Gratuity Rules Big Update in New Labour Code : નવા લેબર કોચની હાલ વ્યાપક ચર્ચા થઈ રહી છે. ખાસ કરીને, ગ્રેચ્યુઈટી સંબંધિત નિયમોમાં ફેરફાર નોકરી કરતા લોકો માટે ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. પહેલાં, ગ્રેચ્યુઇટી ફક્ત તે લોકોને જ મળતી હતી જેમણે ઓછામાં ઓછા પાંચ વર્ષ સુધી એક જ કંપનીમાં કામ કર્યું હતું. જો કે, હવે, બદલાતા કાર્ય વાતાવરણને ધ્યાનમાં રાખીને, સરકારે ગ્રેચ્યુઈટી સંબંધિત નિયમોમાં મોટા ફેરફારો કર્યા છે, જેનો તમામ કર્મચારીઓને ઘણો ફાયદો થશે. આ નવો શ્રમ કાયદા ખાસ કરીને કરાર અને ફિક્સ્ડ ટર્મ કર્મચારીઓ માટે સારા સમાચાર છે. ચાલો સરળ ભાષામાં સમજીએ કે નવા લેબર કોડમાં શું ફેરફાર છે અને કર્મચારીઓ પર કેવી અસર કરે છે.
ગ્રેચ્યુઈટી શું હોય છે?
કંપનીમાં લાંબા સમય સુધી કામ કરવાના બદલામાં કર્મચારીઓને એક પ્રકારનું બોનસ આપવામાં આવે છે, જેને ગ્રેચ્યુઇટી કહેવાય છે. પેમેન્ટ ઓફ ગ્રેચ્યુઇટી એક્ટ 1972 હેઠળ, આ ચુકવણી નિવૃત્તિ પર અથવા નોકરી છોડતી વખતે કરવામાં આવે છે. નોકરી ગુમાવતી વખતે અથવા બદલતી વખતે તેને સુરક્ષા કવચ પણ ગણી શકાય. નવા લેબર કોડે ગ્રેચ્યુઇટી નિયમોમાં નોંધપાત્ર ફેરફારો કર્યા છે.
નવા લેબર કોડમાં શું મોટા ફેરફાર થયા છે?
21 નવેમ્બર, 2025 થી અમલમાં આવેલા નવા લેબર કોડ્સમાં વેતન સંહિતા (Code on Wages 2019), ઇન્ડસ્ટ્રિયલ રિલેશન્સ કોડ (Industrial Relations Code 2020), સામાજિક સુરક્ષા સંહિતા (Social Security Code -2020) અને ઓક્યુપેશનલ સેફ્ટી, હેલ્થ એન્ડ વર્કિંગ કન્ડિશન્સ કોડ (Occupational Safety, Health and Working Conditions Code 2020) સામેલ છે. આ કોડ્સ દ્વારા ગ્રેચ્યુઇટી સંબંધિત નિયમોમાં મોટા ફેરફારો કરવામાં આવ્યા છે.
ગ્રેચ્યુઇટી 5 વર્ષ નહીં હવે 1 વર્ષમાં મળશે
નવા લેબર કોડમાં કર્મચારીઓ માટે ખુશખબર લઇને આવ્યા છે. અગાઉ ગ્રેચ્યુઇટી મેળવવા માટે ઓછામાં ઓછા પાંચ વર્ષ સતત નોકરી કરવી જરૂરી હતી. હવે, ફિક્સ્ડ ટર્મ કર્મચારીઓ માટે આ મર્યાદા ઘટાડીને એક વર્ષ કરવામાં આવી છે. આનો અર્થ એ થયો કે ગ્રેચ્યુઇટી હવે ફક્ત કાયમી કર્મચારીઓ માટે જ નહીં, પરંતુ કરાર આધારિત નોકરી કરતા કર્મચારીઓ પણ મેળવવા પાત્ર છે.
કરાર આધારિત કામદારોને કાયમી કર્મચારીઓ જેવા લાભ મળશે
કોન્ટ્રાક્ટ કર્મચારીઓને હવે ગ્રેચ્યુઇટી, પ્રોવિડન્ટ ફંડ (PF) અને અન્ય સામાજિક સુરક્ષા લાભો પણ મળશે. આનો અર્થ એ થયો કે કંપનીઓએ હવે ફક્ત કાયમી કર્મચારીઓને જ નહીં પરંતુ અન્ય કર્મચારીઓને પણ સામાજિક સુરક્ષા લાભો આપવાના રહેશે.
નિકાસ ક્ષેત્રના કર્મચારીઓને પણ ફાયદો
નવા નિયમો હેઠળ, નિકાસ એકમોમાં ફિક્સ્ડ ટર્મ કામદારોને પણ ગ્રેચ્યુઇટી મળશે. આનાથી આ ક્ષેત્રોમાં કામ કરતા લોકોને નોંધપાત્ર રાહત મળશે.
ગ્રેચ્યુઇટીની ગણતરી કેવી રીતે થાય છે?
ગ્રેચ્યુઇટીની ગણતરી માટે ચોક્કસ ફોર્મ્યુના છે:
છેલ્લે મહિનાનું વેતન × 15 / 25 × નોકરીના વર્ષની સંખ્યા (Last Drawn Monthly Wage × 15 / 26 × Completed Years of Service)
તેમા છેલ્લા મહિનાનો પગાર , (Last Drawn Wage) = બેઝિક સેલેરી (Basic Salary) + મોંઘવારી ભથ્થું (Dearness Allowance)
આ ફોર્મ્યુલા નોકરીના પૂરા કરાયેલા પ્રત્યેક વર્ષની અવેજમાં 15 દિવસનો પગાર આપવા પર આધારિત છે. છ મહિનાથી વધુ સમયગાળાને પૂર્ણ વર્ષ માનવામાં આવશે. છ મહિનાથી ઓછા સમયગાળાને ગણવામાં આવશે નહીં.
લાખો કર્મચારીઓને ફાયદો થશે
ખાનગી ક્ષેત્રમાં કર્મચારીઓ દ્વારા વારંવાર કંપની બદલવી સામાન્ય ઘટના છે. પરિણામે, ગ્રેચ્યુઇટી માટે પાંચ વર્ષની સેવા પૂર્ણ કરવાની આવશ્યકતાને કારણે ઘણા લોકો ગ્રેચ્યુઇટી લાભ મેળવી શકતા ન હતા. જો કે, શ્રમ સુધારાના ભાગ રૂપે રજૂ કરાયેલા નવા લેબર કોડના અમલીકરણ સાથે, હવે વધુને વધુ કર્મચારીઓ આ લાભ મેળવી શકશે. વધુમાં, નવો લેબર કોડ કોન્ટ્રાક્ટ અને ફિક્સ્ડ ટર્મ કર્મચારીઓ તેમજ નિકાસ ક્ષેત્રમાં કામ કરતા લાખો કર્મચારીઓ માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થશે.





