Interim Budget 2024: નાણાં મંત્રી નિર્મલા સીતારમન નાણાકીય વર્ષ 2024-25 માટેનું વચગાળાનું બજેટ 1 ફેબ્રુઆરી 2024ના રોજ સંસદમાં રજૂ કરશે. મહિલા નાણા મંત્રી નિર્મલા સીતારમણનું આ છઠ્ઠું બજેટ હશે. કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારનું આ 12મું બજેટ હશે. એપ્રિલ-મે 2024માં સામાન્ય ચૂંટણીઓ યોજાવા જઈ રહી છે. જેના કારણે આ વર્ષે 1 ફેબ્રુઆરીએ વચગાળાનું બજેટ રજૂ કરવામાં આવશે. આ બજેટમાં સરકાર માત્ર 4 મહિના માટે પ્રસ્તાવ રજૂ કરશે. ચૂંટણી પરિણામોની જાહેરાત બાદ કેન્દ્રમાં નવી સરકાર સત્તામાં આવ્યા બાદ સંપૂર્ણ બજેટ રજૂ કરવામાં આવશે. આવો જાણીએ દેશના બજેટ સાથે જોડાયેલા કેટલાક રસપ્રદ તથ્યો…
બજેટ રજૂ કરવાની તારીખમાં ફેરફાર (Budget Time)
2016સુધી, કેન્દ્રીય બજેટ પરંપરાગત રીતે ફેબ્રુઆરીના છેલ્લા કાર્યકારી દિવસે રજૂ કરવામાં આવતું હતું. એટલે કે 28 કે 29 ફેબ્રુઆરી. પરંતુ તે પછી વર્ષ 2017માં છેલ્લા દિવસને બદલે ફેબ્રુઆરીના પ્રથમ દિવસે બજેટ રજૂ કરવાની પરંપરા શરૂ થઈ. તત્કાલિન નાણામંત્રી અરુણ જેટલીએ પહેલીવાર 1 ફેબ્રુઆરી 2017ના રોજ દેશનું સામાન્ય બજેટ રજૂ કર્યું હતું.

બજેટ રજૂ કરવાની તારીખ બદલવાનું કારણ એ હતું કે દેશમાં નાણાકીય વર્ષનું ચક્ર એપ્રિલથી માર્ચ સુધીનું હોય છે. ફેબ્રુઆરીની છેલ્લી તારીખે બજેટ રજૂ કરવામાં આવ્યું હોવાથી, નવા નાણાકીય વર્ષની શરૂઆત પહેલા બજેટ દરખાસ્તોના અમલીકરણને લગતી પ્રક્રિયાઓ પૂર્ણ થઈ શકી ન હતી. જેના કારણે નવા નાણાકીય વર્ષ માટે નીતિઓ ઘડવામાં અને બજેટ દરખાસ્તો લાગુ કરવામાં વિલંબ થતો હતો. બજેટ પ્રસ્તાવો સંબંધિત પ્રક્રિયાઓ નવુ નાણાંકીય વર્ષ શરૂ થવાની પહેલા સમયસર પૂર્ણ કરી શકાય, તેની માટે બજેટ રજૂ કરવાની તારીખ બદલવામાં આવી. તેના કારણે આર્થિક સર્વે રજૂ કરવાની તારીખ પણ બદલીને 31 જાન્યુઆરી થઇ છે.
બજેટ રજૂ કરવાના સમયમાં ફેરફાર (Budget Time)
1999 સુધી સંસ્થાનવાદી પરંપરાને અનુસરીને, કેન્દ્રીય બજેટ સાંજે 5 વાગ્યે રજૂ કરવામાં આવતું હતું. સાંજે બજેટ રજૂ કરવાની પરંપરા અંગ્રેજોના સમયથી ચાલી આવે છે. વાસ્તવમાં બ્રિટનમાં બજેટ સવારે 11 વાગ્યે રજૂ કરવામાં આવે છે. આઝાદી પહેલા આ બજેટમાં ભારત માટે બજેટની ફાળવણીનો પણ સમાવેશ થતો હતો. તેથી, ભારતમાં પણ એક જ સમયે બજેટ રજૂ કરવું જરૂરી હતું. જ્યારે બ્રિટનમાં સવારના 11 વાગે છે ત્યારે ભારતમાં સાંજના 5 વાગે છે. તેથી ભારતમાં બજેટ રજૂ કરવાનો સમય સાંજે 5 વાગ્યાનો હતો.
ત્યારબાદ 27 ફેબ્રુઆરી 1999ના રોજ અટલ બિહારી વાજપેયીની આગેવાની હેઠળની એનડીએ સરકાર દરમિયાન તત્કાલીન નાણામંત્રી યશવંત સિન્હાએ સવારે 11 વાગ્યે પ્રથમ વખત સામાન્ય બજેટ રજૂ કર્યું હતું. ત્યારથી દેશમાં બજેટ સવારે 11 વાગ્યે રજૂ થવાનું શરૂ થયું હતું.
હલવા સેરેમની (Budget Halwa Ceremony)
બજેટની રજૂઆતના એક સપ્તાહ પહેલા ‘હલવા સેરેમની’ યોજવામાં આવે છે. તેમા નાણામંત્રી નાણા મંત્રાલયના અધિકારીઓમાં ‘હલવા’નું વિતરણ કરે છે. છે. આ હલવા સેરેમની સાથે બજેટને આખરી ઓપ આપવાનું કામ શરૂ થાય છે. આ સેરેમની બાદ બજેટના પ્રિન્ટિંગ સાથે સંબંધિત નાણા મંત્રાલયના કર્મચારીઓ પ્રિન્ટિંગ શરૂ થવાથી લઇને બજેટ રજૂ થવા સુધી નોર્થ બ્લોકના બેસમેન્ટમાં બનેલી પ્રિન્ટિંગ પ્રેસમાં જ રહે છે, જેથી બજેટની ગોપનિયતા જળવાઈ રહે. આ દરમિયાન કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. કેન્દ્રીય નાણામંત્રી સંસદમાં બજેટ રજૂ કરે ત્યારબાજ જ આ અધિકારીઓ અને કર્મચારીઓ તેમના પ્રિયજનોને મળે છે. આ સમયગાળાને લોક ઇન પિરિયડ કહેવામાં આવે છે. ડિજિટલ પદ્ધતિઓ અપનાવવાથી લોક-ઇન પિરિયડ બે અઠવાડિયાથી ઘટાડીને માત્ર 5 દિવસનો થઈ ગયો છે.
ડિજિટલ/પેપરલેસ બજેટ (Digital / Paperless Budget)
કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને, નાણાકીય વર્ષ 2021-22 માટેનું કેન્દ્રીય બજેટ એટલે કે બજેટ 2021 પ્રથમ વખત પેપરલેસ સ્વરૂપમાં રજૂ કરવામાં આવ્યું હતું. સંસદના સભ્યો (સાંસદ) અને સામાન્ય લોકો દ્વારા બજેટ દસ્તાવેજોની મુશ્કેલી મુક્ત ઍક્સેસ માટે ‘યુનિયન બજેટ મોબાઇલ એપ’ પણ લોન્ચ કરવામાં આવી હતી. આ પછી, બજેટ 2022 અને બજેટ 2023 પણ પેપરલેસ રહ્યા. ડિજિટલ બજેટિંગ હવે એક ટેબમાં રહે છે.
બ્રીફકેસ પરંપરા બંધ
2018 સુધી દેશના કેન્દ્રીય નાણામંત્રી લેધરની બ્રીફકેસમાં બજેટને સંસદમાં લઈ જતા હતા. પરંતુ આ પરંપરા હવે ખતમ થઈ ગઈ છે. નાણામંત્રી નિર્મલા સીતારમણે વર્ષ 2019થી એક નવી પરંપરા શરૂ કરી, જેમાં તેમણે લાલ કપડા અથવા પાઉચમાં બજેટ લાવવાનું શરૂ કર્યું. તેને ભારતીય બહીખાતા નામ આપવામાં આવ્યું હતું.
બજેટ બે ભાગમાં હોય છે
કેન્દ્રીય બજેટમાં બે ભાગ હોય છે – વાર્ષિક નાણાકીય નિવેદન અથવા આવક અને ખર્ચ. વાર્ષિક નાણાકીય નિવેદન એ આગામી નાણાકીય વર્ષ માટે સરકારની આવકનો સારાંશ છે. બીજા ભાગમાં, જેને ડિમાન્ડ ફોર ગ્રાન્ટ્સ પણ કહેવાય છે, તે રૂપરેખા દર્શાવે છે કે સરકાર નવા નાણાકીય વર્ષમાં ક્યાં ખર્ચ કરશે.

સંસદીય પ્રક્રિયા
નાણામંત્રી એક ભાષણમાં કેન્દ્રીય બજેટ રજૂ કરે છે. આ પછી લોકસભામાં તેના પર ચર્ચા અને મતદાન થાય છે.
રાષ્ટ્રપતિની મંજૂરી
સંસદમાં કેન્દ્રીય બજેટ રજૂ કરતા પહેલા, નાણામંત્રી મંજૂરી મેળવવા માટે રાષ્ટ્રપતિ ભવન ખાતે રાષ્ટ્રપતિને મળે છે. નાણામંત્રી બજેટ અને નાણા મંત્રાલયની બજેટ ટીમ સાથે રાષ્ટ્રપતિ ભવન પહોંચે છે. આ પરંપરા ઘણા વર્ષોથી ચાલી આવે છે.
માત્ર 800 શબ્દોનું બજેટ
દેશમાં આવું બજેટ ભાષણ પણ બન્યું છે, જે માત્ર 800 શબ્દોનું હતું. આવું ટૂંકું બજેટ ભાષણ હીરુભાઈ મુલજીભાઈ પટેલે 1977માં આપ્યું હતું. ભારતના ઈતિહાસમાં આ સૌથી ટૂંકું બજેટ ભાષણ હોવાનું કહેવાય છે. હિરુભાઈ મુલજીભાઈ પટેલ 26 માર્ચ 1977ના રોજ મોરારજી દેસાઈ સરકારમાં નાણામંત્રી બન્યા. તેઓ દેશના 11મા નાણામંત્રી હતા. તેમણે 24 જાન્યુઆરી 1979 સુધી નાણામંત્રી તરીકે સેવા આપી હતી.
આ પણ વાંચો | ઘરમાં કેટલી રોકડ રકમ રાખી શકાય? આવકવેરાના આ 7 નિયમ જાણી લો, નહીંત્તર મુશ્કેલીમાં મુકાશો
બજેટ લીક થયું
વર્ષ 1950 સુધી બજેટના દસ્તાવેજોનું પ્રિન્ટિંગ રાષ્ટ્રપતિ ભવનમાં થતુ હતુ. પરંતુ વર્ષ 1950માં બજેટના કેટલા દસ્તાવેજો લીક થઇ ગયા હતા. ત્યારબાદ બજેટના દસ્તાવેજોનું પ્રિન્ટિંગ નવી દિલ્હીના મિંટો રોડ સ્થિત પ્રેસમાં થતુ હતુ. ત્યાર પછી ફરી એક વાર બજેટ પ્રિન્ટિંગનું સ્થળ બદલવામાં આવ્યું અને વર્ષ 1980થી બજેડ ડોક્યુમેન્ટનું પ્રિન્ટિંગ કેન્દ્રીય સચિવાલય બિલ્ડિંગ (Cetral Secretarial Of Secretarial Building)ના નોર્થ બ્લોકના બેસમેન્ટમાં આવેલા પ્રિન્ટિંગ પ્રેસમાં થાય છે. નાણાં મંત્રાલય પણ આ બ્લિડિંગમાં નોર્થ બ્લોકમાં આવેલું છે.





