Ramlalla Surya Tilak : રામ મંદિર નિર્માણ સમિતિના અધ્યક્ષ નૃપેન્દ્ર મિશ્રાએ ભગવાન રામના ‘સૂર્ય તિલક’ વિશે જાણકારી શેર કરી છે. મિશ્રાએ કહ્યું કે બધાને વિશ્વાસ છે કે જે ભક્તો રામનવમી પર આવશે તે સુવિધાજનક રીતથી ભગવાન રામના દર્શન કરી શકશે. તેમણે કહ્યું કે ખાસ કરીને રામનવમીમાં આકર્ષણ પણ છે. અમે સૂર્ય તિલકને લઇને પ્રયત્ન કરી રહ્યા છીએ અને તેનો અભ્યાસ કરી રહ્યા છીએ.
સમિતિના અધ્યક્ષ નૃપેન્દ્ર મિશ્રાએ વધુમાં જણાવ્યું કે અમારો લોકોનો પુરો પ્રયત્ન છે કે સૂર્ય કિરણ ભગવાનના મસ્તક પર 12:16 વાગ્યાની આસપાસ લગભગ પાંચ મિનિટ સુધી આવે અને આશીર્વાદ મેળવે. તેમણે કહ્યું કે તેના માટે મહત્વપૂર્ણ તકનીકી વ્યવસ્થા કરવામાં આવી રહી છે. મંદિર ટ્રસ્ટ અને અમે તેમાં સંપૂર્ણ રીતે જોડાયેલા છીએ અને આપણા વૈજ્ઞાનિકો પણ આ કામમાં સંપૂર્ણ રીતે લાગેલા છે જેથી તેઓ આ કામમાં સફળ થાય.
રામ મંદિર નિર્માણ અંગે નૃપેન્દ્ર મિશ્રાએ કહ્યું કે અમે આ માટે પૂરા પ્રયાસો કરી રહ્યા છીએ. તેમણે કહ્યું કે તમે મુખ્ય મંદિર અને પરીસર જોયા હશે. તેને જોઈને કહી શકાય કે મંદિરથી પણ વધારે પરીસરમાં પથ્થરની જરૂર પડશે. તેમણે કહ્યું કે અમારી ટીમ મંદિર નિર્માણ અને પરીસર બંને માટે ઝડપથી કામ કરી રહી છે. તેમણે કહ્યું કે ભક્તો માટે સુવિધા કેન્દ્ર અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરને પણ પુરુ કરવામાં આવી રહ્યું છે. નૃપેન્દ્ર મિશ્રાએ કહ્યું કે અમે તે વિશ્વાસ સાથે જોડાયેલા છીએ કે ડિસેમ્બર 2024 સુધીમાં કામ પૂર્ણ થઈ જશે.
રામનવમીના દિવસે રામ મંદિરમાં જોવા મળશે ભવ્ય નજારો
ધાર્મિક માન્યતા અનુસાર ચૈત્ર માસની નવમીના દિવસે ભગવાન રામનો જન્મ થયો હતો. એટલા માટે દર વર્ષે આ દિવસે રામનવમીનો તહેવાર ઉજવવામાં આવે છે. પરંતુ આ વખતે રામનવમીનો તહેવાર રામ ભક્તો માટે ખૂબ જ ખાસ બનવાનો છે. તેનું કારણ એ છે કે લગભગ 500 વર્ષ સુધી લાંબી રાહ જોયા બાદ ભગવાન શ્રી રામ પોતાના જન્મસ્થળ પર બનેલા ભવ્ય મંદિરમાં બિરાજમાન થયા છે. રામનવમીના દિવસે આ વખતે અયોધ્યામાં રામ મંદિરનો ભવ્ય નજારો જોવા મળશે.
આ પણ વાંચો – હનુમાન જયંતિ ક્યારે છે 23 કે 24 એપ્રિલ? જાણો તારીખ, પૂજા મુહૂર્ત અને મહત્વ
રામ નવમીના દિવસે એટલે કે 17 એપ્રિલ 2024ના રોજ સૂર્યદેવ રામલલાની શોભા વધારશે. રામ જન્મોત્સવ નિમિત્તે સૂર્યદેવ લગભગ 5 મિનિટ સુધી રામલલાનું તિલક કરશે. સૂર્ય અભિષેકનું સફળ પરીક્ષણ પણ સામે આવ્યું છે. જેને જોઈને રામ ભક્તો ખુશ છે.
આ રીતે કરવામાં આવશે સૂર્ય તિલક
મંદિરના ત્રીજા માળે સ્થાપિત કરવામાં આવનારી ઓપ્ટો-મિકેનિકલ સિસ્ટમમાં હાઇ ક્વોલિટી દર્પણ, લેન્સ અને એક ખાસ એેંગલ પર લગાવેલા લેન્સ સાથે વર્ટિકલ પાઇપિંગ લગાવેલા છે. મંદિરના ભોંયતળિયે બે દર્પણ અને એક લેન્સ ફીટ કરવામાં આવ્યા છે. ત્રીજા માળે પણ જરૂરી સાધનો લગાવવામાં આવી રહ્યા છે. સૂર્યની રોશની ત્રીજા માળે પહેલા દર્પણ પર પડશે અને ત્રણ લેન્સ, બે અન્ય દર્પણથી થઇને સીધી ગ્રાઉન્ડ ફ્લોર પર લાગેલા આખરી દર્પણ પર પડશે. તેના દ્વારા રામલલાની મૂર્તિના મસ્તક પર સૂર્ય કિરણનું એક તિલક લાગી જશે. તે લગભગ પાંચ મિનિટ સુધી રામલલાના મસ્તક પર રહેશે.