Indian Cricketer Samarjitsinh Gaekwad House : ક્રિકેટ એ ભારતની સૌથી લોકપ્રિય રમત છે. આ રમતમાં લોકપ્રિયતા મેળવવાનો અર્થ છે પૈસાનો વરસાદ. આઇપીએલ આવ્યા બાદ ખેલાડીઓની કમાણી પણ કરોડોમાં છે. આવી સ્થિતિમાં તમે પણ આ રમતના સુપરસ્ટારની કમાણીનો અંદાજ લગાવી શકો છો.
એન્ટિલિયા કરતા પણ મોંઘુ છે ક્રિકેટરનું ઘર
ભારતીય સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી, કેપ્ટન રોહિત શર્મા અને પૂર્વ કેપ્ટન એમએસ ધોની જેવા ખેલાડીઓની નેટવર્થ અબજોમાં છે. જોકે એક એવા ખેલાડી છે જે ક્યારેય આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમ્યા નથી, પરંતુ તે દેશના સૌથી ધનિક ઉદ્યોગપતિ અંબાણીના ઘર એન્ટિલિયા કરતા પણ મોંઘા ઘરમાં રહે છે.
કોહલી-ધોની ઘણા પાછળ
વિરાટ કોહલી, સચિન તેંડુલકર, એમએસ ધોની અને રોહિત શર્માની કુલ નેટવર્થ પણ આ ખેલાડીના ઘરની રકમની તુલનામાં કંઇ નથી. આ ખેલાડી છે વડોદરાના મહારાજા સિમરજીત સિંહ ગાયકવાડ. એક રાજા, રાજકારણી હોવા ઉપરાંત તે ક્રિકેટર પણ રહી ચૂક્યા છે.
સિમરજીત બરોડા માટે રણજી ટ્રોફી રમી ચૂક્યા છે
સિમરજીત સિંહ ગાયકવાડનો જન્મ 1967માં થયો હતો. તે સ્કૂલથી જ ક્રિકેટ રમતા હતા. તેમણે રણજી ટ્રોફીમાં બરોડા ટીમનું પ્રતિનિધિત્વ પણ કર્યું હતું. તેઓ 1987-88 અને 1988-89માં 6 ફર્સ્ટ ક્લાસ મેચ રમ્યા હતા. તેમણે છ મેચમાં 17.00ની એવરેજથી 119 રન બનાવ્યા હતા. તેમાં એક અડધી સદીનો પણ સમાવેશ થાય છે. તેમનો સર્વોચ્ચ સ્કોર 65 રનનો હતો.
આ પણ વાંચો – ટી 20 વર્લ્ડ કપ 2024 : હવે આ 8 ટીમો વચ્ચે વર્લ્ડ ચેમ્પિયન બનવા જંગ, જાણો શું છે તાકાત અને નબળાઇ
આ પછી તે ક્રિકેટ એડમિનિસ્ટ્રેશનમાં આવ્યા હતા. તેઓ લાંબા સમય સુધી બરોડા ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ રહ્યા હતા. તેમણે 2015માં મોતી બાગમાં પોતાની ક્રિકેટ એકેડેમી ચલાવવાનું શરૂ કર્યું હતું.
20,000 કરોડ રૂપિયા છે લક્ષ્મી વિલાસ પેલેસની કિંમત
2012માં પિતાના નિધન બાદ તેમના પૈતૃક વારસાને લઈને તેમના કાકા સાથે લાંબો વિવાદ થયો હતો. આખરે સિમરજીત સિંહને 20,000 કરોડનો લક્ષ્મી વિલાસ પેલેસ મળ્યો હતો. આ મહેલને રહેવાની દ્રષ્ટિએ ભારતની સૌથી મોંઘી સંપત્તિ માનવામાં આવે છે. દેશના સૌથી ધનિક લોકોમાંથી એક ઉદ્યોગપતિ મુકેશ અંબાણીનું ઘર એન્ટિલિયા પણ આ મામલે સિમરજીત સિંહના પેલેસથી પાછળ છે. એન્ટિલિયાની કિંમત 15 હજાર કરોડ છે.
લક્ષ્મી વિલાસ પેલેસનું નિર્માણ 1890માં કરવામાં આવ્યું હતું. આ ઘર બકિંગહામ પેલેસ કરતા ચાર ગણું મોટું છે. આ ઘર 500 એકરમાં ફેલાયેલું છે. આ પેલેસમાં મહારાજા ફતેહસિંહ મ્યુઝિયમ પણ છે. આ ઘરમાં નાના-મોટા 170 રૂમ છે. અહીં ફરવા આવતા લોકો માટે ઘરનો ગ્રાઉન્ડ ફ્લોર ખુલ્લો છે.





