Sravana Festival : શ્રાવણ મહિનાની શરૂઆત થતા જ તહેવારોની હારમાળા શરુ થાય છે. દશામાના વ્રત અને રક્ષાબંધનનો તહેવાર પુરો થયો છે. હવે સાતમ-આઠમની શરૂઆત થશે. સાતમ આઠમમાં ખાસ કરીને સૌરાષ્ટ્રમાં મિનિ વેકેશનનો માહોલ હોય છે. બોળચોથથી તહેવારની શરૂઆત થાય છે. ત્યાર પછી નાગપાંચમ, રાંધણ છઠ્ઠ, શીતળા સાતમ અને જન્માષ્ટમીનો તહેવાર આવે છે. આ પછી નોમના પારણા સાથે તહેવારની પૂર્ણાહુતિ થાય છે. આપણે જાણીએ કે આ તહેવારો કઇ તારીખે આવે છે અને શું છે મહત્વ.
બોળચોથ (Bol Choth)
આ વખતે બોળચોથ 22 ઓગસ્ટ 2024ને ગુરુવારના રોજ ઉજવવામાં આવશે. તેને બહુલા ચોથ પણ કહેવામાં આવે છે. બોળચોથ 22 ઓગસ્ટના રોજ બપોરે 1.46 કલાકેથી શરુ થશે અને બીજા દિવસે 23 ઓગસ્ટના રોજ સવારે 10.38 કલાકે પૂર્ણ થશે. આ દિવસે ગાયની પૂજ કરવાનું મહત્વ છે. ગાયની પૂજા ઘણું ફળ મળે છે.
નાગપાંચમ (Nag Panchami)
નાગપંચમી કે નાગપાંચમનો તહેવાર 23 ઓગસ્ટને શુક્રવારના રોજ મનાવવામાં આવશે. નાગપંચમીની શરૂઆત 23 ઓગસ્ટની સવારે 10.38 કલાકે થશે. જ્યારે 24 ઓગસ્ટના રોજ સવારે 7.51 કલાકે તેની પૂર્ણાહૂતિ થશે. આ દિવસે નાગ દેવતાની પૂજા કરવામાં આવે છે. નાગ દેવતાના મંદિરોમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શન માટે ઉમટી પડે છે.
રાંધણ છઠ્ઠ (Randhan Chhath)
રાંધણ છઠ્ઠનો તહેવાર શનિવારને 24 ઓગસ્ટના રોજ મનાવવામાં આવશે. રાંધણ છઠ્ઠની શરૂઆત 24 ઓગસ્ટની સવારે 7.41 કલાકે થશે. જ્યારે 25 ઓગસ્ટના રોજ સવારે 5.30 કલાકે પૂર્ણ થશે. રાંધણ છઠ્ઠના દિવસે ઘરે ભોજન રાંધવાની પરંપરા છે. આ દિવસે જાતજાતની વાનગીઓ બનાવવામાં આવે છે.
આ પણ વાંચો – Janmashtami 2024: કેમ ઉજવાય છે કૃષ્ણ જન્માષ્ટમી, જાણો ઇતિહાસ અને મહત્વ
શીતળા સાતમ (Shitala Satam)
શીતળા સાતમનો તહેવાર રવિવારને 25 ઓગસ્ટના રોજ ઉજવવામાં આવશે. શીતળા સાતમની શરૂઆત 25 ઓગસ્ટની સવારે 5.30 કલાકે થશે. જ્યારે 26 ઓગસ્ટના સવારે 3.39 કલાકે પુરી થશે. શીતળા સાતમના દિવસે ઠંડુ ભોજન ખાવાની પરંપરા છે, જેના કારણે તે દિવસે ઘરમાં ભોજન રાંધવામાં આવતું નથી. રાંધણા છઠ્ઠના દિવસે રાંધેલું ભોજન ખાવામાં આવે છે. આ દિવસે શીતળા માતાની પૂજા કરવામાં આવે છે.
જન્માષ્ટમી (Janmashtami)
જન્માષ્ટમી એટલે ભગવાન કૃષ્ણનો જન્મ દિવસ છે. જેને દેશભરમાં ધુમધામથી મનાવવામાં આવે છે. જન્માષ્ટમીનો તહેવાર 26 ઓગસ્ટને સોમવારનો રોજ મનાવવામાં આવશે. આ વખતે આઠમ 26 ઓગસ્ટના રોજ સવારે 03:39 વાગ્યે શરૂ થશે અને 27 ઓગસ્ટના રોજ સવારે 02:19 વાગ્યે સમાપ્ત થશે. 26 ઓગસ્ટની મધ્યરાત્રિએ મથુરામાં શ્રી કૃષ્ણની જન્મજયંતિની ઉજવણી કરવામાં આવશે.