ભારતના દિગ્ગજ સ્પિનર રવિચંદ્રન અશ્વિનને રાજકોટ ટેસ્ટમાંથી અધવચ્ચે જ સ્વદેશ પરત ફરવું પડ્યું હતું. તે પછીથી પાછો ફર્યો, પરંતુ એક દિવસ ઉપલબ્ધ ન રહ્યો. ટેસ્ટ ક્રિકેટમાં તેની 500 મી વિકેટ લીધા બાદ, અશ્વિનને ફેમિલી ઈમરજન્સીના કારણે ટેસ્ટ મેચની મધ્યમાં રાજકોટથી ચેન્નાઈ જવું પડ્યું હતું. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ ટેસ્ટ મેચના બીજા દિવસની સમાપ્તિના થોડા કલાકો બાદ અચાનક જ માહિતી આપી કે, અશ્વિનને ટેસ્ટ મેચમાંથી બહાર થઈ ગયો છે.
જો કે રવિચંદ્રન અશ્વિન ચોથા દિવસે ભારતીય ટીમ સાથે ફરી જોડાયો હતો. તે ટી ટાઇમ બાદ મેદાનમાં આવ્યો હતો. અશ્વિને ઇંગ્લેન્ડની બીજી ઇનિંગમાં છ ઓવરના સ્પેલમાં માત્ર 19 રન આપીને 1 વિકેટ લીધી હતી. આ પછી અશ્વિનની પત્ની પ્રીતિએ ઈન્સ્ટાગ્રામ પર ક્રિકેટર માટે ઈમોશનલ નોટ લખી હતી. તેણે લખ્યું કે, 500 થી 501 વિકેટ વચ્ચે ઘણું બધું થયું. તે મારા જીવનના સૌથી લાંબા 48 કલાક હતા.
અશ્વિનની પત્ની પ્રિતિ નારાયણે શું કહ્યું?
અશ્વિનની પત્ની પ્રિતિ નારાયણ એ ઇન્સ્ટાગ્રામ પર લખ્યું, “અમે વિચાર્યું હતું કે હૈદરાબાદમાં 500 વિકેટ પૂરી થશે, પરંતુ એવું ન થયું.” વિશાખાપટ્ટનમમાં પણ એવું ન થયું. મેં 499 વિકેટે મીઠાઈઓ ખરીદી અને ઘરે બધાને વહેંચી. અને જ્યારે 500 મી વિકેટ આવી જે ચૂપચાપ જતી રહી, આજ દીન સુધી આવું થયું નહી, ત્યારબાદ 500 અને 501 ની વચ્ચે ઘણું બધું થયું. આ અમારા જીવનના સૌથી લાંબા 48 કલાક હતા. પરંતુ આ પોસ્ટ 500 માટે છે, આ એક અભૂતપૂર્વ સિદ્ધિ છે. તે એક ઉત્તમ ઈન્સાન છે. રવિ અશ્વિન, મને તમારા પર ખૂબ ગર્વ છે. અમે તમને પ્રેમ કરીએ છીએ!”
આ પણ વાંચો – જ્યોતિ યારાજીએ પોતાનો જ રેકોર્ડ તોડ્યો, હર્ડલ રેસમાં ભારત માટે ગોલ્ડ મેડલ જીતી ઈતિહાસ રચ્યો
રોહિત શર્માએ કહ્યું- પરિવાર પહેલા આવે છે
ભારતીય સુકાની રોહિત શર્મા પણ બીજા દિવસે ઘરે જવાના અશ્વિનના નિર્ણય સાથે સહમત જણાતો હતો. મેચ બાદ પ્રેસ કોન્ફરન્સમાં બોલતા રોહિતે કહ્યું કે, અશ્વિને સાચો નિર્ણય લીધો છે કારણ કે, પરિવાર પહેલા આવે છે. ભારતે ઈંગ્લેન્ડ સામેની 5 મેચની શ્રેણીમાં 2-1ની લીડ મેળવી લીધી છે. ચોથી મેચ 23 ફેબ્રુઆરીથી રાંચીમાં રમાશે.