India vs Pakistan: ભારત અને પાકિસ્તાન ફરી એકવાર એશિયા કપ 2023 અને ત્યારબાદ વનડે વર્લ્ડ કપ 2023 દરમિયાન મેચમાં ટકરાશે. આ બંને દેશો વચ્ચે છેલ્લી મેચ ટી-20 વર્લ્ડ કપ 2022 દરમિયાન રમાઈ હતી જેમાં ટીમ ઈન્ડિયાએ પાકિસ્તાનને હરાવ્યું હતું. આટલા લાંબા ગાળા બાદ તમામ ક્રિકેટ ચાહકોમાં બંને દેશો વચ્ચેની મેચને લઈને પહેલેથી જ ઉત્સુકતા જોવા મળી રહી છે. ટી-20 વર્લ્ડ કપની વાત કરીએ તો પાકિસ્તાને અત્યાર સુધી માત્ર એક જ વખત ભારતને હરાવ્યું છે. જોકે પાકિસ્તાન ભારત સામે વન ડે વર્લ્ડકપ મેચોમાં ક્યારેય જીતી શક્યું નથી.
ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચનો રોમાંચ ચાહકોને લાગે છે પરંતુ ટીમ ઈન્ડિયાના ભૂતપૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલીનો તેનાથી અલગ મત છે. સ્ટાર સ્પોર્ટ્સ સાથે વાત કરતા ગાંગુલીએ કહ્યું કે આ મેચને લઇને ઘણી હાઇપ છે, પરંતુ તેની ક્વોલિટી લાંબા સમયથી એટલી સારી નથી રહી કારણ કે ભારત પાકિસ્તાન સામેની મેચ એકતરફી રીતે જીતતું રહ્યું છે. દુબઈમાં રમાયેલા ટી-20 વર્લ્ડ કપ 2021માં પાકિસ્તાને કદાચ પહેલી વખત ભારતને હરાવ્યું હતુ. ભારત તે ટૂર્નામેન્ટ (ટી 20 વર્લ્ડ કપ 2021) માં બહુ સારું રમ્યું ન હતું. પરંતુ મારા મતે વર્લ્ડ કપમાં ભારત વિરુદ્ધ ઓસ્ટ્રેલિયાની મેચ ભારત વિરુદ્ધ પાકિસ્તાન કરતા વધુ સારી હશે કારણ કે તે મેચમાં ગુણવત્તા વધુ સારી હશે.
આ પણ વાંચો – વર્લ્ડ કપ પહેલા બધા મેદાનોમાં સુધારો કરવામાં આવશે, બીસીસીઆઈ 500 કરોડ રૂપિયાનો ખર્ચ કરશે
તમને જણાવી દઈએ કે એશિયા કપ 2023માં ભારત અને પાકિસ્તાન વચ્ચે જો બધું યોગ્ય રહ્યું તો ત્રણ મેચ રમાઈ શકે છે. જેમાં એક મેચ લીગ બની શકે છે, બીજી સુપર ફોર મેચ હોઈ શકે છે અને જો બંને ટીમો ફાઈનલમાં પહોંચે છે તો આ ત્રીજી મેચ હોઈ શકે છે. આ સાથે જ વન ડે વર્લ્ડ કપ 2023માં 15 ઓક્ટોબરે ભારત અને પાકિસ્તાન વચ્ચે લીગ મેચ રમાશે. આ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે.
ભારતમાં આ વખતે વન-ડે વર્લ્ડકપનું આયોજન થઈ રહ્યું છે. જે 5 ઓક્ટોબરથી શરુ થશે અને તેની આખરી મેચ 19મી નવેમ્બરે રમાશે. ભારતીય ટીમ આ વખતે 8 ઓક્ટોબરે વનડે વર્લ્ડ કપ 2023માં ઓસ્ટ્રેલિયા સામે પોતાના અભિયાનની શરૂઆત કરશે.





