Mukesh Ambani And Gautam Adani Business Deal : ભારતના બે દિગ્ગજ ઉદ્યોગપતિ મુકેશ અંબાણી અને ગૌતમ અદાણી વચ્ચે પહેલીવાર બિઝનેસ ડીલ કરવામાં આવી છે. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ એ અદાણી પાવર કંપનીના પાવર પ્રોજેક્ટમાં પહેલીવાર હિસ્સો ખરીદવા કરાર કર્યા છે. બે અબજોપતિ વચ્ચેનો આ પ્રથમ બિઝનેસ સોદો છે.
રિલાયન્સ અદાણી પાવરના મહાન એનર્જન લિમિટેડમાં 26 ટકા હિસ્સો ખરીદશે
મુકેશ અંબાણી ની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે ગૌતમ અદાણીના મધ્યપ્રદેશના પાવર પ્રોજેક્ટમાં 26 ટકા હિસ્સો ખરીદ્યો છે અને પ્લાન્ટની 500 મેગાવોટ વીજળીનો કેપ્ટિવ યુઝ માટે ઉપયોગ કરવા માટે એક કરાર પર હસ્તાક્ષર કર્યા છે. અદાણી પાવર લિમિટેડની સંપૂર્ણ માલિકીની પેટાકંપની મહાન એનર્જન લિમિટેડ (MEL) એ આરઆઈએલ ને MELના રૂ. 10ની ફેસ વેલ્યૂના પાંચ કરોડ ઇક્વિટી શેરની ફાળવણી કરવા સહમત થઇ છે.
RIL એ એક્સચેન્જ ફાઈલિંગમાં જણાવ્યું છે કે, રિલાયન્સ દ્વારા પ્રસ્તાવિત રોકાણ ઇલેક્ટ્રિસિટી રૂલ્સ 2005 ની જોગવાઈઓનું પાલન કરે છે, જેની શરતોમાં કેપ્ટિવ યુઝર તરીકે કંપનીએ 600 મેગાવોટ ક્ષમતાના એમઈએલના એક યુનિટમાં 26% પ્રમાણસર માલિકી હોવી જરૂરી છે.
રિલાયન્સ અને MEL એ આ હેતુ માટે 20 વર્ષના લાંબા ગાળાના પાવર પરચેઝ એગ્રીમેન્ટ કર્યા છે. મહાન એનર્જન લિમિટેડ વીજ પાવરના ઉત્પાદન અને સપ્લાયમાં કાર્યરત કંપની છે, જેની સ્થાપના 19 ઓક્ટોબર, 2005 ના રોજ થઇ હતી. નિવેદન અનુસાર MELનું ટર્નઓવર, તેના ઓડિટેડ સ્ટેન્ડઅલોન નાણાકીય નિવેદન મુજબ, નાણાકીય વર્ષ 2022-23, 2021-22 અને 2020-21માં અનુક્રમે રૂ. 2,730.68 કરોડ, રૂ.1,393.59 કરોડ અને રૂ. 692.03 કરોડ છે.
RILએ જણાવ્યું છે કે,રોકાણ કોઈ રિલેટેડ પાર્ટી ટ્રાન્ઝેક્શન નથી અને કંપનીના પ્રમોટરો, પ્રમોટર ગ્રૂપ અથવા જૂથ કંપનીઓમાંથી કોઈનો પણ આ રોકાણમાં કોઈ હિત નથી. આ સોદો પૂર્ણ કરવા માટે આવશ્યક શરતો અને મંજૂરીઓ મેળવવી પડશે. આવશ્યક મંજૂરી મળ્યાના બે સપ્તાહની અંદર આ સોદો પૂર્ણ થવાની અપેક્ષા છે.
અદાણી પોર્ટ ઓડિશાના ગોપાલપુર પોર્ટમાં 96 ટકા હિસ્સો ખરીદશે
તમને જણાવી દઇયે કે, તાજેતરમાં ગૌતમ અદાણી ની માલિકીની અદાણી પોર્ટ સેઝ કંપનીએ ઓડિશાના ગોપાલપુર પોર્ટમાં 96 ટકા હિસ્સો ખરીદવાની ઘોષણા કરી હતી. જેમાંથી 56 ટકા હિસ્સો શાપુરજી પાલોનજી અને 39 ટકા હિસ્સો ઓડિશા સ્ટીવેડોર્સ પાસેથી 1349 કરોડ રૂપિયાની ઇક્વિટી વેલ્યૂમાં હસ્તગત કરશે. આથી અદાણી ગ્રૂપ ભારતના પૂર્વ કિનારે મજબૂત હાજરી સ્થાપિત કરી શકશે.

આ પણ વાંચો | સોનાની તુલનાએ સેન્સેક્સમાં બમણું રિટર્ન, જુઓ વર્ષ 2023-24ના લેખા-જોખા
પારાદીપ બંદર અને વિઝાગ બંદર વચ્ચે આવેલું ગોપાલપુર બંદર 2015થી કાર્યરત છે અને મુખ્યત્વે દેશના સ્ટીલ ઉદ્યોગને સપ્લાય પૂરી પાડે છે. આ બંદર NH-516 મારફતે ગોલ્ડન ક્વાર્ડ્રિલેટરલ સાથે જોડાયેલું છે અને લગભગ 20 MMPTA ના કાર્ગોને હેન્ડલ કરી શકે છે. 2006માં ઓડિશા સરકારે ગોપાલપુર પોર્ટને 30 વર્ષની છૂટછાટ આપી હતી.





