિયા કપ ટૂર્નામેન્ટ, 2 સપ્ટેમ્બરે ભારત વિ. પાકિસ્તાન મેચ, જુઓ સંપૂર્ણ કાર્યક્રમ
યુજવેન્દ્ર ચહલને તક ના આપવાના નિર્ણય પર મદન લાલે નારાજગી વ્યક્ત કરી છે. તેમણે કહ્યું કે હું ચહલની ગેરહાજરીથી ઘણો હેરાન છું. ચહલ વિકેટ લેનાર અને મેચ વિનર ખેલાડી છે. અક્ષર પટેલે છેલ્લા બે ત્રણ વર્ષમાં સારું કામ કર્યું છે હું તેની ટિકા કરી રહ્યો નથી પણ તે જે કામ કરી રહ્યો છે તે કરવા માટે રવિન્દ્ર જાડેજા પહેલાથી જ ટીમમાં છે.





