ભારતીયોનો સોના પ્રત્યેનો મોહ જગજાહેર છે. અમેરિકન ડૉલરની મજબૂતી અને બુલિયન માર્કેટમાં નરમાઇને કારણે સોનાની કિંમતમાં ઘટાડો જોવા મળ્યો છે. આ સમય દરમિયાન સોનું ખરીદનારાઓ માટે સુવર્ણ તક છે. તહેવારોની સિઝન, ધનતેરસ અને દિવાળીમાં સોનાની જંગી ખરીદી કરવામાં આવી છે. ભારતમાં સોનાની વાસ્તવિક કિંમત ઉપરાંત તેના પર ટેક્સ પણ લાગે છે, જેના કારણે વૈશ્વિક બજારની તુલનાએ ભારતમાં તેની કિંમત ઘણી ઉંચી હોય છે.
કેટલાક ભારતીયો દુબઇ ફરવા જાય ત્યારે પરત આવતી વખતે સોનાના સિક્કા કે લગડી અથવા સોનાના દાગીના ખરીદીને સાથે લાવતા હોય છે. નોંધનિય છે કે, દુબઇમાં સોના પર કોઇ ટેક્સ લાગતો ન હોવાથી ત્યાં.તેની કિંમતો ભારતની તુલનાએ ઓછી હોય છે. જો તમે પણ દુબઈથી સોનું ખરીદીને લાવવાની યોજના બનાવી રહ્યા હોવ તો તમારે ભારતમાં લાગુ પડતા નિયમો અને ટેક્સ વિશે જાણવું અત્યંત જરૂરી છે.
તમે દુબઈથી ગમે તેટલાં પ્રમાણમાં સોનું લાવી શકતા નથી અને તમે માત્ર એક જ વાર દુબઈથી સોનું ખરીદી શકો છો. ભારત સરકારના નિયમો અનુસાર કોઈ વ્યક્તિ દુબઈથી એક કિલોથી વધારે સોનું અથવા સોનાના દાગીના ભારતમાં લાવી શકે નહીં. ઉપરાંત તમે દુબઈથી લાવેલા સોનાનો નફો મેળવવા વેચાણ કરી શકતા નથી.
કેટલો ટેક્સ ચૂકવવો પડે?
દુબઈથી સોનું ખરીદીને ભારતમાં લાવવા પર તમારે ટેક્સ ચૂકવવો પડે છે. સેન્ટ્રલ બોર્ડ ઓફ ઇનડાયરેક્ટ ટેક્સીસ એન્ડ કસ્ટમ્સ (CBIC) અનુસાર, “જો કોઈ વ્યક્તિ છ મહિના કરતા વધારે સમય દુબઈમાં રહે છે, તો ભારતીય પાસપોર્ટધારકો અને વ્યક્તિઓએ 12.5 ટકા જકાત ઉપરાંત 1.25 ટકા સામાજિક કલ્યાણ સરચાર્જ ચૂકવવો છે અને તે ભારતીય મૂળના લોકો પર લાગુ થાય છે.” અન્ય કિસ્સાઓમાં, વ્યક્તિએ ભારતમાં લાવવામાં આવેલા સોના પર 38.5 ટકાની કસ્ટમ ડ્યુટી ચૂકવવી પડશે.
કેટલું અને કેટલા મૂલ્યનું સોનું લાવી શકાય?
જો તમે આયાત જકાત ચૂકવવાથી બચવા ઇચ્છતા હોવ તો તમારે ગીફ્ટ અથવા રકમને જકાત મુક્ત મર્યાદામાં રાખવી જોઈએ. CBICની અનુસાર, એક પ્રવાસી વ્યક્તિ જે એક વર્ષ કરતા વધારે સમયથી વિદેશમાં રહે છે તે 20 ગ્રામ સોનાના દાગીના ભારતમાં લાવી શકે છે, જેની કિંમત 50,000 રૂપિયાથી વધારે હોવી જોઇએ નહીં. જ્યારે મહિલાઓના કિસ્સામાં ગીફ્ટની જકાત મુક્ત મર્યાદા 40 ગ્રામ સોનાના દાગીનાની છે, જેની મહત્તમ કિંમત 1,00,000 રૂપિયા હોવી જોઇએ.