/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2022/10/dubai-teple.jpg)
દુબઈમાં બન્યુ હિન્દુ મંદિર
Hindu Temples in Dubai: દુબઈના જેબેલ અલીમાં બનેલું નવું હિન્દુ મંદિર દશેરાના તહેવારના એક દિવસ પહેલા મંગળવારે (4 ઑક્ટોબર, 2022) ખુલશે. મંદિર પ્રશાસનના જણાવ્યા અનુસાર UAEના મંત્રી શેખ નાહયાન બિન મુબારક અલ નાહયાન અને UAEમાં ભારતીય રાજદૂત સંજય સુધીર મુખ્ય અતિથિ તરીકે હાજર રહેશે. આજે મંદિર ખુલ્યા બાદ બુધવારથી ભક્તો મંદિરમાં આવી શકશે.
ખલીજ ટાઈમ્સે અહેવાલ આપ્યો છે કે આ મંદિર સિંધી ગુરુ દરબાર મંદિરનું વિસ્તરણ છે. સિંધી ગુરુ દરબાર મંદિર એ સંયુક્ત આરબ અમીરાતના સૌથી જૂના હિન્દુ મંદિરોમાંનું એક છે. આ નવા મંદિરનું નિર્માણ કાર્ય ફેબ્રુઆરી 2020માં શરૂ થયું હતું. ગલ્ફ ન્યૂઝના અહેવાલો અનુસાર, મંદિર તમામ ધર્મના લોકોનું સ્વાગત કરે છે. આ મંદિરમાં 16 દેવતાઓ અને ગુરુ ગ્રંથ સાહિબ છે.
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2022/10/dubai-teple-1.jpg)
મંદિરનું ઉદ્ઘાટન 1 સપ્ટેમ્બર, 2022ના રોજ થઈ ચૂક્યું છે. આ દરમિયાન મુલાકાતીઓને સફેદ આરસપહાણથી બનેલા મંદિરની સુંદરતા જોવા આવવાની મંજૂરી આપવામાં આવી હતી. મંદિરના સ્તંભો પર અરબી અને હિંદુ ભૌમિતિક ડિઝાઇન બનાવવામાં આવી છે અને છત પર ઘંટડીઓ છે. મંદિર પ્રવેશ માટે QR-કોડ આધારિત એપોઇન્ટમેન્ટ બુકિંગ સિસ્ટમ સક્રિય કરવામાં આવી છે.
ભારતીય રાજદૂત સંજય સુધીરે કહ્યું કે UAE 3.5 મિલિયન ભારતીય નાગરિકોનું ઘર છે અને વિવિધ ધર્મોના 20 લાખ ભારતીય નાગરિકો દુબઈમાં રહે છે. તેમની માન્યતાઓને ધ્યાનમાં રાખીને અહીંની સરકારે મંદિરના નિર્માણ માટે જમીન આપીને યોગદાન આપ્યું છે.
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2022/10/dubai-teple-2.jpg)
મંદિર પ્રબંધન દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે આ મંદિર તમામ ધર્મો માટે સમકાલીન આધ્યાત્મિક કેન્દ્ર છે. "યુએઈના શાસકોની ઉદારતા અને કોમ્યુનિટી ડેવલપમેન્ટ ઓથોરિટી (સીડીએ) ના સમર્થનથી અમે આવતીકાલે સાંજે દુબઈમાં હિન્દુ મંદિરનો સત્તાવાર ઉદઘાટન સમારોહ યોજી રહ્યા છીએ," ગલ્ફ ન્યૂઝે મંદિરના ટ્રસ્ટી રાજુ શ્રોફને ટાંકીને જણાવ્યું હતું.
તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, “અત્યારે ઉદઘાટન સમારોહની તૈયારીઓ ચાલી રહી છે અને સુરક્ષા તપાસ ચાલી રહી છે. આથી, મંદિર મંગળવારે જાહેર જનતા માટે બંધ રહેશે અને દશેરાના દિવસે બુધવારથી ભક્તો માટે ખોલવામાં આવશે. મંદિરની સત્તાવાર વેબસાઇટ અનુસાર, દુબઇમાં આ નવું હિન્દુ મંદિર સવારે 6:30 થી રાત્રે 8 વાગ્યા સુધી ખુલ્લું રહેશે. જેબેલ અલીમાં 'પૂજા ગામ' તરીકે ઓળખાતી જગ્યામાં અનેક ચર્ચ અને ગુરુ નાનક દરબાર ગુરુદ્વારા છે, જ્યાં આ મંદિર બનાવવામાં આવ્યું છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us