સ્વ-રોજગાર અને બિન -પગારદાર વ્યક્તિઓ માટેના બેસ્ટ 11 રિટાયરમેન્ટ પ્લાન, તમારી સગવડતા અનુસાર રોકાણ કરી ભવિષ્યને સુરક્ષિત બનાવો

Retirement planning tips : સરકારી નિવૃત્તિ પેન્શન યોજના - પીએફ માત્ર કર્મચારીઓ માટે જ હોય છે ત્યારે સ્વ-રોજગાર અને બિન પગારદાર વ્યક્તિઓએ સ્વૈચ્છિક રીતે રિટાયરમેન્ટ પ્લાનની પસંદગી કરી નાણાંકીય રીતે ભવિષ્યને સુરક્ષિત બનાવવું જોઇએ.

Written by Ajay Saroya
May 02, 2023 18:35 IST
સ્વ-રોજગાર અને બિન -પગારદાર વ્યક્તિઓ માટેના બેસ્ટ 11 રિટાયરમેન્ટ પ્લાન, તમારી સગવડતા અનુસાર રોકાણ કરી ભવિષ્યને સુરક્ષિત બનાવો
સ્વ-રોજગાર અને બિન-પગારદાર વ્યક્તિઓ માટે અહીં 11 રિટાયરમેન્ટ પ્લાનની યાદી આપી છે.

ભારતમાં બિન સંગઠતી ક્ષેત્રમાં કામકાજ કરનાર કર્મચારીઓ કે સ્વ-રોજગાર વ્યક્તિઓની સંખ્યા ઘણી વધારે છે અને તેમને પીએફ કે પેન્શન જેવા લાભ મળતા નથી. આવી પરિસ્થિતિમાં સ્વ-રોજગાર અને બિન-પગારદાર વ્યક્તિઓએ સ્વૈચ્છિક રીતે રિટાયરમેન્ટ પ્લાનની સ્કીમ પસંદ કરવી જરૂરી બની જાય છે. આવી વ્યક્તિને 60 વર્ષની વય બાદ નાણાંકીય સુરક્ષા મળે તે જરૂરી છે. એવી ઘણી રોકાણ યોજનાઓ છે જેમાં આવી વ્યક્તિઓ તેમની જરૂરિયાતો અથવા નિવૃત્તિના ધ્યેયોના આધારે રિટાયરમેન્ટ ફંડ્સ બનાવવા માટે સ્વૈચ્છિક રીતે સબ્સ્ક્રાઇબ કરી શકે છે અથવા રોકાણ કરી શકે છે.

અમે અહીંયા સ્વ-રોજગાર અથવા નોન-સેલેરી વ્યક્તિઓ માટે 11 બચત યોજનાઓ વિશે જણાવીશું, જેમાં તેઓ રોકાણ કરીને તેમના જીવનને નાણાંકીય રીતે સુરક્ષિત બનાવી શકે છે.

પબ્લિક પ્રોવિડન્ટ ફંડ (PPF)

પબ્લિક પ્રોવિડન્ટ ફંડ (Public Provident Fund) (પીપીએફ) એકાઉન્ટનો ઉપયોગ લાંબા ગાળાની બચત યોજના તરીકે થઈ શકે છે જેમા વ્યક્તિ દર વર્ષે રૂ. 1.5 લાખ સુધીનું રોકાણ કરી શકે છે અને કલમ 80C હેઠળ કર-કપાતનો ફાયદો પણ ઉઠાવી શકે છે. 15 વર્ષ પછી મળતું વ્યાજ અને પાકતી મુદતની રકમ પણ કરમુક્ત છે. વધુમાં, PPF એકાઉન્ટ પ્રત્યેક 5 વર્ષના ગાળામાં લંબાવી શકાય છે.

નેશનલ પેન્શન સિસ્ટમ

સ્વ-રોજગાર ધરાવતા વ્યક્તિઓ પણ નેશનલ પેન્શન સિસ્ટમ (National Pension System) (NPS) એકાઉન્ટ ખોલાવી શકે છે અને બજાર સાથે જોડાયેલું રિટર્ન મેળવી શકે છે. વધુમાં એનપીએસ ખાતામાં દર વર્ષે રૂ. 50,000નું રોકાણ કલમ 80C હેઠળ રૂ. 1.5 લાખની મર્યાદા ઉપરાંત વધુ કપાતને પાત્ર છે. NPS હેઠળ વિવિધ મોડલ્સ છે જેના માટે તમારે આ પ્રોડક્ટની વધુ સારી સમજ માટે રિટાયરમેન્ટ પ્લાનરની જરૂર પડી શકે છે.

નેશનલ સેવિંગ્સ સર્ટિફિકેટ

નેશનલ સેવિંગ્સ સર્ટિફિકેટ (National Savings Certificates) 5 વર્ષની મુદત માટે પોસ્ટ ઓફિસમાંથી ખરીદી શકાય છે. NSC થાપણો પર હાલ વ્યાજદર 7.7% છે, જે ઘણી બેંક ફિક્સ્ડ ડિપોઝિટ યોજનાઓ કરતા ઉંચુ છે. NSCમાં રોકાણ પણ કલમ 80C હેઠળ કર કપાત મળે છે. નિવૃત્તિ માટે નાણાંકીય ભંડોળ ઉભું કરવા માટે તમે લાંબા ગાળે પાકતી મુદત પછી તેનું ફરીથી રોકાણ કરી શકો છો.

કિસાન વિકાસ પત્ર

તમે નેશનલ સેવિંગ્સ સર્ટિફિકેટની જેમ કિસાન વિકાસ પત્ર (Kisan Vikas Patra) પણ પોસ્ટ ઓફિસમાંથી ખરીદી શકો છો. હાલના 7.5 ટકાના વ્યાજદરે કિસાન વિકાસ પત્રમાં થાપણો 115 મહિનામાં બમણી થશે. જો કે તેમાં કોઈ કર પ્રોત્સાહન મળતું નથી.

પોસ્ટ ઓફિસ ડિપોઝિટ્સ

સ્વ-રોજગાર ધરાવતા વ્યક્તિઓ પોસ્ટ ઓફિસમાં ટાઇમ ડિપોઝિટ અને રિકરિંગ ડિપોઝિટ એકાઉન્ટ પણ ખોલી શકે છે (Post Office Deposits). કલમ 80C હેઠળ 5 વર્ષની પોસ્ટ ઑફિસ ટાઈમ ડિપોઝિટ કર કપાત માટે પાત્ર છે. પરંતુ પોસ્ટ ઓફિસની રિકરિંગ ડિપોઝીટ પર કોઈ કર લાભ મળતો નથી.

બેંક ડિપોઝિટ્સ

તમે બેંકમાં ફિક્સ્ડ ડિપોઝિટ એકાઉન્ટ (bank fixed deposit) પણ ખોલી શકો છો. 5 વર્ષની ટેક્સ સેવિંગ ફિક્સ્ડ ડિપોઝિટ કલમ 80C હેઠળ કર-કપાત માટે પાત્ર છે. હાલમાં, બેંકો ફિક્સ્ડ ડિપોઝિટ સ્કીમ પર 9 ટકા સુધીનું વ્યાજ ઓફર કરે છે . એક બેંકમાં 5 લાખ સુધીની થાપણને ડિપોઝિટ ઇન્સ્યોરન્સ એન્ડ ક્રેડિટ ગેરંટી કોર્પોરેશન (DICGC) દ્વારા વીમા સુરક્ષા પુરી પાડવામાં આવે છે.

ફિક્સ્ડ ઇન્કમ ઇન્વેસ્ટમેન્ટ

સ્વ-રોજગાર ધરાવતી વ્યક્તિઓ સરકારી સિક્યોરિટીઝ (G-Secs), RBI બોન્ડ્સ, કોર્પોરેટ બોન્ડ્સ અને કંપની ડિપોઝિટમાં પણ રોકાણ કરી શકે છે. G-Secs એટલે કે સરકારી જામીનગીરી સ્ટોક એક્સચેન્જો પર લિસ્ટેડ હોય છે પરંતુ તેઓ સામાન્ય રીતે ઓછા વ્યાજ દર ઓફર કરે છે. G-Secs પરનું વ્યાજ TDS ને આધીન નથી પરંતુ તે સંપૂર્ણપણે કરપાત્ર છે.

રોકાણકારો ખાનગી અને જાહેર ક્ષેત્રની કંપનીઓ દ્વારા જારી કરાયેલા કોર્પોરેટ બોન્ડ અને થાપણોનું પણ અન્વેષણ કરી શકે છે. આ બોન્ડની મુદત 2 થી 15 વર્ષ સુધીની હોય છે. જો કે તેમાં જોખમ રહેલુ હોય છે. લિસ્ટેડ કોર્પોરેટ બોન્ડ્સ પણ બજારના જોખમોને આધીન છે.

RBI 7 વર્ષના ફ્લોટિંગ રેટ બોન્ડ્સ પણ જારી કરે છે . વર્તમાન વ્યાજ દર 8.05% છે. આ બોન્ડ માટે લઘુત્તમ રોકાણની રકમ રૂ 1000 છે અને તેમાં રોકાણની કોઈ મહત્તમ મર્યાદા નથી.

ઇક્વિટીમાં રોકાણ

સ્વ-રોજગાર ધરાવતી વ્યક્તિઓ કંપનીઓના શેરોમાં સીધું રોકાણ કરી શકે છે અથવા IPO અને FPO માં ઇન્વેસ્ટમેન્ટ કરી શકે છે. જો કે, બજારની અસ્થિરતાને કારણે તેમાં જોખમનું સ્તર ઉંચું હોય છે.

મ્યુચ્યુઅલ ફંડ યોજનાઓ

શેર બજારની સરખામણીમાં મ્યુચ્યુઅલ ફંડ પ્રમાણમાં સલામત અને મુશ્કેલી-રહિત હોય છે પરંતુ તેમાં પણ ખુબ ઊંચુ જોખમ રહેલું હોય છે. મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરતા પહેલા તમારે હંમેશા નાણાકીય સલાહકારની સલાહ લેવી જોઈએ.

સોનું

લાંબા ગાળાના સંપત્તિ સર્જન માટે સોનાને સુરક્ષિત વિકલ્પ ગણવામાં આવે છે. જો કે, ભૌતિક રીતે સોનાનો સંગ્રહ કરવો મુશ્કેલ હોઇ શકે છે. રોકાણકારો લાંબા ગાળે પીળી કિંમતી ધાતુથી લાભ મેળવવા માટે સોવરિન ગોલ્ડ બોન્ડમાં રોકાણ કરવા માટે જોઈ શકે છે .

આ પણ વાંચોઃ બાળકોના નામે રોકાણ કરવું છે તો આ સ્કીમ રહેશે બેસ્ટ; દરરોજ 150 રૂપિયા બચાવો, 20 વર્ષે 70 લાખ મળશે

રિયલ એસ્ટેટ

રિયલ એસ્ટેટ એ પણ એક અન્ય વિકલ્પ છે જેનો ઉપયોગ ભાડા મારફત આવક મેળવવા માટે કે સંપત્તિ સર્જન માટે કરી શકાય છે. REITs જેવા વિકલ્પો પણ રિયલ એસ્ટેટ રોકાણમાંથી લાભ મેળવવાની વધારાની તક આપે છે. જો કે, રિયલ એસ્ટેટના ભાવમાં એકંદરે તમામ વૃદ્ધિ ઇકોનોમિક સાયકલ જેવી વિવિધ પરિસ્થિતિઓને આધીન છે. તેથી રિયલ એસ્ટેટ પ્રોપર્ટીમાં રોકાણ કરતી વખતે સાવધાની રાખવી જોઈએ.

Disclaimer : આ આર્ટિકલ Financial Express પરથી અનુવાદિત છે. મૂળ આર્ટીકલ તમે અહીંં વાંચી શકો છો.

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ