PM Narendra Modi UAE Visit Updates : પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું કે આજે સંયુક્ત આરબ અમીરાતની ધરતીએ માનવીય ઈતિહાસનો એક નવો સોનેરી અધ્યાય લખ્યો છે. આજે અબુધાબીમાં અને દિવ્ય મંદિરનું ઉદ્ઘાટન થઈ રહ્યું છે. આ ક્ષણ પાછળ વર્ષોની મહેનત લાગી છે. આમાં વર્ષો જૂનું સ્વપ્ન સામેલ છે. આમાં ભગવાન સ્વામિનારાયણના આશીર્વાદ જોડાયેલા છે. આજે, પ્રમુખ સ્વામીજી જે દિવ્ય લોકમાં હશે, તેમનો આત્મા જ્યાં હશે ત્યાં પ્રશન્નતાનો અનુભવ કરી રહી હશે.
પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું કે આજે વસંત પંચમીનો પવિત્ર તહેવાર પણ છે. પર્વ માતા સરસ્વતીનો ઉત્સવ છે. માતા સરસ્વતી એટલે બુદ્ધિ અને વિવેકની, માનવીય પ્રજ્ઞા અને અને ચેતનાની દેવી! આ માનવીય પ્રજ્ઞા જ છે જેણે આપણને સહયોગ, સંપ, સમન્વય અને સાહાર્દ જેવા આદર્શોને જીવનમાં અમલમાં મૂકવાની સમજ આપી છે.
આ મંદિર સમગ્ર વિશ્વ માટે સાંપ્રદાયિક સૌહાર્દ અને વૈશ્વિક એકતાનું પ્રતિક બનશે – પીએમ મોદી
પીએમ મોદીએ કહ્યું કે મને આશા છે કે આ મંદિર પણ માનવતા માટે સારા ભવિષ્યની વસંતનું સ્વાગત કરશે. આ મંદિર સમગ્ર વિશ્વ માટે સાંપ્રદાયિક સૌહાર્દ અને વૈશ્વિક એકતાનું પ્રતિક બનશે.
આ પણ વાંચો – પીએમ નરેન્દ્ર મોદીએ અબુધાબીના પ્રથમ હિન્દુ મંદિરનું ઉદ્ઘાટન કર્યું
આવનારા સમયમાં અહીં મોટી સંખ્યામાં ભક્તો આવશે – પીએમ મોદી
પીએમે કહ્યું કે UAE અત્યાર સુધી બુર્જ ખલીફા, ફ્યુચર મ્યુઝિયમ, શેખ ઝાયેદ મસ્જિદ અને અન્ય હાઈટેક ઈમારતો માટે ઓળખાય છે. હવે તેની ઓળખમાં વધુ એક સાંસ્કૃતિક અધ્યાય જોડાઇ ગયો છે. મને વિશ્વાસ છે કે આવનારા સમયમાં અહીં મોટી સંખ્યામાં ભક્તો આવશે. આનાથી યુએઈમાં આવનારા લોકોની સંખ્યામાં પણ વધારો થશે અને લોકોથી લોકોના સંપર્કમાં પણ વધારો થશે.
પીએમ મોદીએ કહ્યું કે સમગ્ર ભારત અને વિશ્વભરમાં વસતા લાખો ભારતીયો વતી હું રાષ્ટ્રપતિ મહામહિમ શેખ મોહમ્મદ અને UAE સરકારનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. હું UAEના લોકોનો તેમના સહકાર બદલ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું.
પીએમે કહ્યું કે અબુ ધાબીનું આ વિશાળ મંદિર માત્ર પૂજા સ્થળ નથી. તે માનવતાની સંયુક્ત વારસાનું પ્રતીક છે. તે ભારત અને અરબના લોકો વચ્ચેના પરસ્પર પ્રેમનું પ્રતીક પણ છે. તે ભારત અને UAE વચ્ચેના સંબંધોનું આધ્યાત્મિક પ્રતિબિંબ છે.
આ ભારતના અમૃતકાળનો સમય છે – પીએમ મોદી
નરેન્દ્ર મોદીએ કહ્યું કે આ ભારતના અમૃતકાળનો સમય છે. આ આપણી આસ્થા અને સંસ્કૃતિ માટે પણ અમૃતકાળનો સમય છે. ગયા મહિને જ અયોધ્યામાં ભવ્ય રામ મંદિરનું વર્ષો જૂનું સપનું પૂરું થયું. રામલલા પોતાના ભવનમાં બિરાજમાન થયા છે. આખું ભારત અને દરેક ભારતીય આજે પણ એ પ્રેમની લાગણીમાં ડૂબેલો છે. અયોધ્યાના આપણા તે અપાર આનંદને આજે અબુધાબીમાં મળેલી ખુશીની લહેરથી વધુ વધાર્યો છે. આ મારું સૌભાગ્ય છે કે હું પહેલા અયોધ્યામાં ભવ્ય શ્રી રામ મંદિરનો અને પછી અબુધાબીમાં આ મંદિરનો સાક્ષી રહ્યો છું.