ICC Pitches Rating : આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (આઈસીસી)એ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલી વન-ડે વર્લ્ડ કપ 2023ની ફાઇનલ અને કોલકાતાના ઇડન ગાર્ડનમાં ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની ટૂર્નામેન્ટની બીજી સેમિફાઇનલ માટેની પીચોને એવરેજ ગણાવી છે. 19 નવેમ્બરે જૂની પીચ પર રમાયેલી ફાઈનલમાં ઓસ્ટ્રેલિયાએ ભારત સામે 6 વિકેટથી વિજય મેળવ્યો હતો.
ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના રિપોર્ટ અનુસાર આઈસીસીએ ફાઈનલ સિવાય ભારતની 5 મેચની પિચને એવરેજ રેટિંગ આપી છે. રોહિત શર્માની આગેવાની હેઠળની ટીમે ટૂર્નામેન્ટમાં કુલ 11 મેચ રમી હતી. વર્લ્ડ કપની સેમિ ફાઈનલમાં ટીમ ઈન્ડિયા ન્યૂઝીલેન્ડ સામે ટકરાઈ હતી. વાનખેડે ખાતે રમાયેલી આ મેચની પીચને લઇને ભારે હંગામો થયો હતો. આ મેચની પિચને વધુ સારી રેટિંગ આપવામાં આવી છે.
આ પિચો માટે સરેરાશ રેટિંગ્સ
ફાઈનલ માટેની પિચને આઇસીસીના મેચ રેફરી અને ઝિમ્બાબ્વેના ભૂતપૂર્વ બેટ્સમેન એન્ડી પાયક્રોફ્ટે રેટિંગ આપ્યું હતું. બીજી સેમિ ફાઈનલ માટે વિકેટનું રેટિંગ ભારતના ભૂતપૂર્વ ફાસ્ટ બોલર જવાગલ શ્રીનાથે આપ્યું હતું. વર્લ્ડ કપની ફાઈનલ ઉપરાંત ભારતીય ટીમની કોલકાતામાં સાઉથ આફ્રિકા સામે, લખનઉમાં ઈંગ્લેન્ડ, અમદાવાદમાં પાકિસ્તાન અને ચેન્નઈમાં ઓસ્ટ્રેલિયા સામેની મેચમાં પિચને એવરેજ રેટિંગ આપવામાં આવ્યું હતું.
આ પણ વાંચો – ટીમ ઇન્ડિયા માટે સિદ્ધિઓથી ભરેલું વર્ષ, રચ્યો ઇતિહાસ, 5 વર્ષના દુષ્કાળનો અંત આણ્યો
વાનખેડેની પિચને મળ્યું સારું રેટિંગ
વાનખેડેની પિચ ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાયેલી વર્લ્ડ કપની સેમિ ફાઈનલ દરમિયાન વિવાદમાં સપડાઈ હતી. યજમાન ટીમે તેને છેલ્લી ઘડીએ બદલી નાખી હતી. તેને સારું રેટિંગ મળ્યું છે. જૂની પિચ પર રમાયેલી આ મેચમાં ભારતે પ્રથમ બેટિંગ કરતા ચાર વિકેટે 397 રન બનાવ્યા હતા, જેના જવાબમાં કિવી ટીમે 48.5 ઓવરમાં 327 રન બનાવ્યા હતા.
રાહુલ દ્રવિડે શું કહ્યું હતું
વર્લ્ડકપ દરમિયાન ટીમ ઈન્ડિયાના હેડ કોચ રાહુલ દ્રવિડે ભારતની ઓસ્ટ્રેલિયા અને પાકિસ્તાન સામેની મેચો માટે ઉપયોગમાં લેવાતી પિચોના રેટિંગ્સની ટીકા કરી હતી. તેમણે કહ્યું હતું કે પિચને રનના આધારે રેટિંગ ન આપવું જોઈએ. તેમણે કહ્યું હતું કે જો ચોગ્ગા-છગ્ગા જ જોવાના હોય તો બોલરો અહીં કેમ છે.





