બજેટ 2023 નાણાં મંત્રા નિર્મલા સીતારમન દ્વારા રજૂ કરવામાં આવશે. આગામી બજેટ 2023થી ગુજરાતના રિટેલ અને હોલસેલ વેપારીઓ ઘણી આશા-અપેક્ષાઓ રાખી રહ્યા છે. ગુજરાત ટ્રેડ ફેડરેશન (Gujarat Traders Federation) અને ઓલ ઇન્ડિયા વ્યાપાર મંડળ ફેડરેશન ( All India Vyapar Mandal Fereration)ના ચેરમેન જયેન્દ્ર તન્નાએ જણાવ્યું કે, આગામી બજેટમાં અમે નાના વેપારીઓ સરકારી દ્વારા પેન્શન યોજના અને વીમા યોજના શરૂ કરવામાં આવે તેવી ભલામણ કરી છે.
તેમણે ઉમેર્યુ કે, વ્યક્તિઓ અને કંપનીઓ પાસેથી તેમની વાર્ષિક આવક/ કમાણીના આધારે વસૂલવામાં આવતા ઇન્કમ ટેક્સના બદલે હવે બેંક ટ્રાન્ઝેક્શન ટેક્સ (BTT) લાગુ કરવાની ભલામણ કરાઇ છે. ઉપરાંત જ્યાં સુધી વાર્ષિક ઇન્કમ ટેક્સના સ્થાને બેન્ક ટ્રાન્ઝેક્શન ટેક્સ (BTT) લાગુ ન થાય ત્યાં સુધી આવકવેરા મુક્તિ વધારીને 7 લાખ રૂપિયા કરવી જોઈએ. જીએસટી ચોરીને રોકવા માટે “સિંગલ પોઈન્ટ GST” પોલિસી તેમજ સ્થાનિક રિટેલ વેપારીઓના રક્ષણ હેતુ ઓનલાઇન બિઝનેસ અને ઇ-કોમર્સ સેક્ટર માટે કડક નીતિનિયમો લાગુ થાય તેવી અપેક્ષા રાખવામાં આવી રહી છે.
બજેટ 2023થી મુખ્ય 8 અપેક્ષાઓ
- “સિંગલ પોઈન્ટ GST” : વ્યાપક GST ચોરી અને કરચોરીના કૌભાંડને રોકવા માટે વર્ષ 2017થી અમારા દ્વારા સૂચવવામાં આવેલી “સિંગલ પોઈન્ટ GST”ને પોલિસી ચેન્જ તરીકે અપનાવવી જોઈએ. માલસામાનના વેચાણ પર રેવન્યૂ લોસને ટાળવા માટે નવા વાજબી રીતે MRP પર અંતિમ મેન્યુફેક્ચરિંગ પોઇન્ટ પર જ વન ટાઇમ ટેક્સ લાદવો જોઇએ, કારણ કે આવી છેતરપિંડી ફક્ત વેચાણમાં જ શક્ય છે.
- ઇ-કોમર્સ માટે કડક નીતિ : ઓનલાઇન બિઝનેસ કરતી કંપનીઓ અને ઇ-કોમર્સ સેક્ટર માટે કડક નીતિ-નિયમોની સાથે સાથે રિટેલ વેપાર માટે નેશનલ ટ્રેડ પોલિસી બનાવવાની જરૂરી છે.
- આવકવેરાના બદલે BTT લાગુ કરો : વ્યક્તિઓ અને કંપનીઓ પાસેથી તેમની વાર્ષિક આવક/ કમાણીના આધારે વસૂલવામાં આવતા ઇન્કમ ટેક્સના બદલે હવે બેંક ટ્રાન્ઝેક્શન ટેક્સ (BTT) લાગુ કરવાની ભલામણ, જેમાં તમામ બિઝનેસ સંબંધિત ટ્રાન્ઝેક્શનો પર એક ટકા અથવા બે ટકા ટેક્સ વસૂલવો જોઈએ જે ફક્ત બેંકો દ્વારા જ વસૂલવામાં આવે તેવી વ્યવસ્થા સ્થાપિત કરવી જોઇએ.
- આવકવેરા મુક્તિ મર્યાદા વધારો : જ્યાં સુધી વાર્ષિક ઇન્કમ ટેક્સના સ્થાને બેન્ક ટ્રાન્ઝેક્શન ટેક્સ (BTT) લાગુ ન થાય ત્યાં સુધી આવકવેરા મુક્તિ વધારીને 7 લાખ રૂપિયા કરવી જોઈએ.
- GSTના નિયમો હળવા કરવા : ગુડ્સ અને સર્વિસ ટેક્સ (GST) ટેક્સના નિયમો સરળ કરવાની જરૂર છે, જે બાબતે વેપારી વર્ગના સૂચનો પણ ધ્યાનમાં લેવા જોઈએ.
- ખેડૂતોની જેમ વેપારીઓ માટે પેન્શન યોજના : ખેડૂતોની જેમ વેપારીઓ માટે પણ પેન્શન યોજના રજૂ કરવાની માંગણી કરવામાં આવી છે. જેવી રીતે 60 વર્ષ બાદ ખેડૂતોને પેન્શન આપવાની યોજના છે તેવી જ રીતે વેપારીઓને પણ પેન્શન આપવાની ભલામણ કરવામાં આવી રહી છે. વેપારીઓ દ્વારા ચૂકવાતા કરવેરાના આધારે પેન્શનની રકમ નક્કી કરવી જોઇએ.
- વેપારીઓ માટે વીમા યોજના.
- તમામ ટાઉન પ્લાનિંગ સ્કીમમાં સ્પેશિયલ રિટેલ ટ્રેડ ઝોનની રચના કરવાનું સૂચન.