Shri Hit Premanand Govind Sharan Ji Maharaj: ભગવાન શ્રી કૃષ્ણની નગરી મથુરા ગોકુળ વૃંદાવનની પવિત્ર ભૂમિ પર રોજ દેશ વિદેશ માંથી લાખો લોકો દર્શન કરવા આવે છે. અહીં ભગવાન શ્રીકૃષ્ણ તેમજ રાધા રાણીના હજારો મંદિરો છે. જો તમે પણ ભગવાન કૃષ્ણની નગરી ગોકુળ મથુરા વૃંદાવન જઈ રહ્યા છો તો કેટલાક નિયમોનું પાલન અવશ્ય કરવું જોઈએ. સ્વામી પ્રેમાનંદ મહારાજના આવા ઘણા વીડિયો છે જેમા તેમણે મથુરા વૃંદાવન આવતા સાધકોને રાધા કૃષ્ણના દર્શન કરવાની સાથે સાથે કેટલાક નિયમોનું પાલન કરવાનું જણાવ્યું છે. તો જ આ તમારી ધાર્મિક યાત્રા સફળ બની શકે છે. પ્રેમાનંદ મહારાજ સાથે વાર્તાલાપમાં એક વ્યક્તિ તેમને પૂછે છે કે, જ્યારે કોઈ નવી વ્યક્તિ વૃંદાવન કે મથુરા જેવા પવિત્ર તીર્થસ્થાનના દર્શન કરવા આવે છે, ત્યારે તેમણે શું ખાસ કાળજી લેવી જોઈએ?
આ સવાલનો જવાબ આપતા પ્રેમાનંદ મહારાજ સમજાવે છે કે, સૌથી પહેલી વાત એ છે કે ભગવાનનું નામ જાપ ક્યારેય ચૂકવું ન જોઈએ, કારણ કે આ નામ તમારી બુદ્ધિને શુદ્ધ રાખશે. તીર્થ ધામમાં કોઈના દોષો તરફ જોવું જોઈએ નહીં, કારણ કે આપણી દ્રષ્ટિ હાલ માયામયી છે – આપણે પુરુષો, સ્ત્રીઓ, જડતા અને ચેતના તરફ જોઈએ છીએ અને દોષો શોધીએ છીએ. જો તમને કોઈ દોષ દેખાય તો પણ, તેનું વર્ણન બિલકુલ કરશો નહીં, નહીં તો આપણું તીર્થ યાત્રા પર આવવું નકામું અને દોષ બની જશે.
તીર્થ યાત્રા દરમિયાન વખતે ગૃહજીવનની સુખસગવડોનો ત્યાગ કરવો જોઈએ. જેમ તમે ઘરમાં રહો છો, તેવું વર્તન ન કરો. તમે એક દિવસ રહો કે ચાર દિવસ, બ્રહ્મચર્યનું પાલન કરો. પોતાની કમાણીના પૈસા માંથી ભોજન કરો અને બીજા કોઈનું આપેલું ભોજન (હલવા-પુરી જેવા) ન ખાઓ. પૈસાની અછત હોય તો ચણા ગોળ જેવા સાદા ખોરાકથી સંતોષ માની લો. તીર્થ યાત્રા પુણ્ય ફળ કમાવવા માટે છે, તે ગુમાવવા માટે નહીં. જો શક્ય હોય તો, તીર્થા ધામમાં એક દિવસ માટે ઉપવાસ પણ કરો – શરીરને ફક્ત પાણી અથવા ફળથી પોષણ આપો. દરેક પળનો ઉપયોગ કરીને ભગવાનનું નામ સ્મરણ કરો, કીર્તન અને દર્શન કરો.
તીર્થ ધામમાં સેવા અને દાનની ભાવના રાખો. જો તમારી પાસે થોડા પૈસા હોય તો તેમાંથી પક્ષીઓ માટે અનાજ ખરીદી ચણ નાંખો, કોઈ સંતને કપડાં કે મીઠું જેવી વસ્તુ આપો. આ બધું ઈશ્વરની ભાવનાથી કરો, કોઈ દેખાડા કે પબ્લિસિટી માટે નહીં. જો તમે કોઈ ભંડારા માંથી ભોજન કરો છો તો તમારી ક્ષમતા અનુસાર કંઈક દાન કરો – જેમ કે ₹ 10, ₹ 20, ₹ 50 યોગ્ય છે, અને જો તમે તેમ કરી શકતા નથી, તો ત્યાંથી ભોજન ન લો. ગૃહસ્થ વ્યક્તિની ફરજ છે કે તે દાન ન લે, પરંતુ ઈશ્વરે જે આપ્યું છે તેનાથી સંતોષ માને.
સંતોના દર્શન કરતી વખતે, તેમના પ્રત્યે ઈશ્વરીય વલણ રાખો, તેમને સામાન્ય માનવી ન માનો. જે રીતે આપણે પથ્થરને ભગવાન માનીએ છીએ ત્યારે તે પૂજનીય બની જાય છે, તેવી જ રીતે સંતને પણ ભગવાનનું રૂપ માનીએ છીએ, તો જ આપણને પુણ્ય અને લાભ મળશે. માત્ર સંતના દર્શનથી પાપોનો નાશ થાય છે. દર્શન કરતી વખતે વિનમ્રતા રાખો, અભિમાન ન રાખો. સંતો સાથે વધુ સમય ન રહો, કારણ કે આપણી ગંદી બુદ્ધિ કોઈ દોષ શોધી શકે છે, જેનાથી અપરાધ ભાવ થઈ શકે છે. સત્સંગને સાંભળો અને પછી એકાંતમાં તેનું ધ્યાન કરો, જેથી ભજનમાં મન લાગે અે તેમા કોઇ દોષ ન દેખાય.
આ પણ વાંચો | પ્રેમાનંદ મહારાજ સત્સંગ – એકાદશી ઉપવાસના નિયમ
પ્રેમાનંદ મહારાજ અંતમાં કહે છે કે, સંતોની લીલાઓ આપણી સમજની બહાર છે, તેથી તેમને માનવીય દ્રષ્ટિકોણથી ન જોવા જોઈએ. જો આપણે ભગવાનની ભાવનાથી દર્શન કરશો, તો જ આપણને સંતના રૂપમાં ભગવાનથી સાચો લાભ મળશે. સંત પ્રત્યે આદર, સેવા, ભજન અને દોષરહિત ભક્તિથી કરવામાં આવેલા મંદિરની યાત્રા ખરેખર પુણ્યદાયી અને ભગવાનની પ્રાપ્તિમાં મદદરૂપ છે.