Pakistan News: પાકિસ્તાનમાં પંજાબ પ્રાંતની સરકારે ગુરુ નાનકની જયંતી અને દિવાળી પહેલા 2200 શીખ અને હિંદુ પરિવારોને ખુશખબર આપી છે. પંજાબ પ્રાંત સરકારે હિંદુ અને શીખ પરિવારોને 10,000 પાકિસ્તાન રૂપીયા આપવાનું નક્કી કર્યું છે. જો ભારતીય ચલણમાં ગણીયે તો પાકિસ્તાન સરકાર આ પરિવારોને દિવાળી પર ત્રણ હજાર રૂપિયા આપશે. આ રકમ દર વર્ષે આપવામાં આવશે. મુખ્યમંત્રી મરિયમ નવાઝે સંબંધિત અધિકારીઓને વહેલી તકે ફેસ્ટિવલ કાર્ડ જારી કરવાનો આદેશ આપ્યો છે.
સમાચાર એજન્સી પીટીઆઈના રિપોર્ટ મુજબ, પાકિસ્તાનની પંજાબ પ્રાંત સરકાર ગુરુ નાનક જયંતી અને દિવાળીની ઉજવણી માટે પ્રાંતના 2200 શીખ અને હિન્દુ પરિવારોને ફેસ્ટિવલ કાર્ડ આપશે. તેમા લગભગ ત્રણ હજાર રૂપિયાની રકમ આપવામાં આવશે. તમને જણાવી દઇયે કે, ગુરુનાનક દેવની 555મી જન્મજયંતી આવી રહી છે અને આવતા મહિને વિદેશી યાત્રાળુઓ માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી રહી છે.
પંજાબ મંત્રીમંડળની મંજૂરી
પંજાબ કેબિનેટે ફેસ્ટિવલ કાર્ડ પહેલને મંજૂરી આપી દીધી છે. આના દ્વારા આ પરિવારોને તેમના તહેવારોની ઉજવણી માટે આર્થિક મદદ મળશે. આ વર્ષે ગુરુ નાનક જયંતી 15 નવેમ્બરના રોજ ઉજવાશે. વિદેશી યાત્રાળુઓ માટે વિઝા પ્રક્રિયાને સરળ બનાવવા માટે નવી વિઝા સિસ્ટમ લાગુ કરવામાં આવી છે.
ઇટીબીપીના એડિશનલ સેક્રેટરી શ્રાઇન સૈફુલ્લા ખોખરે જણાવ્યું હતું કે ભારતમાંથી 3000થી વધુ યાત્રાળુઓ અને અન્ય દેશોના 1000થી વધુ યાત્રાળુઓ પાકિસ્તાનની મુલાકાત લે તેવી શક્યતા છે. વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર, ભારતે ફરી એકવાર પાકિસ્તાનને કરતારપુર કોરિડોરનો ઉપયોગ કરીને ભારતીય તીર્થયાત્રીઓ પાસેથી વસૂલવામાં આવતી 20 ડોલરની સર્વિસ ફી માફ કરવા જણાવ્યું છે.
પાકિસ્તાનમાં હિન્દુ વસ્તી કેટલી છે?
હવે વાત કરીએ પાકિસ્તાનના હિન્દુઓની તો પાકિસ્તાન બ્યૂરો ઓફ સ્ટેટેસ્ટિક્સના રિપોર્ટ મુજબ, વર્ષ 2023માં પાકિસ્તાનની 24 કરોડથી વધુ જનસંખ્યામાં ધાર્મિક અલ્પસંખ્યકોની સંખ્યા માત્ર 87 લાખ છે. તેમા પણ હિન્દુઓની કુલ વસ્તી લગભગ 53 લાખ છે. બીજા શબ્દોમાં કહીયે તો પાકિસ્તાનમાં હિન્દુઓ બીજા નંબરનો સૌથી મોટો ધાર્મિક સમુદાય છે, પરંતુ આ સમુદાયના લોકો ખૂબ જ નબળી પરિસ્થિતિમાં પોતાનું જીવન જીવી રહ્યા છે. શીખ સમુદાયની વસ્તી 15998 અને પારસી સમુદાયની વસ્તી 2348 છે.





