અદાણી ગ્રૂપ પર હિંડનબર્ગ રિપોર્ટ બાદ દેશમાં ખળભળાટ મચી ગયો છે. અદાણી ગ્રુપના શેર મંદીના સંકટમાંથી પસાર થઈ રહ્યા છે. આ દરમિયાન, કેન્દ્રીય નાણા પ્રધાન નિર્મલા સીતારમણે શનિવારે જણાવ્યું હતું કે, ભારતના નિયમનકારોને અદાણી જૂથ સાથે સંબંધિત મામલાની જાણ છે અને હિંડનબર્ગ રિસર્ચ રિપોર્ટ પછી ઊભી થયેલી પરિસ્થિતિને સંભાળવા સક્ષમ છે. મુંબઈમાં મીડિયાને સંબોધતા તેમણે કહ્યું કે, હંમેશાની જેમ આ વખતે પણ રેગ્યુલેટર પરિસ્થિતિને સંભાળશે.
ભારતના નિયમનકારો ખૂબ જ અનુભવી છે: નિર્મલા સીતારમણ
“ભારતના નિયમનકારો ખૂબ જ અનુભવી છે અને તેઓ તેમના ડોમેનમાં નિષ્ણાત છે,” સીતારામને ભારતીય રિઝર્વ બેંકના સેન્ટ્રલ બોર્ડ ઓફ ડિરેક્ટર્સની બેઠક પછી પત્રકાર પરિષદ દરમિયાન જણાવ્યું હતું. હિંડનબર્ગ રિસર્ચના આરોપોને પગલે અદાણી ગ્રૂપના શેરને ભારે ફટકો પડ્યો છે. હિંડનબર્ગે તેના રિપોર્ટમાં એકાઉન્ટિંગ ફ્રોડ, સ્ટોક મેનીપ્યુલેશન અને મની લોન્ડરિંગ જેવા આરોપો મૂક્યા હતા. ત્યારથી કંપનીઓના શેરના ભાવ ઝડપથી ઘટવા લાગ્યા.
નાણામંત્રીએ શનિવારે આરબીઆઈના સેન્ટ્રલ બોર્ડ ઓફ ડિરેક્ટર્સને વર્ષ 2023-24 માટે તાજેતરમાં રજૂ કરાયેલા કેન્દ્રીય બજેટ વિશે માહિતી આપી હતી. પ્રેસ કોન્ફરન્સ દરમિયાન, સીતારમણે કહ્યું કે, નવી કર વ્યવસ્થા બજેટના કેન્દ્રબિંદુઓમાંથી એક છે. CBDT અનુસાર, 10 ફેબ્રુઆરી, 2023 સુધી, પ્રત્યક્ષ કર સંગ્રહમાં સતત વધારો થઈ રહ્યો છે. ગ્રોસ કલેક્શન 15.67 લાખ કરોડ રૂપિયા છે. ગત વર્ષની સરખામણીમાં 24.09%નો વધારો થયો છે. તો, ગયા વર્ષની સરખામણીમાં 18.4%ના વધારા સાથે પ્રત્યક્ષ કર સંગ્રહ 12.98 લાખ કરોડ છે.
ડિજિટલ અસ્કયામતોમાં વધારા વિશે વાત કરતા, સીતારમણે કહ્યું કે, ભારત એક સામાન્ય માળખા દ્વારા ક્રિપ્ટોકરન્સીનું નિયમન કરવા માટે G20 દેશો સાથે વાતચીત કરી રહ્યું છે. તેમણે કહ્યું, “ક્રિપ્ટોમાં ઘણી બધી ટેકનોલોજીનો સમાવેશ થાય છે, તેમાંથી 99 ટકા ટેકનોલોજી છે. અમે તમામ દેશો સાથે વાત કરી રહ્યા છીએ કે, જો તમામ દેશો પ્રમાણભૂત ઓપરેટિંગ પ્રક્રિયા હાંસલ કરી શકે… જે નિયમનકારી માળખાને અનુસરતી વખતે અસરકારક રહેશે.
આ પણ વાંચો – Adani High Leverage Ratio: અદાણી જૂથના ઉચ્ચ લીવરેજ રેસિયોની તપાસ, અન્ય ભારતીય કંપનીઓ પણ પાછળ નથી
ગૌતમ અદાણી કેસમાં સેબીએ તપાસ શરૂ કરી
આ સાથે જ ગૌતમ અદાણીની કંપનીઓ અંગે હિંડનબર્ગના રિપોર્ટ બાદ સેબીએ તપાસ શરૂ કરી છે. સુપ્રીમ કોર્ટે સેબીને પોતાનું સ્ટેન્ડ રજૂ કરવા પણ કહ્યું છે. ઇન્ડિયન એક્સપ્રેસે રોઇટર્સને ટાંકીને જણાવ્યું હતું કે, સેબીની તપાસ અદાણી એન્ટરપ્રાઇઝિસના રદ કરાયેલા FPOમાં બે એન્કર રોકાણકારો સાથે સંબંધિત છે.