(જ્યોર્જ મેથ્યુ, હિતેશ વ્યાસ) RBI MPC Rate Policy : રિઝર્વ બેંક દ્વારા સતત ચોથી વખત વ્યાજદર યથાવત્ રાખવામાં આવ્યા છે. આરબીઆઈ દ્વારા શુક્રવાર 6 ઓક્ટોબર, 2023ના રોજ જાહેર થયેલી મોનેટરિંગ પોલિસીમાં રેપો રેટ, કેશ રિઝર્વ રેશિયો સહિતના વિવિધ મુખ્ય વ્યાજદરો સ્થિર રાખવાની સાથે લોન સસ્તી થવા માટે હજી રાહ જોવી પડશે તેવા સંકેત આપ્યા છે. મુખ્ય વ્યાજદરો સ્થિર રહેવાથી લોનધારકો અને થાપણદારો બંને પર વિરોધાર્થી અસર થાય છે. રિઝર્વ બેંકની વ્યાજદર સ્થિર રાખવાની નીતિની થાપણ અને ધિરાણ પર કેટલી અને કેટલી અસર થશે ચાલો વિગતવાર સમજીયે
રિઝર્વ બેંક ચોથી વખત વ્યાજદર સ્થિર રાખ્યા (RBI status quo rates fourth consecutive time)
રિઝર્વ બેંકે ચોથી વખત વ્યાજદર સ્થિર રાખ્યા છે. 6 ઓક્ટોબર, 2023ના રોજ ધિરાણનીતિની ઘોષણા કરતી વખતે રિઝર્વ બેંકે જણાવ્યું કે, રિટેલ ફુગાવો “મેક્રો ઇકોનોમિકમાં સ્થિરતા અને ટકાઉ વૃદ્ધિ માટેના મુખ્ય જોખમી પરિબળ” હજી યથાવત્ રહેવાને કારણે ભારતીય રિઝર્વ બેંક (RBI) ની છ સભ્યોની ધિરાણ નીતિ સમિતિ (MPC) એ સતત ચોથી વખત મુખ્ય વ્યાજદરો યથાવત રાખવાનો નિર્ણય કર્યો છે. પરિણામે, બેંકો તેમના ધિરાણદરમાં વધારો કરશે નહીં, એટલે કે હોમ લોન, ઓટો લોન, પર્સનલ લોન સહિતની વિવિધ લોનના વ્યાજદર અને લોનના માસિક હપ્તા (EMIs) સ્થિર રહેશે.
ફુગાવો હજી પણ ઉંચા સ્તરે : આરબીઆઈ (RBI On Retail Inflation)
RBIve ગવર્નર શક્તિકાંત દાસની આગેવાની હેઠળની છ સભ્યોની મોનેટરીંગ પોલિસી સમિટીમાં 5:1ની બહુમતીથી વ્યાજદર સ્થિર રાખવાનો નિર્ણય લેવાયો છે. એટલે કે કુલ 6માંથી 5 સભ્યોએ વ્યાજદર યથાવત રાખવાની ભલામણ કરી હતી. રિઝર્વ બેંકે નાણાકીય વર્ષ 2024 માટે ફુગાવાનો અંદાજ 5.4 ટકાના સ્તરે જાળવી રાખ્યો છે. ઉચ્ચ ખાદ્ય ફુગાવો, સંકેત આપે છે કે નજીકના ભવિષ્યમાં વ્યાજદરમાં ઘટાડો થવાની શક્યતા નથી. ઉપરાંત આરબીઆઈની ધિરાણનીતિ સમિતિએ નાણાંકીય વર્ષ 2024 માટે ભારતના જીડીપી ગ્રોથનો અંદાજ 6.50 ટકાના સ્તરે જાળવી રાખ્યો છે.
રિઝર્વ બેંકે વ્યાજદર કેમ સ્થિર રાખખ્યા? (Why RBI keep interest rates unchanged)
રિઝર્વ બેંકે સતત ચોથી વખત વ્યાજદર સ્થિર રાખ્યા છે. નોંધનિય છે કે, રોકેટ ગતિએ વધી રહેલા ફુગાવાને કાબુમાં રાખવા માટે રિઝર્વ બેંકે મે-2022માં એકાએક વ્યાજદરમાં વધારો કરીને સૌને ચોંકાવી દીધા હતા. ત્યારબાદ રિઝર્વ બેંકે તબક્કાવાર વ્યાજદરમાં લગભગ 2.5 ટકા જેટલો વધારો કર્યો છે. ત્યારબાદ એપ્રિલ 2023ની ધિરાણનીતિ બેઠકમાં રિઝર્વ બેંકે આશ્ચર્યજનક રીતે સર્વાનુમતે વ્યાજદરમાં વૃદ્ધિના ચક્રને રોકવાનો નિર્ણય લીધો હતો. આરબીઆઈ એ રેપો રેટમાં મે-2022 બાદથી 250 બેસિસ પોઈન્ટ્સનો વધારો કર્યા બાદ મોનેટરી પોલિસી ટ્રાન્સમિશન હજુ પણ અધૂરું છે અને ઉંચો ફુગાવો ચાલુ વર્ષના બીજા ક્વાર્ટરમાં પાંચ ટકાના સ્તરથી ઉપર રહેવાની અને 6.2 ટકાને પણ સ્પર્શે તેવી અપેક્ષા છે.
ફુગાવો ઉંચો રહેવા પાછળના કારણો (Reasons behind high inflation)
આરબીઆઈના ગવર્નર શક્તિકાંત દાસે જણાવ્યું હતું કે, ચાલુ ખરીફ સિઝનમાં કૃષિ પાકોના વાવેતરમાં ઘટાડો, જળાશયોમાં પાણીનું નીચું સ્તર, વૈશ્વિક બજારમાં ખાદ્યપદાર્થો અને ઉર્જાના અસ્થિર ભાવને કારણે એકંદર ફુગાવાના અંદાજ સામે ભારે અનિશ્ચિતતા છે. ઉપરોક્ત પરિબળોના કારણે મોંઘવારી દર ઉંચો રહેવાની ચિંતા રિઝર્વ બેંકને સતાવી રહી છે.
આરબીઆઈએ વ્યાજદર સ્થિર રાખતા લોનના હપ્તા અને લોનધારકને શું અસર થશે? (RBI Repo Rate Impact on Borrowers)
RBIએ ઓક્ટોબર પોલિસીમાં પોલિસી રેટ યથાવત રાખ્યો હોવાથી રેપો રેટ સાથે જોડાયેલા તમામ એક્સટર્નલ બેન્ચમાર્ક લેન્ડિંગ રેટ (EBLR)માં વધારો થશે નહીં. આમ વ્યાજદર સ્થિર રહેવાથી લોનધારકો એટલે કે ધિરાણ લેનારાને થોડીક રાહત મળશે કારણ કે તેમના માસિક લોન ઇએમઆઈમાં (EMIs) વધારો થશે નહીં. નોંધનિય છે કે, EBLR – 81 ટકા બેન્ચમાર્ક રેપો રેટ સાથે જોડાયેલા છે, જ્યારે બાકીની લોન ફ્લોટિંગ રેટના સંયોજનવાળી લોન છે.
આરબીઆઈએ વ્યાજદર સ્થિર રાખતા થાપણદારો અને એફડી પર શું અસર થશે? (RBI Repo Rate Impact on Depositors)
રિઝર્વ બેંકના રેપો રેટ સ્થિર રાખવના નિર્ણયથી બેંકો પણ ફિક્સ્ડ ડિપોઝિટના દરમાં વધારો કરશે નહીં. 2000 રૂપિયાની નોટ જમા થયા બાદ ઓછા ખર્ચના કરન્ટ એકાઉન્ટ અને સેવિંગ્સ એકાઉન્ટ (CASA) બેલેન્સમાં વધારાને કારણે વર્તમાન સ્તરે ડિપોઝિટ રેટ રાખવાનો નિર્ણય બેંકિંગ સિસ્ટમમાં વધારાની પ્રવાહિતા દ્વારા સંચાલિત થશે.
આરબીઆઇ સિસ્ટમમાંથી લિક્વિડિટી પાછી ખેંચશે, શા માટે?
જ્યાં સુધી ફુગાવાના તમામ જોખમો દૂર ન થાય ત્યાં સુધી આરબીઆઈએ ‘સિસ્ટમમાંથી લિક્વિડિટી ઘટાડવાના’ પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. મતલબ કે, રિઝર્વ બેંક દેશની નાણાંકીય વ્યવસ્થામાંથી લિક્વડિટી – નાણાંનું પ્રમાણ ઘટાડશે જે ફુગાવાને કાબુમાં રાખવાનો એક પ્રયાસ છે. નોંધનિય છે કે, તાજેતરમાં રિઝર્વ બેંક 2000 રૂપિયાની ચલણી નોટ અર્થતંત્રમાં પાછી ખેંચવાની ઘોષણા કરી હતી. આરબીઆઈ એ ચલણમાંથી 2000ની નોટ પાછી ખેંચી લીધા બાદ 19 મે, 2023 સુધીમાં ચલણમાં રહેલી 3.56 લાખ કરોડ રૂપિયાના કુલ મૂલ્યની બેન્ક નોટોમાંથી 3.42 લાખ કરોડ રૂપિયાની ચલણી નોટો બેન્કોમાં આવી છે. તેમજ આરબીઆઈ ગવર્નરે લિક્વિડિટીનું સંચાલન કરવા માટે વધારે OMO (ઓપન માર્કેટ ઓપરેશન્સ) ના પણ સંકેત આપ્યા હતા.
વ્યાજદરમાં ઘટાડા સામેના જોખમી પરિબળો?
રેટિંગ એજન્સી કેર રેટિંગ્સે એક રિપોર્ટમાં જણાવ્યુ હતુ કે, આરબીઆઈના ગવર્નર શક્તિકાંત દાસે શુક્રવારે જણાવ્યું હતું કે, “અમે ઉચ્ચ ફુગાવાને મેક્રોઇકોનોમિકમાં સ્થિરતા અને ટકાઉ વૃદ્ધિ સામેના મુખ્ય જોખમ તરીકે ઓળખી કાઢ્યા છે.” છ સભ્યોની ધિરાણનીતિ સમિતિએ સ્થાનિક તેમજ બાહ્ય આર્થિક પડકારોની સમિક્ષા કરી હતી. જેમાં સ્થાનિક પડકારોમાં ખાદ્યચીજોમાં ઊંચો ફુગાવા, અસમાન ચોમાસાની ખરીફ પાક પર પ્રતિકૂળ અસર, ઊંચા વ્યાજદરો અને વૈશ્વિક ક્રૂડ ઓઈલના ભાવમાં વધારો જોખમી પરિબળો છે. બીજી બાજુ માંગ-વપરાશ વધવાથી ફુગાવો ઝડપથી વધે છે.
બેન્ક ઓફ બરોડાના મુખ્ય અર્થશાસ્ત્રી મદન સબનવીસે જણાવ્યું હતું કે, “ફુગાવો હજુ પણ 6.8 ટકાના સ્તરે ઊંચો છે અને જ્યારે અમે સપ્ટેમ્બર અને ઓક્ટોબરમાં તે ઝડપથી નીચે આવવાની અપેક્ષા રાખતા હતા, ત્યારે હજુ પણ ખરીફ ઉત્પાદનમાં ખાસ કરીને કઠોળને લઇને અમુક આશંકાઓ છે જેનાથી મોંઘવારી દર આગામી સમયમાં વધવાની સંભાવના છે.” આરબીઆઈના ગવર્નર શક્તિકાંત દાસે જણાવ્યું હતું કે ખાદ્યચીજોના ભાવમાં વૃદ્ધિ વ્યાજદરમાં ઘટાડા સામે સૌથી મોટું જોખમ છે.
આ પણ વાંચો | 2000ની નોટ 7 ઓક્ટોબર સુધીમાં જમા કરાવી શક્યા નથી, હવે શું કરવું? વાંચો રિઝર્વ બેંકનો પરિપત્ર
રિટેલ ફુગાવો જુલાઈમાં 7.44 ટકાના 15 મહિનાના ઉચ્ચ સ્તરેથી ઘટીને ઓગસ્ટમાં 6.83 ટકા થયો હતો. તે આરબીઆઈના 2-6 ટકાના લક્ષ્યાંક કરતા હજ પણ ઉંચા સ્તરે છે. કોટક મહિન્દ્રા બેંકના ચીફ ઇકોનોમિસ્ટ ઉપાસના ભારદ્વાજે જણાવ્યું હતું કે, “ક્રુડ ઓઇલની વધતી કિંમતો સાથે ખાદ્ય ફુગાવાના જોખમો ચિંતાનો વિષય છે.”