/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/12/Suez-Canal-Crisis-Evergreen-Ship.jpg)
સુએઝ કેનાલમાં એપ્રિલ 2021માં એવરગ્રીન જહાજ ફસાઇ ગયુ હતુ. (Express Photo)
Suez Canal Crisis Effect On India Economy: સુએઝ કેનાલ ક્રાઈસિસથી સમગ્ર વૈશ્વિક અર્થતંત્રની સાથે ભારતને પણ મોટું નુકસાન થઇ શકે છે. સીએનબીસીના અક રિપોર્ટ અનુસાર સુએઝ કેનાલમાં બ્લોકેજના લીધે 35 અબજ ડોલરની મૂલ્યના કાર્ગોનો રસ્તો બદલવામાં આવ્યો છે. લગભગ 57 માલવાહક જહાજોએ પોતાનો રસ્તો બદલી નાંખ્યો છે. શિપિંગ સેક્ટરની મોટી કંપનીઓ સુએઝ કેનાલનો ઉપયોગ કરવાનું ટાળી રહી છે. યમનના હૂતી વિદ્રોહીઓ દ્વારા જહાજો પર હુમલા બાદ શિપિંગ કંપનીઓમાં ભયભીત છે. સુએઝ કેનાલ બ્લોકેજ કે વૈકલ્પિક રસ્તાનો ઉપયોગ કરવાનો સીધો અર્થ જહાજ નૂરમાં વધારો છે. તેનાથી ટ્રાન્સપોર્ટેશનના સમય અને ખર્ચ નોંધપાત્ર વધી જશે. અલબત્ત તેનાથી શિપિંગ કંપનીઓને જ ફાયદો થશે.
આયાત-નિકાસ થતી ચીજવસ્તુઓના ભાવ વધી જવાની આશંકા
ઈકરામાં આસિસ્ટન્ટ વાઈસ પ્રેસિડેન્ટ વરુણ ગોગિયાએ પોતાની રિપોર્ટમાં જણાવ્યું છે કે, સુએઝ કેનાલમાં વિક્ષેપથી સાર્વત્રિકપણે લોજિસ્ટિક્સ કોસ્ટમાં વધારો થયો નક્કી છે. ભારતીય નિકાસકારો અને આયાતકારો માટે પરિવહન ખર્ચમાં વધારો ગ્રાહકો પર ખસેડવો મુશ્કેલ રહેશે. જો સુએઝ નહેરની કટોકટી લાંબા સમય સુધી ચાલુ રહી હતી અથવા હૂતી વિદ્રોહીઓના હુમલા વધ્યા તો તેનાથી મોંઘવારી ફરી વધી શકે છે. જેના પરિણામ નાનાથી લઇ મોટી ચીજવસ્તુઓના ભાવ વધવા લાગશે. અલબત્ત અમુક એનાલિસ્ટોનું કહેવુ છે કે, હાલ કંઇ પણ કહેવું વહેલુ ગણાશે.
સુએઝ કેનાલ ક્યાં આવેલી છે?
સુએઝ નહેર એ ઇજીપ્તમાંથી પસાર થતી માનવનિર્મીત નહેર છે, જે રાતા સમુદ્ર અને ભુમધ્ય સમુદ્રને જોડે છે. સુએઝ નહેર 17 નવેમ્બર 1869માં ખુલ્લી મુકવામાં આવી હતી. સુએઝ નહેરનો મુખ્ય ઉદ્દેશ્ય યુરોપ અને એશિયા વચ્ચે આફ્રિકાનું ચક્કર લગાવ્યા વગર જલ પરિવહનનો હતો. તેનું ઉત્તર ટર્મિનસ છે પોર્ટ સઈદ અને દક્ષિણ ટર્મિનસ છે પોર્ટ તૌફિક, કે જે સુએઝ શહેરમાં આવેલું છે. ઈ.સ. 1866માં આ નહેરને પાર કરવામાં 36 કલાક લાગતા હતા પરંતુ આજે 18 કલાકથી પણ ઓછો સમય લાગે છે. સુએઝ કેનાલ હાલમાં ઇજિપ્તના નિયંત્રણ હેઠળ છે. આ કેનાલનો ટોલ ટેક્સ ઘણો વધારે છે. આ નહેર પનામા કેનાલ કરતા બમણી લંબાઈ હોવા છતાં, તેની કિંમત પનામા નહેરના ખર્ચના માત્ર ત્રીજા ભાગ જેટલો થયો હતો.
સુએઝ કેનાલનું નિર્માણ થતા યુરોપથી એશિયા અને પૂર્વ આફ્રિકા સુધીનો એક સરળ અને સીધો માર્ગ ખુલી ગયો અને તેના કારણે લગભગ 6,000 માઈલનું અંતર ઘટી ગયુ હતુ. આ નહેરથી ઘણા દેશો, પૂર્વ આફ્રિકા, ઈરાન, અરેબિયા, ભારત, પાકિસ્તાન, દૂર પૂર્વ એશિયાના દેશો, ઑસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ વગેરે સાથે વેપારમાં ખૂબ જ સરળતા થઈ અને વેપાર-ધંધામાં વધારો થયો છે.
2021માં સુએઝ કેનાલમાં 6 દિવસ સુધ જહાજની અવરજવર બંધ રહી
વર્ષ 2021માં સુએઝ નહેરમાં છ દિવસ સુધી માલવાહક જહાજોની અવરજવર બંધ રહી હતી.સમગ્ર ઘટનાની વાત કરીયે તો જાપાનની શિપમેન્ટ કંપની એવરગ્રીન 23 એપ્રિલ 2021ના રોજ સુએઝ કેનાલમાં ત્રાસું થઇ જતા નહેરમાં ફસાઇ ગયુ હતુ. આ માલવાહક જહાજ 6 દિવસ સુધી સુએઝ કેનાલમાં ફસાયેલું રહ્યુ હતુ. જેના કારણે કેનાલમાં માલવાહક જહાજોની અવરજવર છ દિવસ સુધી બંધ રહી હતી, પરિણામે દર કલાકે લગભગ 2800 કરોડ રૂપિયાનું નુકસાન થતુ હતુ. 6 દિવસની મથામણ - જહેમત બાદ 29 એપ્રિલ, 2021ના રોજ એવરગ્રીન જહાજ સીધું થઇ જતા સુએઝ કેનાલમાં ફરી જહાજોની અવરજવર શરૂ થતા વૈશ્વિક વેપારજગતે હાશકારો લીધો હતો.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us