T20 World Cup 2026 Expected Venues : ભારત અને શ્રીલંકામાં યોજાનારા ટી-20 વર્લ્ડ કપ 2026નો કાર્યક્રમ આગામી દિવસોમાં આઈસીસી જાહેર કરી શકે છે. તે પહેલા આ વર્લ્ડ કપ વિશે કેટલીક મહત્વની માહિતી સામે આવી રહી છે. લેટેસ્ટ રિપોર્ટ અનુસાર ભારતના તે પાંચ શહેરોના નામ સામે આવ્યા છે જ્યાં ટી-20 વર્લ્ડ કપ 2026 ના મુકાબલા રમાઇ શકાય છે. આટલું જ નહીં ફાઈનલ મેચ અમદાવાદમાં યોજાશે તેવા અહેવાલો પણ સામે આવ્યા છે.
ઈન્ડિયન એક્સપ્રેસના રિપોર્ટ પ્રમાણે બીસીસીઆઈના ટોચના અધિકારીઓ વચ્ચેની બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો છે કે વન-ડે વર્લ્ડ કપ 2023ની તુલનામાં ટી-20 વર્લ્ડ કપ 2026 થોડાક જ શહેરોમાં યોજાશે અને દરેક સ્થળને ઓછામાં ઓછી 6 મેચ મળી શકે છે. આ માટે અમદાવાદ, દિલ્હી, કોલકાતા, ચેન્નાઈ અને મુંબઈની પસંદગી કરવામાં આવી છે. શ્રીલંકા સંયુક્ત યજમાન છે તો ત્રણ સ્ટેડિયમમાં તે પણ હોસ્ટ કરશે, જે સ્થળને હજુ ફાઈનલ કરવામાં આવ્યા નથી.
શ્રીલંકાના સ્ટેડિયમ ફાઈનલ થયા નથી
સાથે જ લખનઉ અને બેંગલુરુની તસવીર પણ હજુ સ્પષ્ટ નથી. શ્રીલંકાના પણ હજુ સ્ટેડિયમ ફાઈનલ થયા નથી અને તે સ્થળો જાહેર થયા બાદ જ આખરી નિર્ણય લેવામાં આવશે. ભારતીય બોર્ડનું એ પણ માનવું છે કે જે સ્થળોએ મહિલા વર્લ્ડ કપ 2025ની મેચો યોજાઈ હતી ત્યાં ટી-20 વર્લ્ડ કપમાં રમાડવામાં આવશે નહીં. ગુવાહાટી, વિશાખાપટ્ટનમ, ઈન્દોર, નવી મુંબઈ આ યાદીમાંથી સીધા જ બહાર થઈ જશે.
આ પણ વાંચો – મહિલા વર્લ્ડ કપ વિજેતા ભારતીય ટીમને ટાટા મોટર્સની ભેટ, દરેક ખેલાડીને મળશે આ લક્ઝરી કાર
ભારત-પાકિસ્તાન મેચ ક્યાં રમાશે?
જો પાકિસ્તાનની વાત કરીએ તો તે ભારતની સામે આવે છે કે ફાઈનલ અને સેમિ ફાઈનલમાં કોઈ પણ ટીમની સામે આવશે તો તેમની મેચો ન્યુટ્રલ વેન્યૂ એટલે કે શ્રીલંકામાં રમાશે. ભારત-પાકિસ્તાનની લીગ મેચ અથવા નોકઆઉટ મેચ પણ શ્રીલંકામાં યોજાશે. આઇસીસીએ બીસીસીઆઇને પણ સ્પષ્ટ કરી દીધું છે કે જો શ્રીલંકા સેમિ ફાઈનલમાં ક્વોલિફાય થશે તો શ્રીલંકાની ટીમ કોલંબોમાં રમશે.
આ બંને બાબતોને ધ્યાનમાં રાખીને શેડ્યૂલ ફાઇનલ કરવામાં આવશે. ટી 20 વર્લ્ડ કપ 2026 માટે તમામ 20 ટીમોની કન્ફર્મ થઈ ગઈ છે. આ ટૂર્નામેન્ટ આવતા વર્ષે ફેબ્રુઆરી અને માર્ચમાં યોજાવાનો છે. આ માટેનું શિડયુલ આઇસીસીએ જાહેર કરવાનું છે. બીસીસીઆઇએ તેનો કાર્યક્રમ આઇસીસીને સોંપી દીધો છે. આ અંગે ટૂંક સમયમાં અંતિમ નિર્ણય લેવામાં આવી શકે છે.





