RBI Haults 2000 Rupees Exchange And Deposit Service : આરબીઆઈ તરફથી 2000 રૂપિયાની નોટને લઇને ફરી એકવાર મોટા સમાચાર સામે આવ્યા છે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (આરબીઆઇ)ના જણાવ્યા અનુસાર 1 એપ્રિલના રોજ યર એન્ડ ક્લોઝિંગ હોવાને કારણે 2000 રૂપિયાની નોટ બદલવામાં આવશે નહીં. આરબીઆઈની તમામ 19 ઓફિસોમાં આ ચલણી નોટ બદલવાની સેવા બંધ રહેશે.
RBI એ એક રિલિઝમાં જણાવ્યું છે કે, આ સેવા ૨ એપ્રિલથી ફરી શરૂ થશે. અને જેમની પાસે હજુ પણ 2000 રૂપિયાની નોટ છે તેઓ આરબીઆઈની ઓફિસમાં જમા કરાવી શકશે કે બદલાવી શકે છે.
2000ની નોટ RBIની આ ઓફિસમાં એક્સચેન્જ કરવાની તક
તમને જણાવી દઇયે કે, આરબીઆઈની 19 ઓફિસમાં 2000 રૂપિયાની નોટ બદલવાની સુવિધા શરૂ કરવામાં આવી હતી. અમદાવાદ, બેંગલુરુ, બેલાપુર, ભોપાલ, ભુવનેશ્વર, ચંદીગઢ, ચેન્નાઈ, ગુવાહાટી, હૈદરાબાદ, જયપુર, જમ્મુ, કાનપુર, કોલકાતા, લખનઉ, મુંબઈ, નાગપુર, નવી દિલ્હી, પટના અને તિરુવનંતપુરમમાં 2,000 રૂપિયાની નોટો જમા કરાવી શકાય છે અથવા બદલી શકાય છે.
2000 રૂપિયની 97.62 ટકા નોટ પરત આવી
નોંધનીય છે કે, ઓક્ટોબર 2023 થી આરબીઆઇ કોઇ વ્યક્તિ/સંસ્થા પાસેથી તેમના બેંક ખાતામાં જમા કરાવવા માટે 2000 રૂપિયાની નોટ સ્વીકારી રહી છે. 1 માર્ચ, 2024ના રોજ, મધ્યસ્થ બેંકે માહિતી આપી હતી કે 19 મે, 2023 બાદથી ચલણમાં રહેલી 2000 રૂપિયાના મૂલ્યની 97.62 ટકા નોટ બેંકિંગ સિસ્ટમમાં પરત આવી છે.
તમને જણાવી દઈએ કે 19 મે 2023ના રોજ આરબીઆઈ એ 2000 રૂપિયાની નોટને ચલણમાંથી પાછી ખેંચવાની ઘોષણા કરી હતી. અને કહ્યું હતું કે આ નોટને બેંકોમાં જમા કરાવવી જોઇએ અથવા અન્ય મૂલ્યની નોટમાં બદલવી જોઇએ.
આ પણ વાંચો | એપ્રિલમાં બેંકો 14 દિવસ બંધ રહેશે, જુઓ રામ નવમી અને ઇદની રજા ક્યારે છે?
આરબીઆઈએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, 19 મે, 2023ના રોજ 2000 રૂપિયાના મૂલ્યની કુલ 3.56 લાખ કરોડ રૂપિયાની નોટ ચલણમાં હતી. 29 ફેબ્રુઆરી, 2024ના રોજ આ પ્રમાણ ઘટીને 8470 કરોડ રૂપિયા થયુ હતુ.