ગુજરાતમાં ફરવા માટે ઘણા લોકપ્રિય સ્થળો છે, જેમા અમુક અજાયબી સમાન છે. બીજા શબ્દોમાં કહીયે તો તે સમગ્ર દુનિયા માત્ર ગુજરાતમાં જોવા મળે છે.
ગુજરાતનું વડોદરા શહેર સાંસ્કૃતિક નગરી કહેવાય છે.
ગાયકવાડ શાસનથી વડોદરા કલા સંસ્કૃતિ અને શિક્ષણનું કેન્દ્ર રહ્યું છે. વડોદરામાં ઘણા જોવાલાયક સ્થળો છે, જે ગાયકવાડના રાજાશાહી ઠાઠ અને આધુનિક સમયને પ્રદર્શિત કરે છે.
લક્ષ્મી વિલાસ પેલેસ વડોદરાના ગાયકવાડ રાજ પરિવારનું નિવાસ સ્થાન છે. વર્ષ 1890માં મહારાજા સયાજીરાવ ગાયકવાડ દ્વારા નિર્મિત 700 એકરમાં ફેલાયેલા આ મહેલમાં 170 રૂમ છે, જે દુનિયાનું સૌથી મોટું ઘર કહેવાય છે. અહીં ગાયકવાડ શાસની ઘણી એન્ટિક ચીજવસ્તુઓ જોવા મળે છે.
વડોદરાના દર્શનિય સ્થળોમાં સૂર્ય મંદિર મુખ્ય છે. તે ભગવાન સૂર્યને સમર્પિત 200 જૂનું એક પ્રાચીન મંદિર છે. કહેવાય છે કે, આ સૂર્યનારાયણ મંદિરનું નિર્માણ વડોદરાના દીવાન રાવજી આપાજીએ તેમની ઉપપત્નીની ઇચ્છા પર કરાવ્યું હતું.
વડોદરાનું સયાજીબાગ પ્રાણી સંગ્રહાલય કમાટી બાગી તરીકે પણ ઓળખાય છે. 113 એકર જમીનમાં મહારાજા સયાજીરાવે 1879માં સયાજીબાગનું નિર્માણ કરાવ્યું હતું. અહીં પ્રાણી સંગ્રહાલય, મ્યુઝિયમ, પ્લેનેટોરિયમ, ફ્લોરલ ક્લોક, જોય ટ્રેન અને માછલી ઘર જોવાલાયક છે.
મહારાજા ફતેહસિંહ સંગ્રહાલય વડોદરાના લક્ષ્મી વિલાસ પેલેસના પ્રાંગણમાં આવેલું એક સંગ્રહાલય છે. અહીં રાજાશાહી સમયની એન્ટિક ચીજવસ્તુઓ, ચીની, જાપાની, રોમન વગેરે સંસ્કૃતિના કલાકારોની કલાકૃતિઓ પણ સાચવવામાં આવેલી છે.
ઇએમઇ મંદિર વડોદરાના ફતેહગંજ વિસ્તારમાં સંપૂર્ણપણે એલ્યુમિનિયમનાં પતરામાંથી બનેલ, ભારતીય થલસેના દ્વારા સંચાલિત શિવ મંદિર છે. અહીં 14મી સદીથી લઇ 17મી સદી સુધીની પ્રાચી શિલ્પકૃતિઓ મંદિરમાં સાચવવામાં આવી છે.
વડોદરા શહેરના મધ્યમાં સુર સાગર તળાવ 18મી સદીમાં બન્યુ હતું. ચંદન તળાવ નામ પ્રખ્યાત આ તળાવની મધ્યમાં 120 ફુટ ઉંચી ભગવાન શંકરની વિશાળ પ્રતિમ તળાવની સુંદરતા વધારે છે. સવાર અને સાંજે તળાવની આસપાસ ફરવાની અને કિનારે બેસવાની મજા પડે છે.
વડોદરામાં કીર્તિ સ્તંભનું નિર્માણ વર્ષ 1935માં મહારાજા સયાજીરાવ ગાયકવાડ ત્રીજાના 60 વર્ષના શાસનકાળની ઉજવણીની યાદમાં કરવામાં આવ્યું હતું. ગુલાબી સોનગઢ પથ્થર માંથી કીર્તિ સ્તંભની ટોચ પર સિંહની પ્રતિકૃતિ છે.
વડોદરા મ્યુઝિયમમાં 2300 વર્ષ જુનું ઇજિપ્તનું મમી સચવાયેલું છે. આ મ્યુઝિયમના નિર્માણ વખતે જ વર્ષ 1895માં મહારાજા સયાજીરાવે ન્યુયોર્કમાં 175 ડોલરમાં આ મમી ખરીદ્યુ હતું. સમગ્ર ભારતમાં વડોદરા સહિત 6 મ્યુઝિયમમાં મમી સચવાયેલા છે.