BCCI New Selection Committee: ટીમ ઈન્ડિયાના આગામી ચીફ સિલેક્ટર માટે ઘણા નામો સામે આવી રહ્યા છે. પૂર્વ સ્પિનર મનિંદર સિંહ, પૂર્વ ઓપનર બેટ્સમેન શિવ સુંદર દાસ સહિત ઘણા પૂર્વ ક્રિકેટરોએ બીસીસીઆઈના સીનિયર પસંદગીકર્તાના પદ માટે અરજી કરી છે. જોકે તે પૃષ્ટી થઇ શકી નથી કે પૂર્વ ફાસ્ટ બોલર અજીત અગરકરે અરજી કરી છે કે નહીં? માનવામાં આવી રહ્યું છે કે અગરકર અરજી કરશે તો તે પસંદગી સમિતના અધ્યક્ષ બનશે તે નક્કી છે. નવી પસંદગી સમિતિમાં સામેલ થવા માટેની ડેડલાઇન 28 નવેમ્બરે ખતમ થઇ ગઇ છે. માનવામાં આવે છે કે 50થી વધારે લોકોએ અરજી કરી છે.
સમાચાર એજન્સી પીટીઆઈના મતે મુંબઈની સીનિયર ટીમની પસંદગી સમિતિના વર્તમાન પ્રમુખ સલિલ અંકોલા, પૂર્વ વિકેટકીપર સમીર દીઘે, સચિન તેંડુલકરના બાળપણના મિત્ર વિનોદ કાંબલીએ મુંબઈથી અરજી કરી છે.
મનિંદર સિંહે 2021માં પણ કરી હતી અરજી
અરજી કરનારમાં સર્વાધિક ટેસ્ટ મનિંદર સિંહ (35 ટેસ્ટ) અને શિવસુંદર દાસ (21 ટેસ્ટ)રમ્યા છે. મનિંદરે 2021માં પણ અરજી કરી હતી અને ઇન્ટરવ્યૂ રાઉન્ડમાં ક્વોલિફાય કરવા છતા તેમની પસંદગી થઇ ન હતી. ઉત્તર ક્ષેત્રથી મનિંદર સિંહ, અતુલ વાસન, નિખિલ ચોપડા, અજય રાત્રા અને રિતિંદર સિંહ સોઢીએ અરજી કરી છે.
આ પણ વાંચો – ઋતુરાજ ગાયકવાડે વિજય હઝારે ટ્રોફીમાં 1 ઓવરમાં 7 સિક્સર ફટકારી, જુઓ વીડિયો
પૂર્વ ક્ષેત્રથી દાસ, પ્રભંજન મલિક, રશ્મિ રંજન પરીદા, શુભમય દાસ, સૌરાશીષ લાહિડીએ અરજી કરી છે. મધ્ય ક્ષેત્રથી અભય ખુરાસિયા અને જ્ઞાનેન્દ્ર પાંડેએ અરજી કરી છે.
ચેતન શર્મા એન્ડ કંપનીની થઇ હતી હકાલપટ્ટી
ઓસ્ટ્રેલિયામાં રમાયેલા ટી-20 વર્લ્ડ કપ-2022માં ભારતીય ટીમનો સેમિ ફાઇનલમાં પરાજય થયો હતો. ટીમના પ્રદર્શન પર બીસીસીઆઈએ સખત એક્શન લીધા હતા. બીસીસીઆઈએ ચેતન શર્માની આગેવાનીવાળી ચાર સભ્યોની સિલેક્શન કમિટીની હકાલપટ્ટી કરી હતી. પસંદગી સમિતિમાં ચેતન શર્મા, હરવિંદર સિંહ, સુનીલ જોષી અને દેબાશીષ મોહંતી હતા.





