RBI Rules Bank Accounts For Minores Children: આરબીઆઈ એ હવે 10 વર્ષથી મોટા સગીર બાળકોને પણ પોતાના નામ પર બેંક ખાતું ખોલાવવા અને ઓપરેટ કરવાની મંજૂરી આપી દીધી છે. આ જાણકારી ન્યુઝ એજન્સી પીટીઆઈ એ આપી છે. આ એક મોટો નિર્ણય છે, કારણ કે અત્યાર સુધી સગીર બાળકોના નામે બેંક એકાઉન્ટનું ઓપરેટિંગ તેના માતાપિતા કે કાયદેસરના વાસરદાર કરતા હતા.
સગીર બાળક ક્યા ક્યા બેંક ખાતા ખોલાવી શકશે?
આરબીઆઈ અનુસાર, 10 વર્ષથી મોટી ઉંમરના સગીર બાળકો સ્વતંત્ર રીતે બચત ખાતું (સેવિંગ એકાઉન્ટ) અને ટર્મ ડિપોઝિટ એકાઉન્ટ ખોલાવી અને સંચાલિત કરી શકશે. અલબત્ત, આ સુવિધા બેંકની રિસ્ક મેનેજમેન્ટ પોલિસી પર નિર્ભર કરશે.
બેંક એ પણ નક્કી કરી શકશે કે કેટલી લિમિટ સુધી અને કઇ શરતો પર આ સુવિધા આપવી. તેની માટે જે પણ નિયમો અને શરતો હશે, તેના વિશે ખાતાધારકોને જાણકારી આપવામાં આવશે.
સગીર પુખ્ત થયા બાદ બેંક ખાતાનું શું થશે?
બેંકોએ એક વાતની ખાતરી કરવી પડશે કે સગીર બાળકના બેંક ખાતામાંથી વધારે પૈસાનો ઉપાડ ન થાય અને તેમા હંમેશા રકમ જમા રહે. બેંક ખાતું ખોલવાની પહેલી સગીર બાળકની પુરતી તપાસ કરવાની જવાબદારી પણ બેંકોની રહેશે.
બેંક ખાતાધારક બાળક જ્યારે પુખ્ત એટલે કે 18 વર્ષનો થઇ જાય ત્યારે નવા ઓપરેટિંગ ઇન્સ્ટ્રક્શન અને હસ્તાક્ષર (specimen signature) બેંકમાં ફરજિયાતપણે ફરીવાર સબમિટ કરવા પડશે.
બાળકોને કઇ કઇ બેંક સુવિધા મળશે?
આરબીઆઈ એ કહ્યું છે કે, બેંક ઇન્ટરનેટ બેંકિંગ, એટીએમ/ ડેબિટ કાર્ડ, ચેકબુક અને પાસ જેવી બેંક સુવિધાઓ સગીર ખાતાધારકોને આપી શકે છે. પરંતુ તે બેંકની પોલિસી અને ખાતાધારકની સમજદારી પણ નિર્ભર રહેશે.
આરબીઆઈ એ બેંકોને જણાવ્યું છે કે, 1 જુલાઇ, 2025 સુધી રિવાઇઝ્ડ ગાઇડલાઇન્સ મુજબ નવી નીતિઓ બનાવો અને હાલના નિયમોમાં સંશોધન કરો.
જો બાળક 10 વર્ષથી નાનું હોય તો?
જો બાળક 10 વર્ષથી નાની ઉંમરનું છે, તો તે પણ બેંક એકાઉન્ટ ખોલાવી શકે છે. પરંતુ તે તેના માતાપિતા કે કાયદેસરના વારસદાર દ્વારા જ બેંક એકાઉન્ટ ખોલાવી શકશે. આરબીઆઈના પરિપત્રમાં એક વાત સ્પષ્ટ કહેવામાં આવી છે કે, આવી બાબતોમાં માતાને કાયદેસરના વારસદાર તરીકે માન્યતા આપવામાં આવશે.





