Income tax return filing last date 2023 for Taxpayers: ઇન્કમ ટેક્સ રિટર્ન સમયસર ફાઇલ કરવું બહુ અગત્યનું છે. નાણાંકીય વર્ષ 2022-23 માટે માટે આઇટીઆર ફાઇલ કરવાની છેલ્લી તારીખ 31 જુલાઇ, 2023 છે. આવકવેરા વિભાગે કરદાતાઓને વહેલામાં વહેલા તેમનું આઇટીઆર ફાઇલ કરવા વારંવાર સૂચના આપી છે. આવકવેરા વિભાગે કરદાતાઓને વિનંતી કરી છે કે તેઓ છેલ્લી ઘડીના ધસારો અને લેટ પેનલ્ટીથી બચવા વહેલામાં વહેલી તકે ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ કરે.
અત્રે નોંધનિય છે કે, અત્યાર સુધી સેન્ટ્રલ બોર્ડ ઑફ ડાયરેક્ટ ટેક્સેશન (CBDT) એ ITR ફાઇલ કરવાની છેલ્લી તારીખ લંબાવવાનો કોઈ સંકેત આપ્યો નથી અથવા કોઈ જાહેરાત કરી નથી. આથી સંભવ છે કે નાણાંકીય વર્ષ 2022-23 એટલે કે આકારણી વર્ષ (AY) 2023-24 માટે ITR ફાઇલ કરવાની અંતિમ તારીખ 31 જુલાઈએ સમાપ્ત થશે.
અત્યાર સુધીમાં 4 કરોડથી વધારે ITR ફાઇલ થયા
સોમવારે, સીબીડીટીના ચેરપર્સન નીતિન ગુપ્તાએ જણાવ્યું હતું કે FY23 માટે અત્યાર સુધીમાં ચાર કરોડથી વધુ આવકવેરા રિટર્ન (ITR) ફાઇલ કરવામાં આવ્યા છે, અને જેમાંથી લગભગ 7 ટકા નવા અથવા પ્રથમ વખત ફાઇલ કરનારા કરદાતાઓ છે . આવકવેરા દિવસના અવસરે તેમણે વધુમાં જણાવ્યું હતું કે, તેમાં અડધાથી વધુ ITRની પ્રોસેસ કરવામાં આવી છે અને લગભગ 80 લાખ રિફંડ જારી કરવામાં આવ્યા છે.
જો તમે ITR ફાઇલ કરવાની છેલ્લી તારીખ ચૂકી જાવ તો શું થશે?
કરદાતા માટે આઇટીઆર ફાઇલ કરવાની તારીખ ચૂકી જવાય તે સારી બાબત મનાતી નથી. તેમ છતાં જો કોઈ કરદાતા સમયમર્યાદા પહેલાં તેમનું આવકવેરા રિટર્ન ફાઇલ કરવાનું ચૂકી જાય, તો તે લેટ ફાઇલિંગ પેનલ્ટી ચૂકવીને પોતાનું ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ કરી શકે છે.
વિલંબિત ITR શું છે?
કરદાતા નિર્ધારિત સમયમર્યાદામાં આઇટીઆર ફાઇલ કરવાનું ચૂકી જાય તો તેની પાસે વિલંબિત ઇન્કમ ટેક્સ ફાઇલ કરવાનો વિકલ્પ રહે છે. જો કોઇ કરદાતા વિલંબિત ITR ફાઇલ કરે હોય, તો આવકવેરા અધિનિયમ – 1961ની કલમ 234F હેઠળ તેની પાસેથી 5,000 રૂપિયાની ફી વસૂલવામાં આવે છે. જો કે જે કરદાતાઓની કુલ વાર્ષિક આવક વર્ષમાં 5 લાખથી વધુ ન હોય તેમની માટે વિલંબિત ITR ફાઇલ કરવાનો મહત્તમ દંડ 1000 રૂપિયા છે.
- આ પણ વાંચો | Oppo K11 Launched : ઓપ્પો કે 11 લોન્ચ, કિંમત, ફીચર્સ વિષે જાણો
- આ પણ વાંચો | સહારા રિફંડ : રજિસ્ટ્રેશન જાણો એક ક્લિકમાં
તદુપરાંત, જો કરદાતાઓએ તેમના ITRમાં ટેક્સ ચૂકવવો પડે, તો તેઓ તેમના રિટર્ન ફાઇલ કરે ત્યાં સુધી નિયત તારીખથી દર મહિને 1 ટકા વ્યાજ વસૂલવામાં આવશે.
જો કરદાતા ITR ફાઇલ ન કરે તો શું થાય?
જો કોઈ કરદાતા એક પણ ITR બિલકુલ ફાઈલ ન કરે, તો તે ચાલુ આકારણ વર્ષમાં થયેલા નુકસાનને કેરી ફોરવર્ડ કરી શકશે નહીં.
ઉપરાંત જો કરદાતા પોતાનું ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ કરવાનું ચૂકી જાય, તો મૂલ્યાંકન કરાયેલા ટેક્સના ઓછામાં ઓછા 50 ટકા અને વધુમાં વધુ 200 ટકા દંડ વસૂલવામાં આવશે. તેમજ અમુક ગંભીર કેસોમાં દંડની રકમ 10,000 રૂપિયા જેટલી થવાની સાથે સાથે કરદાતાએ કાયદાકીય કાર્યવાહીનો પણ સામનો કરવો પડી શકે છે.





