Gujarat Titans players will wear lavender jerseys : ગુજરાત ટાઇટન્સ ગુરુવારે (22 મે) અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં લખનઉ સુપર જાયન્ટ્સ સામેની ઇન્ડિયન પ્રીમિયર લીગની રમત માટે લવંડર જર્સીમાં ઉતરશે. સતત ત્રીજા વર્ષે આ ઉમદા પહેલને આગળ ધપાવતા ટાઇટન્સનો ઉદ્દેશ કેન્સરના દર્દીઓ માટે વહેલા નિદાન અને ગુણવત્તાસભર સંભાળની પહોંચના મહત્વ વિશે જાગૃતતા ફેલાવવાનો છે.
લખનઉ સુપર જાયન્ટ્સ સામેની મેચ ખાસ બની રહેશે કારણ કે ગુજરાત ટાઇટન્સ કેન્સરથી બચી ગયેલાઓ અને દર્દીઓ માટે જ બેટિંગ નહીં કરે, પરંતુ 30,000 લવન્ડર ફ્લેગ અને 10,000 લવંડર જર્સીનું વિતરણ કરીને આ ઉમદા હેતુ માટે તેના ચાહકોને પણ એક કરશે.
સીઓઓ કર્નલ અરવિંદર સિંહે શું કહ્યું
ગુજરાત ટાઇટન્સના સીઓઓ કર્નલ અરવિંદર સિંહે જણાવ્યું હતું કે આ સતત ત્રીજા વર્ષે ગુજરાત ટાઇટન્સ કેન્સરની જાગૃતતાના હેતુ માટે બેટિંગ કરી રહી છે. અમને ગર્વ છે કે અમારા ચાહકો અમારી પડખે છે જેમણે કેન્સરના વહેલા નિદાન તથા પૂર્વ-નિવારણ સંભાળ માટેનો સંદેશો બુલંદ બનાવીને તેને સતત ટેકો આપ્યો છે. 22મી મેના રોજ અમદાવાદ કેન્સર સામેની લડતમાં હજારો પ્રેક્ષકો તરફથી એકતાનો સંદેશ આપશે. અમારો ઉદ્દેશ એવી જાગૃતતા લાવવાનો છે કે કોઈપણ પ્રકારના કેન્સર સામે લડી શકાય છે અને યોગ્ય સંભાળ દ્વારા તેને મ્હાત કરી શકાય છે.
આ પણ વાંચો – આઈપીએલ 2025 પ્લેઓફ રેસ : 1 સ્થાન અને 3 દાવેદાર
શુભમન ગિલે શું કહ્યું
ગુજરાત ટાઇટન્સના કેપ્ટન શુભમન ગિલે આ ઉમદા હેતુ માટે ટીમની પ્રતિબદ્ધતા વ્યક્ત કરતા જણાવ્યું હતું કે એથ્લીટ્સ તરીકે અમે પરિવર્તનને પ્રભાવિત કરી શકે તેવા અમારી પાસેના પ્લેટફોર્મનું મહત્વ સમજીએ છીએ. આ લવંડર જર્સી પહેરવી એ કેન્સરની સામે લડી રહેલા લોકો સાથે એકજૂટતા દર્શાવવાની અને તેમની સ્થિતિસ્થાપકતાનું સન્માન કરવાની અમારી રીત છે. અમે માનીએ છીએ કે જાગૃતતા અને શિક્ષણ દ્વારા અમે લોકોને તેમના આરોગ્યની સંભાળ લેવા માટે સશક્ત બનાવી શકીએ છીએ અને એવા ભવિષ્ય માટે યોગદાન આપી શકીએ છીએ જ્યાં કેન્સર ભયજનક દુશ્મન ન હોય.
ગુજરાત પોઇન્ટ ટેબલમાં નંબર વન
ગુજરાત ટાઇટન્સ હાલમાં IPL 2025 ના સ્ટેન્ડિંગમાં ટોચના સ્થાને છે અને આ સિઝનમાં IPL પ્લેઓફ માટે ક્વોલિફાય થઈ ગયું છે. લીગ તબક્કામાં હજુ બે મેચ બાકી છે, અને તેમના 18 પોઈન્ટ થઈ ગયા છે.





