Hindenburg Research On Madhabi Puri Buch And Adani Group: હિંડનબર્ગ રિસર્ચ રિપોર્ટ બાદ ભારતીય શેરબજાર અને કોર્પોરેટ સેક્ટરમાં ઉહાપોહ મચી ગયો છે. અદાણી ગ્રૂપ સામે ગંભીર આક્ષેપ કરનાર હિંડનબર્ગ રિસર્ચે હવે ભારતીય શેરબજાર નિયામક સેબીના ચેરપર્સન માધવી પુરી બુચ અને તેમના પતિ ધવલ બુચ પર ગંભીર આરોપ મૂક્યો છે. હિંડનબર્ગ રિસર્ચે જાન્યુઆરી 2023માં અદાણી ગ્રૂપ પર ગેરરીતિના આક્ષેપ મૂકતો રિપોર્ટ જારી કર્યો હતો, ત્યારબાદ અદાણી ગ્રૂપ કંપનીઓના શેર 75 થી 80 ટકા સુધી તૂટ્યા હતા અને ગૌતમ અદાણીને પણ અધધધ નુકસાન થયું હતુ. ચાલો જાણીયે હિંડનબર્ગ રિસર્ચ રિપોર્ટ શું છે અને કોણ તેની શરૂઆત કરી હતી?
હિંડનબર્ગ રિસર્ચ એક અમેરિકન ઇન્વેસ્ટમેન્ટ રિસર્ચ ફર્મ છે. જેની સ્થાપના સંશોધક નાથન એન્ડરસને કરી છે. કંપની ફોરેન્સિક નાણાકીય સંશોધન, એકાઉન્ટિંગ અનિયમિતતાઓ, અનૈતિક વ્યવસાયિક પ્રથા અને અપ્રગટ નાણાકીય મુદ્દાઓ અથવા વ્યવહારો મામલો તપાસ અને વિશ્લેષણમાં નિષ્ણાત છે. હિંડનબર્ગ રિસર્ચનું મુખ્ય કામ શોર્ટ સેલિંગ છે. જેમાં કેટલીક કંપનીઓ પર તેમનો રિપોર્ટ કેટલીક કંપનીઓની માર્કેટ વેલ્યૂ ઘટશે કે નહીં તેનું અનુમાન લગાવવામાં તેમની સ્થિતિ વિશે માહિતી આપે છે.

સ્થાપક અને સંશોધક નાથન એન્ડરસન પોતાને એક એક્ટિવિસ્ટ શોર્ટસેલર કહે છે. કંપની વિવિધ નાણાકીય કામગીરી પર ‘શોર્ટિંગ’ બિડ મૂકવા માટે પ્રકાશન પહેલાં રોકાણકારોના બોર્ડ સાથે પોતાનો અહેવાલ શેર કરે છે.
નાથન એન્ડરસને યુનિવર્સિટી ઓફ કનેક્ટિકટમાંથી ઇન્ટરનેશનલ બિઝનેસમાં ડિગ્રી મેળવી હતી અને ત્યાર બાદ ડેટા કંપની ફેક્ટસેટ રિસર્ચ સિસ્ટમ્સમાં પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી, જ્યાં તેમણે ઇન્વેસ્ટમેન્ટ મેનેજમેન્ટ કંપનીઓ સાથે કામ કર્યું હતું. તે અહીં અને કૌભાંડો શોધવાના તેમના શોખ દ્વારા જ તેમણે હિન્ડેનબર્ગ રિસર્ચ શરૂ કર્યું.
આ કંપનીનું નામ 1937માં હિન્ડેનબર્ગ હોનારતના નામ પરથી રાખવામાં આવ્યું હતું, જે જર્મન હવાઇ જહાજમાં માનવસર્જિત અને ટાળી શકાય તેવો વિસ્ફોટ હતો.
તેમની વેબસાઇટ પર જણાવવામાં આવ્યું છે કે, અમે બજારમાં ફરતી આવી જ માનવસર્જિત આપત્તિઓ પર નજર રાખીએ છીએ અને તેઓ વધુ અજાણ્યા પીડિતોને આકર્ષિત કરે તે પહેલાં તેમના પર પ્રકાશ પાડવાનું લક્ષ્ય રાખીએ છીએ.
વર્ષ 2017થી અત્યાર સુધીમાં તેઓએ યુનાઇટેડ સ્ટેટ્સ સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ કમિશન તેમજ એફેરિયાના, પરશિંગ ગોલ્ડ, નિકોલા જેવી ખાનગી કંપનીઓ તેમજ વિવિધ પ્રદેશો અને દેશોની અન્ય કંપનીઓમાં ગેરકાયદેસર વ્યવહારો, નાણાકીય છેતરપિંડી વગેરે તરફ ધ્યાન દોરતા 16 રિપોર્ટ બહાર પાડ્યા છે.

ઇલેક્ટ્રિક કાર કંપની નિકોલા પર તેમની તપાસ સૌથી મોટો રિસર્ચ રિપોર્ટ છે. તેના કારણે યુએસ જ્યુરીએ તેના સ્થાપકને દોષી ઠેરવ્યો હતો અને કંપનીએ યુએસ સરકારને 125 મિલિયન ડોલરનું નુકસાન ચૂકવવું પડ્યું હતું.
કંપનીની ન્યૂયોર્ક ટાઇમ્સની પ્રોફાઇલ અનુસાર, હિંડનબર્ગ ટીમમાં બ્લૂમબર્ગ અને સીએનએન સહિત પૂર્વ પત્રકારો અને એનાલિસ્ટનો સમાવેશ થાય છે. તેઓ નાણાકીય ક્ષેત્રના વ્હિસલબ્લોઅર્સ અને તેઓ જે કંપનીને ટાર્ગેટ કરી રહ્યા છે તેમની સાથે પણ કામ કરે છે. સ્થાપકે 10 રોકાણકારોના નામ આપવાનો ઇનકાર કર્યો હતો જેમણે સાહસને નાણાં પૂરા પાડ્યા હતા. 2021 અને 2022માં કંપનીએ એક્ટિવિસ્ટ ઇનસાઇટના રોકાણ વાર્ષિક સમીક્ષામાં ટોપ શોર્ટ સેલર નું સન્માન મેળવ્યું હતું.
અદાણી ગ્રૂપ વિશે હિંડનબર્ગ રિસર્ચ રિપોર્ટ
હિંડનબર્ગ રિસર્ચે 2023માં અદાણી ગ્રૂપ વિશે એક રિપોર્ટ બહાર પાડ્યો ત્યારે ભારતીય શેરબજાર, કોર્પોરેટ સેક્ટર અને રાજકારણમાં હડકંપ મચી ગયો હતો. હિંડનબર્ગ રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે અદાણી ગ્રૂપના ચેરમેન ગૌતમ અદાણીએ વર્ષ 2020થી અત્યાર સુધીમાં સાત મોટી લિસ્ટેડ કંપનીઓના શેરના ભાવમાં હેરાફેરી કરીને પોતાના વેલ્યુએશનમાં 100 અબજ ડોલરનો ઉમેરો કર્યો છે.
હિંડનબર્ગ રિસર્ચ રિપોર્ટમાં એવો આક્ષેપ કરવામાં આવ્યો હતો કે ગૌતમ અદાણીના ભાઈની છેતરપીંડિ અને કર ચોરી બદલ બે વખત ધરપકડ કરવામાં આવી હતી, પરંતુ તેમને જૂથના મેનેજિંગ ડિરેક્ટર તરીકે બઢતી આપવામાં આવી હતી.
અમેરિકન શોર્ટ સેલર ફર્મના જણાવ્યા અનુસાર ગૌતમ અદાણીના મોટાભાઈ વિનોદ અદાણી 37 શેલ કંપનીઓ સંચાલિત કરતા હતા જે મની લોન્ડરિંગના દાવાના કેન્દ્રમાં હતી.
હિંડનનબર્ગ રિસર્ચ રિપોર્ટમાં જણાવાયું છે કે, “અમારું માનવું છે કે અદાણી જૂથ ધોળા દિવસે મોટા પાયે, કથિત છેતરપિંડી કરવામાં સક્ષમ રહ્યું છે કારણ કે રોકાણકારો, પત્રકારો, નાગરિકો અને રાજકારણીઓ પણ બદલો લેવાના ડરથી બોલવામાં ડરતા હતા.

હિંડનબર્ગ VS સેબી ચીફ માધવી પુરી બુચ
જૂન 2024માં સેબીએ કહ્યું હતું કે, હિંડનબર્ગ રિસર્ચે અદાણી જૂથ અંગેના તેના તારણો ન્યૂયોર્ક સ્થિત હેજ ફંડ મેનેજર સાથે શેર કર્યા હતા અને તેમને આ માહિતી સાથે ટ્રેડિંગ કરવાની મંજૂરી આપી હતી. સેબીએ અદાણી ગ્રૂપના નાણાંકીય વ્યવહારોની તપાસ શરૂ કરી હતી, પરંતુ તપાસમાં ખાસ પ્રગતિ થઈ શકી નહોતી. હિંડનબર્ગ રિસર્ચે સેબીના આક્ષેપને નકારી કાઢ્યો હતો અને કહ્યું હતું કે ભારતમાં શક્તિશાળી સંસ્થાઓ દ્વારા ભ્રષ્ટાચાર પર સવાલ ઉઠાવનારાઓને ચૂપ કરાવવાનો આ પ્રયાસ છે.
આ પણ વાંચો | હિંડનબર્ગ રિસર્ચનો સેબી વડા માધવી પુરી બુચ પર ગંભીર આરોપ, અદાણી ગ્રૂપ સાથે કનેક્શન, વાંચો સંપૂર્ણ રિપોર્ટ
ઉલ્લેખનીય છે કે, જાન્યુઆરી 2023 અને જુલાઈ 2024 માં એક સમીક્ષામાં, સુપ્રીમ કોર્ટે ચુકાદો આપ્યો હતો કે તેઓ હિંડનબર્ગ રિસર્ચ રિપોર્ટમાં અદાણી ગ્રૂપ સામે કરવામાં આવેલા દાવાઓની તપાસ માટે સેબીના અધિકારક્ષેત્રમાં દખલગીરી કરી શકશે નહીં.





