/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/03/Add-a-heading-2023-03-28T175936.029.jpg)
EPFO નાણાંકીય વર્ષ 2022-23 માટે વ્યાજદર વધારીને 8.15 ટકા કર્યો. Photograph: (Social Media)
EPFO New Rules : પીએફ ખાતામાંથી પૈસા ઉપાડવા મામલે ઘણા લોકો મૂંઝવણ અનુભવે છે. વિવિધ શરતો, વેઇટિંગ પિરિયડ અને નાના ટેકનિકલ કારણોસર પીએફ વિથડ્રોલ ક્લેમ રિજેક્ટ થવું ખુબ જ પરેશાન કરે છે. તાજેતરમાં, કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (ઇપીએફઓ) એ આ બધી બાબતોને ઠીક કરવા માટે પીએફ ઉપાડવાના નિયમોને સરળ બનાવ્યા છે, જેના કારણે સભ્યો માટે જરૂર પડે ત્યારે તેમના પૈસા ઉપાડવાનું સરળ બન્યું છે.
ગયા વર્ષે ઓક્ટોબરના અંતમાં જાહેર કરાયેલા નવા નિયમો હેઠળ, ઇપીએફઓ સભ્યો માટે તમામ આંશિક ઉપાડને એક સરળ માળખામાં લાવવામાં આવ્યા છે.
પહેલાં શું સમસ્યા હતી?
અમારા સહયોગી ફાઇનાન્સિયલ એક્સપ્રેસના જણાવ્યા અનુસાર, પીએફ ઉપાડ અગાઉ 13 વિવિધ જોગવાઇઓ લાગુ પડતી હતી. જેમા કર્મચારીએ મિનિમમ સર્વિસ પિરિયડ પુરો કરવો પડતો હતો, જેમા પીએફ સભ્યો એ બે થી સાત વર્ષ સુધી સર્વિસ પૂર્ણ કરવી પડતી હતી, જેના કારણે ઘણીવાર મૂંઝવણ અને ક્લેમ રિજેક્ટ થાય છે.
વધુમાં, પીએફ ઉપાડ મોટે ભાગે કર્મચારીના પોતાના યોગદાન અને વ્યાજ સુધી મર્યાદિત હતો, જે સામાન્ય રીતે 50% અને 100% ની વચ્ચે હતો. આનાથી કટોકટીમાં પણ પીએફ ભંડોળનો ઉપયોગ કરવો મુશ્કેલ બન્યો.
હવે નવો નિયમ શું છે?
નવા નિયમો હેઠળ, આંશિક ઉપાડની તમામ જોગવાઈઓને એક સામાન્ય સિસ્ટમમાં મર્જ કરવામાં આવી છે. સૌથી મોટી રાહત એ છે કે લગભગ તમામ પ્રકારના ઉપાડ માટે લઘુત્તમ સર્વિસનો સમયગાળો ઘટાડીને માત્ર 12 મહિના કરવામાં આવ્યો છે.
વધુ મહત્ત્વની વાત એ છે કે, હવે જે રકમ ઉપાડવાની છે તેમાં કર્મચારી અને એમ્પ્લોયર બંનેનું યોગદાન તેમજ વ્યાજ શામેલ છે. એટલે કે હવે કોઈ સભ્ય કુલ પાત્ર પીએફ બેલેન્સના 75 ટકા સુધી ઉપાડી શકે છે, જે પહેલા કરતા ઘણું વધારે છે.
શું પીએફ ખાતામાંથી 100% રકમ ઉપાડી શકાય છે?
નિયમ મુજબ અનુસાર, 12 મહિનાની સેવા પૂર્ણ કર્યા પછી, સભ્ય 5 પરિસ્થિતિઓમાં પાત્ર પીએફ બેલેન્સના 100 ટકા સુધી ઉપાડી શકે છે.
પોતાની અથવા કુટુંબની તબીબી સારવાર માટે
એક નાણાકીય વર્ષમાં ત્રણ વખત ઉપાડી શકાય છે.
સ્વ-અભ્યાસ અથવા બાળકોના શિક્ષણ માટે
સમગ્ર પીએફ મેમ્બરશિપ દરમિયાન 10 વખત સુધી મંજૂરી આપવામાં આવે છે.
પોતાના અથવા બાળકોના લગ્ન માટે
સભ્યપદ દરમિયાન પાંચ વખત સુધી મંજૂરી આપવામાં આવે છે.
ઘરની જરૂરિયાતો માટે (ખરીદી, મકાન, હોમ લોનની ચુકવણી વગેરે)
સભ્યપદ દરમિયાન પાંચ વખત સુધી મંજૂરી આપવામાં આવે છે.
ખાસ સંજોગોમાં, જ્યાં કોઈ ચોક્કસ કારણ આપવાની જરૂર નથી.
એક નાણાકીય વર્ષમાં બે વાર સુધી મંજૂરી આપવામાં આવે છે.
EPFO પીએફ બેલેન્સના 25 ટકા રકમ કેમ બચાવી રાખે છે?
નવા નિયમો ઉપાડને સરળ બનાવી રહ્યા છે. તો બીજી બાજુ, EPFO પીએફ સભ્યોની નિવૃત્તિ બચત ભંડોળને સુરક્ષિત રાખવાનો પણ પ્રયાસ કરી રહ્યું છે. ડેટા દર્શાવે છે કે વારંવાર ઉપાડ લાંબા ગાળાની સુરક્ષાને નુકસાન પહોંચાડે છે.
હકીકતમાં, અંતિમ સેટલમેન્ટ સમયે અડધા પીએફ સભ્યો પાસે તેમના પીએફ ખાતામાં 20000 રૂપિયાથી ઓછા હતા અને લગભગ 75 ટકા પાસે 50000 રૂપિયાથી ઓછા હતા.
ઘણી ઓછી આવક ધરાવતા કર્મચારીઓને 8.25 ટકાના લાંબા ગાળાના કમ્પાઉન્ડિંગનો લાભ મળ્યો ન હતો, કારણ કે તેઓ વારંવાર પૈસા ઉપાડતા હતા. આને રોકવા માટે, ઇપીએફઓ એ પીએફ બેલેન્સના 25 ટકા રકમ સુરક્ષિત રાખવાનું ફરજિયાત કર્યું છે જેથી પીએફ મેમ્બરને નિવૃ્તિ બાદ નાણાંકીય સુરક્ષા મળી રહે.
જો નોકરી જતી રહે તો શું થાય છે?
આ નિયમો બેરોજગારી દરમિયાન પણ રાહત આપે છે.
ફાઇનાન્સિયલ એક્સપ્રેસના જણાવ્યા અનુસાર, પીએફ બેલેન્સના 75 ટકા (કર્મચારી અને એમ્પ્લોયરના યોગદાન તેમજ વ્યાજ સહિત) તાત્કાલિક ઉપાડી શકાય છે. બાકીના 25 ટકા એક વર્ષ પછી ઉપાડી શકાય છે. કેટલાક કિસ્સાઓમાં, સંપૂર્ણ પીએફ બેલેન્સ (બાકીના 25% સહિત) સંપૂર્ણ ઉપાડની મંજૂરી આપવામાં આવે છે. જેમાં 55 વર્ષની ઉંમર પછી નિવૃત્તિ, કાયમી અપંગતા, છટણી, સ્વૈચ્છિક નિવૃત્તિ અથવા કાયમી ધોરણે ભારત છોડવાનો સમાવેશ થાય છે.
શું તેનાથી તમારા પેન્શનને અસર કરશે?
ના, આ ફેરફારો કર્મચારી પેન્શન યોજના હેઠળના પેન્શન લાભોને અસર કરતા નથી. સભ્ય 10 વર્ષની સેવા પૂર્ણ કરતા પહેલા પેન્શન ડિપોઝિટ ઉપાડી શકે છે, પરંતુ નિવૃત્તિ પછી માસિક પેન્શન મેળવવા માટે, ઓછામાં ઓછા 10 વર્ષનું ઇપીએસ સભ્યપદ ફરજિયાત છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us