BCCI secretary Jay Shah : રોહિત શર્માની કેપ્ટનશિપમાં ભારત ટી-20 વર્લ્ડ કપ 2024માં ચેમ્પિયન બન્યું હતું. હવે રોહિત શર્માને ટીમને વન-ડે અને ટેસ્ટમાં પણ આઈસીસી ટ્રોફી જીતાડવાની જવાબદારી મળી છે. BCCI સેક્રેટરી જય શાહે જાહેરાત કરી છે કે આગામી ચેમ્પિયન્સ ટ્રોફી અને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં (WTC)પણ રોહિત શર્મા કેપ્ટન તરીકેની જવાબદારી સંભાળશે.
ચેમ્પિયન્સ ટ્રોફીમાં રોહિત શર્મા ભારતીય ટીમની કેપ્ટનશિપ કરશે
જય શાહના નિવેદનથી એ પણ સ્પષ્ટ થઈ ગયું છે કે ચેમ્પિયન્સ ટ્રોફી અને ટેસ્ટમાં રોહિત શર્મા ભારતીય ટીમની કેપ્ટનશિપ કરશે. ચેમ્પિયન્સ ટ્રોફી 50 ઓવરની ફોર્મેટ ટૂર્નામેન્ટ છે. રોહિતે ટી 20 ઈન્ટરનેશનલમાંથી નિવૃત્તિ જાહેર કરી છે. જોકે બાકીના બે ફોર્મેટમાં તે હજુ પણ કેપ્ટન છે.
જય શાહે વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે ભારત આગામી ચેમ્પિયન્સ ટ્રોફી 2025 અને આગામી વર્ષે યોજાનારી ત્રીજી ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલ જીતશે. બીસીસીઆઈ દ્વારા શેર કરેલા એક વીડિયોમાં જય શાહે જણાવ્યું હતું કે મને વિશ્વાસ છે કે રોહિત શર્માની કપ્તાની હેઠળ અમે WTC ફાઈનલ અને ચેમ્પિયન્સ ટ્રોફી જીતીશું.
રોહિત શર્માના નેતૃત્વમાં ભારતીય ક્રિકેટ ટીમે ઐતિહાસિક પ્રદર્શન કરતા ટી20 વર્લ્ડ કપ 2024માં ચેમ્પિયન બની હતી. 29 જૂને ભારતીય ટીમે બ્રિજટાઉનના કેન્સિંગ્ટન ઓવલ ખાતે રમાયેલી ફાઇનલ મેચમાં દક્ષિણ આફ્રિકાને 7 રને પરાજય આપ્યો હતો. ભારતીય ટીમે બીજી વખત ટી 20 વર્લ્ડ કપ જીત્યો હતો. આ પહેલા 2007માં ટી 20 વર્લ્ડ કપ જીત્યો હતો.
જય શાહે કરી મહત્વની જાહેરાત
જય શાહે એક વીડિયો સંદેશમાં કહ્યું કે આ ઐતિહાસિક જીત માટે ટીમ ઇન્ડિયાને ખૂબ ખૂબ અભિનંદન. હું આ જીતને કોચ રાહુલ દ્રવિડ, કેપ્ટન રોહિત શર્મા, વિરાટ કોહલી અને રવિન્દ્ર જાડેજાને સમર્પિત કરવા માંગુ છું. છેલ્લા એક વર્ષમાં આ અમારી ત્રીજી ફાઇનલ હતી. જૂન 2023માં અમે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં હાર્યા હતા. નવેમ્બર 2023માં દસ જીત પછી, અમે દિલ જીત્યા, પરંતુ કપ જીતી શક્યા નહીં.
આ પણ વાંચો – પીએમ નરેન્દ્ર મોદીએ ખેલાડીઓ સાથે દિલ ખોલીને શું કરી વાત, મજેદાર વાતચીતનો સામે આવ્યો Video
જય શાહે કહ્યું કે મેં રાજકોટમાં કહ્યું હતું કે જૂન 2024 માં અમે દિલ જીતીશું, કપ પણ જીતીશું અને ભારતનો ઝંડો લહેરાવીશું અને આપણા કેપ્ટને ઝંડો લહેરાવી દીધો હતો. આ જીતમાં છેલ્લી પાંચ ઓવરનું મોટું યોગદાન રહ્યું હતું. હું સૂર્યકુમાર યાદવ, જસપ્રીત બુમરાહ, અર્શદીપ સિંહ અને હાર્દિક પંડ્યાના યોગદાન માટે આભાર માનું છું. આ જીત પછી આગામી પડાવ ડબ્લ્યુટીસી ફાઇનલ અને ચેમ્પિયન્સ ટ્રોફી છે. મને વિશ્વાસ છે કે રોહિત શર્માની કેપ્ટન્સીમાં અમે આ બંને ટૂર્નામેન્ટમાં ચેમ્પિયન બનીશું.
હવે રોહિત શર્માનું પ્રથમ લક્ષ્ય ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં પોતાની ટીમ માટે ટાઇટલ જીતવાનું રહેશે. ત્યારબાદ તે જૂન 2025માં લોર્ડ્સ ખાતે યોજાનારી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC) ફાઇનલ પણ જીતવા માંગશે. જોકે ડબલ્યુટીસીની ફાઈનલમાં પ્રવેશવા માટે ભારતે આગામી ન્યૂઝીલેન્ડ, બાંગ્લાદેશ અને ઓસ્ટ્રેલિયા સામેની ટેસ્ટ શ્રેણીમાં શાનદાર પ્રદર્શન કરવું પડશે.





