Tax Saving Tips Without Investment: ટેક્સ બચાવવા માટે લાઇફ ઇન્શ્યોરન્સ, એનપીએસ, પીપીએફ, ઇએલએસએસ, સુકન્યા સમૃદ્ધિ યોજના (એસએસવાય), એનએસસી જેવા અનેક વિકલ્પો છે. આ કર બચત યોજના રોકાણ પર ટેક્સ બચાવવામાં મદદ કરે છે. મોટાભાગના કરદાતા આ લોકપ્રિય કર બચત યોજના વિશે જાણે છે અને સમજે છે. પરંતુ આ સિવાય પણ કરવેરા બચાવવા માટે ઘણા વિકલ્પ ઉપલબ્ધ છે, જેના વિશે લોકો પાસે વધારે માહિતી નથી. આવકવેરા કાયદામાં એવી ઘણી જોગવાઈ છે જે કોઈપણ કર બચત યોજનામાં રોકાણ કર્યા વગર કર બચાવવામાં મદદ કરે છે. અમે તમને અહીં તે જોગવાઈઓ વિશે જણાવી રહ્યા છીએ. જેના વિશે જાણકારી મેળવી તમે કર મુક્તિનો લાભ ઉઠાવી શકો છો.
બાળકોની ટ્યુશન ફી (Child Tuition Fee)
તમે તમારા બાળકોની શાળાની ફી પર આવકવેરા કાયદાની કલમ 80 સી હેઠળ કર મુક્તિનો લાભ લઈ શકો છો. આ અંતર્ગત બાળકોના શિક્ષણ માટે કોઈપણ યુનિવર્સિટી, કોલેજ, શાળા કે અન્ય શૈક્ષણિક સંસ્થામાં જમા થતી ટ્યુશન ફી પર 1.50 લાખ રૂપિયા સુધીની કપાતનો લાભ મળે છે. આ કપાત વધુમાં વધુ બે બાળકોના પૂર્ણકાલીન શિક્ષણ માટે ઉપલબ્ધ છે. પૂર્ણ-સમયના શિક્ષણમાં પ્લે-સ્કૂલ પ્રવૃત્તિઓ, પ્રિ-નર્સરી અને નર્સરી વર્ગોનો સમાવેશ થાય છે. જો કે ડેવલપમેન્ટ ફી, દાન જેવા ખર્ચ માટે કરવામાં આવેલી ચુકવણીમાં આ કપાતનો લાભ મળતો નથી.
તમને જણાવી દઇયે કે, આવકવેરા કાયદાની કલમ 80સી હેઠળ નાણાકીય વર્ષમાં મહત્તમ 1.50 લાખ રૂપિયા સુધીની કપાતનો દાવો કરી શકાય છે. આ જોગવાઈનો લાભ જૂની કર પ્રમાણલીનો વિકલ્પ પસંદ કરતા કરદાતા ઉઠાવી શકે છે. જેમણે નવી કર પ્રણાલી પસંદ કરી છે તેઓ કલમ 80 સી નો લાભ લેવા માટે પાત્ર નથી.
કલમ 80 સી સિવાય આવકવેરા કાયદામાં અન્ય ઘણી જોગવાઈ છે જે કરદાતાને અન્ય ખર્ચ પરનો ટેક્સ બચાવવામાં મદદ કરે છે. ચાલો આ વિશે વિગતવાર જાણકારી મેળવીયે

દાન (Donation)
સામાજિક સંસ્થાને દાન આપવું એ સમાજમાં યોગદાન આપવા અને જરૂરીયાતમંદોને મદદ કરવા માટેનો એક સામાન્ય માર્ગ છે. આવકવેરા કાયદાની કલમ 80 જી હેઠળ માન્ય સંસ્થાઓને કરવામાં આવેલ દાન કર કપાતનો દાવો કરી શકે છે. કપાત લાગુ શરતોના આધારે દાનના 50% અથવા 100% હોઈ શકે છે. કપાતનો દાવો કરવા માટે, પ્રાપ્તકર્તાનું નામ, પાન, સરનામું અને દાનની રકમ જેવી વિગતો આઇટીઆર ફાઇલ કરતી વખતે પ્રદાન કરવાની રહેશે.
હોમ લોન અને લોનની રકમ (House Loan Tax Exemption)
આવકવેરા કાયદાની કલમ 24(બી) હેઠળ હોમ લોન માટે જમા વ્યાજ પર કપાતનો દાવો કરી શકાય છે. તમે સ્વ-માલિકીની મિલકત પર દર નાણાકીય વર્ષે મહત્તમ 2 લાખ રૂપિયા સુધીની કપાતનો દાવો કરી શકો છો. સાથે જ લોનની રકમ માટે ચૂકવેલી રકમ પર કલમ 80સી હેઠળ કપાતનો દાવો પણ કરી શકાય છે. કરદાતાઓ આ લાભ ફક્ત જૂના કર શાસન હેઠળ સ્વ-કબજાવાળી સંપત્તિ માટે જ મેળવી શકે છે.
એજ્યુકેશન લોન પર વ્યાજ (Education Loan Interest Tax Exemption)
કલમ 80ઈ હેઠળ તમારા અથવા તમારા નજીકના લોકોના ઉચ્ચ શિક્ષણ માટે લીધેલી લોન પર જમા વ્યાજ પર કપાતનો દાવો કરી શકાય છે. આ કપાત આવકવેરા કાયદાની કલમ 80ઈમાં લાગુ પડતા નિયમોને આધીન છે. આ કપાત કોઈ પણ મર્યાદા વગર 8 વર્ષના સમયગાળા માટે મેળવી શકાય છે, જે વર્ષથી વ્યક્તિ લોન ચૂકવવાનું શરૂ કરે છે તે વર્ષથી શરૂ કરીને આગામી 7 વર્ષ માટે અથવા લોનનું વ્યાજ સંપૂર્ણપણે ભરપાઈ ન થાય ત્યાં સુધી, બેમાંથી જે વહેલું હોય તે મેળવી શકાય છે.
મેડિકલ ઇન્શ્યોરન્સ પ્રિમિયમ (Medical Insurance)
આવકવેરા કાયદાની કલમ 80ડી હેઠળ તમે પોતાના અને પરિવારના મેડિકલ ઈન્શ્યોરન્સ માટે ચૂકવેલ પ્રીમિયમ પર કર કપાતનો દાવો કરી શકો છો. કર કપાતની મહત્તમ મર્યાદા વીમાધારકની ઉંમર અને પોલિસીના પ્રકારને આધારે બદલાય છે. કોઈ પણ વ્યક્તિ પોતાના અને પોતાના પરિવાર (જેમાંથી કોઈ સિનિયર સિટીઝન નથી) માટે ચૂકવવામાં આવતા મેડિકલ ઇન્શ્યોરન્સ પ્રીમિયમ પર વાર્ષિક 25000 રૂપિયા સુધીની કપાતનો દાવો કરી શકે છે. સાથે જ જો કોઈ સિનિયર સિટીઝનનો પરિવારમાં સમાવેશ કરવામાં આવે તો વધુમાં વધુ 50000 રૂપિયા સુધીની કપાતનો દાવો કરી શકાય છે.

મકાન ભાડું એટલે કે હોમ રેટ પેમેન્ટ (House Rent Tax Exemption)
જે વ્યક્તિ પાસે મકાન નથી પરંતુ ભાડાના મકાનમાં રહે છે તે આવકવેરા કાયદાની કલમ 10 હેઠળ ચૂકવેલા ભાડા પર કર કપાતનો દાવો કરી શકે છે. મહત્તમ કપાતની મર્યાદા વ્યક્તિના પગાર અને રહેઠાણના શહેરના આધારે નક્કી કરવામાં આવે છે.
આ પણ વાંચો | ઈન્કમ ટેક્સ રિટર્ન ફાઈલ કરવાના ફાયદા, ઓછી આવક હોય તો પણ આઈટીઆર ફાઈલ કરો
આવકવેરા કાયદામાં સમાવિષ્ટ આ જોગવાઈઓના કેટલાક ઉદાહરણો અહીં છે જે લોકોને કોઈપણ રોકાણ વિના ટેક્સ બચાવવામાં મદદ કરી શકે છે. કરદાતાઓને સલાહ આપવામાં આવે છે કે તેઓ તેમને લાગુ આવકવેરાની જોગવાઈઓને વિગતવાર સમજવા માટે કર નિષ્ણાત અથવા નાણાકીય સલાહકારની સલાહ લે.





