/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/04/Inflation-Rise-vegetarian-platter-expensive.jpg)
શ્રુતી શ્રિવાસ્તવ |Inflation Increased : લોકસભા ચૂંટણી 2024 ના માહોલ વચ્ચે મોંઘવારી વધવાના અહેવાલો છે. ખાવાનું ખાવું અને ઘર બનાવવું મોંઘું થઈ ગયું છે. ચૂંટણીની મોસમમાં સરકાર માટે આ ચિંતાનો વિષય છે અને તેથી સરકારે ઘણાં પગલાં લીધાં છે, કારણ કે ઘણી વખત એવી ઘટનાઓ બની છે, જ્યારે ખાદ્ય ચીજોની વધતી કિંમતોને કારણે સરકારોએ સત્તા ગુમાવવી પડી છે.
ડુંગળીના વધતા ભાવને મુદ્દો બનાવીને દિલ્હીમાં સત્તામાં આવેલી કોંગ્રેસની શીલા દીક્ષિત સરકાર પણ ડુંગળીના કારણે પડી ગઈ. 2013 ની વિધાનસભા ચૂંટણી પહેલા ડુંગળીના ભાવમાં નોંધપાત્ર વધારો થયો હતો. ભાજપે ડુંગળીના વધતા ભાવને મુદ્દો બનાવ્યો છે. જે બાદ 15 વર્ષ બાદ ડિસેમ્બર 2013 માં યોજાયેલી દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ હારી ગઈ હતી.
શાકાહારી થાળી મોંઘી થઈ
ગુરુવારે એક અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે, શાકાહારી થાળી હવે મોંઘી થઈ ગઈ છે. થાળીની કિંમત માર્ચમાં 7% વધીને 27.3 રૂપિયા થઈ ગઈ છે જ્યારે માર્ચ 2023 માં તે 25.5 રૂપિયા હતી. બીજી તરફ, ક્રિસિલ રેટિંગ એજન્સીના અહેવાલમાં જણાવાયું છે કે, સમાન સમયગાળામાં માંસાહારી થાળીની કિંમત રૂ. 59.2 થી 7% ઘટીને રૂ. 54.9 થઈ છે. જોકે, ફેબ્રુઆરીની સરખામણીમાં બ્રોઈલર ચિકનના ભાવમાં 5% વધારો થવાને કારણે માર્ચમાં માંસાહારી થાળીના ભાવમાં 2% નો વધારો થયો છે.
પ્લેટ મોંઘી કેમ થઈ?
CRISILના રોટી રાઇસ રેટ રિપોર્ટ અનુસાર, શાકાહારી થાળી માર્ચ મહિનામાં વાર્ષિક ધોરણે ડુંગળી, ટામેટા અને બટાકાના ભાવમાં વધારાને કારણે સાત ટકા મોંઘી થઈ છે. ક્રિસિલ માર્કેટ ઇન્ટેલિજન્સ એન્ડ એનાલિસિસે તેના માસિક 'રોટી ચાવલ રેટ' રિપોર્ટમાં જણાવ્યું હતું કે, મરઘાંના ભાવમાં ઘટાડો થવાને કારણે ગયા મહિને માંસાહારી થાળીની કિંમતમાં સાત ટકાનો ઘટાડો થયો છે. રિપોર્ટ અનુસાર ઓછા સપ્લાય અને નીચા બેઝ રેટને કારણે ડુંગળીના ભાવમાં 40 ટકા, ટામેટાના ભાવમાં 36 ટકા અને બટાટાના ભાવમાં વાર્ષિક ધોરણે 22 ટકાનો વધારો થયો છે, જેને પગલે શાકાહારી થાળી મોંઘી થઈ છે.
રિપોર્ટ અનુસાર ઓછા પુરવઠાને કારણે ચોખાના ભાવમાં પણ એક વર્ષ અગાઉની સરખામણીએ 14 ટકા અને દાળના ભાવમાં 22 ટકાનો વધારો થયો છે. જ્યારે એક વર્ષ પહેલા આ સમયગાળા દરમિયાન માંસાહારી ભોજનની થાળીની કિંમત 59.2 રૂપિયા હતી, જે ગયા મહિને ઘટીને 54.9 રૂપિયા થઈ ગઈ છે. જો કે, ફેબ્રુઆરીમાં તેની કિંમત 54 રૂપિયા પ્રતિ પ્લેટ કરતા વધુ છે. વાસ્તવમાં, બ્રોઇલર ચિકનના ભાવમાં 16 ટકાના ઘટાડાથી, માંસાહારી થાળીની કિંમત વાર્ષિક ધોરણે ઘટી છે. જોકે, ફેબ્રુઆરીની સરખામણીએ માર્ચમાં રમઝાન મહિનાની શરૂઆત અને વધુ માંગને કારણે બ્રોઈલરના ભાવમાં પાંચ ટકાનો વધારો થયો છે.
શાકાહારી અને માંસાહારી થાળીમાં શું શામેલ છે?
હવે તમે વિચારતા હશો કે, આ થાળીમાં કઈ કઈ વસ્તુઓ સામેલ છે જે તેની કિંમત નક્કી કરે છે. રિપોર્ટ તૈયાર કરતી વખતે, ક્રિસિલે શાકાહારી થાળીમાં રોટલી, ડુંગળી, ટામેટા, ચોખા, બટેકા, કઠોળ, દહીં અને સલાડનો સમાવેશ કર્યો છે. મતલબ કે, શાકાહારી થાળીમાં આ બધી વસ્તુઓ સહિત એક થાળીની કિંમત માર્ચ 2024 માં 27.3 રૂપિયા હતી.
તેવી જ રીતે, શાકાહારી થાળીમાં જે વસ્તુઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો તે નોનવેજ થાળીમાં પણ સામેલ કરવામાં આવ્યો હતો. ફરક માત્ર એટલો છે કે, તેમાં ચિકન (બ્રોઈલર) ઉમેરવામાં આવ્યું છે, જેના કારણે તેની કિંમત પણ શાકાહારી થાળીની સરખામણીમાં 54.9 રૂપિયા થઈ ગઈ છે. દિલ્હીના બજારમાં મુખ્ય ખાદ્ય ચીજોના છૂટક ભાવ નીચે મુજબ છે.
દિલ્હીના બજારમાં મુખ્ય ખાદ્ય ચીજોના છૂટક ભાવ નીચે મુજબ છે
| ખાદ્ય ચીજવસ્તુઓ | 3 માર્ચે છૂટક કિંમત (રૂ/કિલો) | 3 એપ્રિલના રોજ છૂટક કિંમત (રૂ/કિલો) | ભાવમાં ફેરફાર (ટકા) |
| સોયા તેલ | 122 | 131 | 7.4 |
| સરસવનું તેલ | 133 | 139 | 4.5 |
| સિંગ તેલ | 133 | 139 | 4.5 |
| મગની દાળ | 122 | 125 | 2.5 |
| મસૂર દાળ | 85 | 87 | 2.4 |
| તૂવેર દાળ | 157 | 157 | 0 |
| ચોખા | 40 | 40 | 0 |
| બટાકા | 17 | 25 | 47.1 |
ઈનપુટ કોસ્ટમાં ઘટાડો છતાં કંપનીઓએ સિમેન્ટના ભાવમાં વધારો કર્યો છે
બીજી તરફ સિમેન્ટ કંપનીઓએ પણ સિમેન્ટના ભાવમાં વધારો કર્યો છે જેના કારણે મકાનો બનાવવા પણ મોંઘા થયા છે. સિમેન્ટની 50 કિલોની થેલીના ભાવમાં 10-40 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. જેના કારણે સામાન્ય માણસ માટે ઘર બનાવવું પણ મોંઘુ બની ગયું છે. ઉત્તર ભારતમાં સિમેન્ટના ભાવમાં પ્રતિ બેગ 10-15 રૂપિયાનો વધારો થયો છે. મધ્ય ભારતમાં આ દરમાં 30-40 રૂપિયા પ્રતિ થેલીનો વધારો થયો છે. તો, પશ્ચિમ ભારતમાં આ દર બેગ દીઠ 20 રૂપિયા વધી ગયો છે.
તાજેતરમાં, સિમેન્ટ બનાવવામાં વપરાતા આયર્ન ઓરના ભાવમાં 12% અને કોલસાના ભાવમાં 23%નો ઘટાડો થયો છે. તો, ડીઝલની કિંમતમાં પણ 2 રૂપિયાનો ઘટાડો થયો છે. આ સાથે, નાણાકીય વર્ષ 2023-24માં કંપનીઓનું માર્જિન પણ 3% થી વધીને 16% થઈ ગયું છે. કંપનીઓની પ્રતિ ટન કિંમતમાં પણ રૂ. 50નો ઘટાડો થયો છે. આવી સ્થિતિમાં સિમેન્ટના ભાવમાં વધારાના કારણો અણધાર્યા છે. ચૂંટણી વર્ષમાં, વર્ષના છેલ્લા ત્રિમાસિક ગાળામાં નવા ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સમાં ત્રણ ગણો વધારો થયો છે.
મોંઘવારી રોકવા સરકારના પ્રયાસો
કેન્દ્ર સરકારે ખાદ્યપદાર્થોના ભાવને અંકુશમાં લેવા માટે અનેક પગલાં જાહેર કર્યા છે. એક વર્ષ માટે નિકાસ પર પ્રતિબંધ મૂકવો, માર્ચ 2025 સુધી મોટાભાગના કઠોળ અને ખાદ્યતેલોની ડ્યુટી ફ્રી આયાતને મંજૂરી આપવી, ઈથેનોલ બનાવવા માટે શેરડીના રસને ડાયવર્ઝન અટકાવવા જેવા અનેક પગલાં છે.
પોષણક્ષમ ભાવે ખાદ્યપદાર્થોની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા માટે, સરકાર 'ભારત' બ્રાન્ડ હેઠળ પેકેજ્ડ ઘઉં, ચોખા, લોટ, ચણાની દાળનું પણ વેચાણ કરી રહી છે. દર ઘટાડવા માટે દુકાનદારો દ્વારા ઘઉં અને ચોખાના સંગ્રહ પર પણ નજર રાખવામાં આવી રહી છે. નિષ્ણાતો કહે છે કે, આગામી મહિનાઓમાં ફુગાવાનું સંચાલન રવિ પાકના ભાવ અને હવામાન કેવું રહેશે તેના પર નિર્ભર રહેશે. એપ્રિલ અને જૂન વચ્ચેનું અતિશય તાપમાન પણ ભાવમાં વધારો કરવામાં ભૂમિકા ભજવી શકે છે, ખાસ કરીને શાકભાજી અને નાશવંત ખોરાકની.
નારાયણ મૂર્તિને યાદ છે કે, તેમને 120 કલાક ભૂખ્યા રહેવું પડ્યું હતું
મોંઘવારી ઘટાડવાના પ્રયાસોની સાથે સરકાર ગરીબોને ભોજન આપવા માટે પણ પગલાં લઈ રહી છે. જેમ કે મફતમાં પાંચ કિલો અનાજ આપવું, શાળાઓમાં બાળકોને ભોજન આપવું વગેરે. ઇન્ફોસીસના સ્થાપક એનઆર નારાયણ મૂર્તિએ સરકારના આ કાર્યક્રમોનો ઉલ્લેખ કરતાં વખાણ કર્યા અને એક અંગત અનુભવ પણ વર્ણવ્યો. તેમણે કહ્યું, “તમારામાંથી મોટાભાગના લોકોએ ભૂખનો અનુભવ કર્યો નહી હોય, પણ મે કરી નાખ્યો. "જ્યારે હું સમગ્ર યુરોપમાં અને બલ્ગેરિયા, ત્યાર પછીના યુગોસ્લાવિયા અને હાલના સર્બિયાની વચ્ચેના નિશ નામના સ્થળે ફરતો હતો, ત્યારે મારે સીધા 120 કલાક ભૂખ્યા રહેવું પડ્યું હતુ."
આ પણ વાંચો - RBI Repo Rate : રેપો રેટ 6.50% પર યથાવત, FY25 માં GDP વૃદ્ધિ 7 ટકા રહેવાની ધારણા
નારાયણ મૂર્તિએ WHO હેડક્વાર્ટર ખાતે સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના સ્થાયી મિશન દ્વારા આયોજિત 'ખાદ્ય સુરક્ષામાં સિદ્ધિઓ: ટકાઉ વિકાસ લક્ષ્યો તરફ ભારતના પગલાં'ના વિશેષ કાર્યક્રમમાં તેમના સંબોધન દરમિયાન આ ઘટનાને યાદ કરી.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us