/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/07/આજનો-ઇતિહાસ-8-જુલાઇ-40.jpg)
Edible oil price: ભારત સમગ્ર વિશ્વમાં ખાદ્યતેલનો સૌથી મોટો આયાતકાર અને વપરાશકાર દેશ છે
Groundnut oil, Cottonseed oil price increase: ટામેટાના લાલધૂમ ભાવથી પરેશાન ગૃહિણીઓ સામે હવે ખાદ્યતેલોના વધી રહેલા ભાવ નવી મુશ્કેલી ઉભી કરી રહ્યા છે. દર વખતની જેમ શ્રાવણ મહિનો શરૂ થતા જ સીંગતેલ સહિતના વિવિધ ખાદ્યતેલોના ભાવ વધી રહ્યા છે. જેમાં સીંગતેલના ભાવ સૌથી ઝડપી વધ્યા છે.
સીંગતેલના 15 કિલોના ડબાનો ભાવ 3200 રૂપિયા
શ્રાવણ માસ આવતા જ સીંગતેલ મોંઘુ થઇ રહ્યુ છે અને 15 કિલોના એક ડબાનો ભાવ 3200 રૂપિયાને સ્પર્શી ગયા છે. મંગળવારે અમદાવાદના તેલ બજારમાં 15 કિલોના સીગતેલના નવા ડબાનો ભાવ 20 રૂપિયા વધીને 3200 રૂપિયા થયો હતો. તમામ ખાદ્યતેલોમાં સૌથી મોંઘા ગણાતા સીંગતેલના ભાવ સૌથી ઝડપી વધ્યા છે. 30 જૂનના રોજ સ્થાનિક બજારમાં સીંગતેલના 15 કિલોના નવા ડબાનો ભાવ 2980 રૂપિયા અને 19 જૂને 3000 રૂપિયા હતો. આમ એક મહિનામાં સીંગતેલમાં 200 રૂપિયાનો ભડકો થયો છે.
સીંગતેલ પાછળ કપાસિયા, સનફ્લાવર અને સરસવ તેલ પણ મોંઘા થયા
ખાદ્યતેલોમાં સીંગતેલ સૌથી મોંઘુ છે અને તેના ભાવ વધતા અન્ય ખાદ્યતેલોના ભાવ વધવા લાગે છે. અમદાવાદમાં આજે કપાસિયા તેલના 15 કિલોના નવા ડબાનો ભાવ 10 રૂપિયા વધીને 1800 રૂપિયા થયો છે. તેવી જ રીતે એક જ દિવસમાં સરસવ તેલમાં 30 રૂપિયાનો ભાવ વધારો થયો છે. આમ છેલ્લા એક મહિનામાં કપાસિયા તેલનો 15 કિલોનો ડબો 20 રૂપિયા, સનફ્લાવર તેલનો 50 રૂપિયા અને સરસવ તેલનો ડબો 80 રૂપિયા મોંઘો થયો છે. હાલ સૌથી સસ્તા ખાદ્યતેલ ગણાતા પામોલીન તેલના ભાવ એક મહિનામાં ડબે 50 રૂપિયા ઘટ્યા છે.
| ખાદ્યતેલ | 19 જૂન 2023 | 18 જુલાઇ 2023 | વધ-ઘટ | |
|---|---|---|---|---|
| સીંગતેલ | 3000 | 3200 | +200 | |
| કપાસિયા તેલ | 1780 | 1800 | +20 | |
| સનફ્લાવર તેલ | 1650 | 1700 | +50 | |
| સોયાબીન તેલ | 1800 | 1800 | -- | |
| સરસવ તેલ | 1850 | 1930 | +80 | |
| પામતેલ | 1550 | 1500 | -50 |
ખાદ્યતેલના ભાવ કેમ વધ્યા
સામાન્ય રીતે શ્રાવણ મહિનામાં ખાદ્યતેલોનો વપરાશ વધારે થાય છે. આથી દર વર્ષે ઓગસ્ટથી દિવાળી દરમિયાન ખાદ્યતેલોના ઉંચા રહે છે. ઉપરાંત ચોમાસામાં મગફળી, કપાસ જેવા તેલીબિયાં પાકોનું વાવેતર થાય છે, જે આ વખતે ઓછા વરસાદના લીધે વાવેતર વિસ્તાર ઓછું રહેવાનું આશંકા છે. આથી સીંગતેલના ભાવ બહુ ઝડપથી વધ્યા છે.
મુંબઈઃ નાણાકીય વર્ષ 2022-23માં નવી ઊંચાઈને સ્પર્શ્યા પછી, દક્ષિણ એશિયાના દેશોની મજબૂત માંગને કારણે ચાલુ નાણાકીય વર્ષમાં ભારતની મગફળીની નિકાસની સારી શરૂઆત થઈ છે. આર્જેન્ટિનામાં ઓછો પાક ભારતીય નિકાસકારોને વિદેશી બજારો કબજે કરવામાં મદદ કરે છે, જે તેઓ વધતા સ્થાનિક ઉત્પાદન સાથે સપ્લાય કરવામાં સક્ષમ છે.
ભારતીય કૃષિ મંત્રાલયના ત્રીજા એડવાન્સ અંદાજ મુજબ, વર્ષ 2022-23માં મગફળીનું ઉત્પાદન અગાઉના વર્ષના 101.35 લાખ ટનની સરખામણીએ રેકોર્ડ 102.82 લાખ ટન રહેવાનો અંદાજ છે.
મગફળીની જંગી નિકાસ
ભારતમાંથી મગફળીની જંગી નિકાસ થવાથી પણ સ્થાનિક બજારમાં સીંગતેલના ભાવ વધી રહ્યા છે. અપેડાના આંકડા અનુસાર નાણાંકીય 2023 દરમિયાન ભારતીય મગફળીની નિકાસ 8316 લાખ ડોલરની નવી ઉંચાઇને સ્પર્શી ગઇ, જે પાછલા નાણાંકીય વર્ષના 6292.7 લાખ ડોલર કરતા 32 ટકા વધારે છે. રૂપિયાના સંદર્ભમાં મગફળી નિકાસ 43 ટકા વધીને રૂ. 6735 કરોડ (રૂ. 4697 કરોડ) થઈ છે. નાણાકીય વર્ષ 2023 દરમિયાન નિકાસ કરાયેલી મગફળીનો જથ્થો 30 ટકા વધીને 6.68 લાખ ટને (5.14 લાખ ટન) પહોંચી ગઇ છે.
ચાલુ નાણાકીય વર્ષના એપ્રિલ-મે દરમિયાન મગફળીના શિપમેન્ટ ડોલરની રીતે 54 ટકાની વૃદ્ધિસાથે 1630 લાખ ડોલરનો વધારો નોંધાયો છે, જે પાછલા નાણાકીય વર્ષના સમાન ગાળામાં 1060 લાખ ડોલર હતી. અપેડાના તાજેતરના આંકડા અનુસાર રૂપિયાના સંદર્ભમાં શિપમેન્ટ 65 ટકા વધીને રૂ. 1,338 કરોડ (ગયા વર્ષે રૂ. 813 કરોડ) થઇ છે, જ્યારે નિકાસ જથ્થો 46 ટકા વધીને 1.22 લાખ ટન (84,114 ટન) થયો છે.
તો અમેરિકાના કૃષિ વિભાગે તેના તાજેતરના તેલીબિયાં જુલાઈના અંદાજમાં 30 સપ્ટેમ્બરે પૂરા થતા માર્કેટિંગ વર્ષ 2022-23 માટે ભારતની મગફળીની નિકાસ 8.5 લાખ ટન રહેવાનો અંદાજ મૂક્યો છે, જે અગાઉના વર્ષના 7.5 લાખ ટનથી વધુ છે.
નોંધનિય છે કે, ભારત સમગ્ર વિશ્વમાં ખાદ્યતેલનો સૌથી મોટો આયાતકાર અને વપરાશકાર દેશ છે અને 60થી 70 ટકા ખાદ્યતેલની જરૂરિયાત આયાત મારફતે સંતોષે છે. ભારત વિદેશમાંથી મોટાભાગે પામતેલ, સનફ્લાવર તેલ અને સોયાબીનની આયાત કરે છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us