Valmiki Jayanti 2025 date : વાલ્મીકિ જયંતિ મહર્ષિ વાલ્મીકિના જન્મદિવસ તરીકે ઉજવવામાં આવે છે. વાલ્મીકિ મહર્ષિને રામાયણના રચયિતા તરીકે પણ ઓળખવામાં આવે છે. વાલ્મીકિ જયંતિ દર વર્ષે આસો મહિનાની પૂર્ણિમાના દિવસે ઉજવવામાં આવે છે. આ વર્ષે 7 ઓક્ટોબરને મંગળવારના રોજ વાલ્મીકિ જયંતિની ઉજવણી કરવામાં આવશે.
મહર્ષિ વાલ્મીકિએ સંસ્કૃત ભાષામાં રામાયણની રચના કરી હતી. તેને એક પ્રાચીન ગ્રંથ માનવામાં આવે છે. સામાન્ય રીતે મહર્ષિ વાલ્મીકિના જન્મ અંગે જુદા જુદા મત પ્રવર્તે છે. પરંતુ કહેવાય છે કે તેમનો જન્મ મહર્ષિ કશ્યપ અને દેવી અદિતિના નવમા પુત્ર વરુણ અને તેમના પત્ની ચર્ષિણીના ઘરે થયો હતો.
મહર્ષિ વાલ્મીકિ કોણ હતા? જાણો ઇતિહાસ
કહેવાય છે કે મહર્ષિ વાલ્મીકિ એક સમયે રત્નાકર નામના ખુંખાર ડાકુ હતા. તે પોતાના પરિવારનું ગુજરાન ચલાવવા માટે લોકોને લૂંટતા હતા. એક વાર તેમણે નારદજીને લૂંટવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારે તેમને નારદે પૂછ્યું કે તું આવું કેમ કરે છે. ડાકુએ જવાબ આપ્યો કે હું આવું કરવા માંગતો નથી પરંતુ મારે મારા પરિવારનું ગુજરાન ચલાવવા માટે આ કામ કરવું પડે છે. તેના પર નારદજીએ જવાબ આપ્યો કે તમે તમારા પરિવારનું ગુજરાન ચલાવવા માટે ગુનો કરી રહ્યા છો.
નારદજીના શબ્દો સાંભળીને તેમણે ખોટાં કાર્યો છોડી દેવાનું નક્કી કર્યું અને નવો રસ્તો અપનાવવાનું મન બનાવ્યું હતું. દેવર્ષિ નારદજીએ તેમને રામ નામનો જાપ કરવાની સલાહ આપી હતી. આ પછી તે ભગવાનમાં મગ્ન થઈ ગયા હતા. માનવામાં આવે છે કે જ્યારે મહર્ષિ વાલ્મીકિ ધ્યાનમાં મગ્ન હતા, ત્યારે તેમના શરીરમાં ઊધઈ ચઢી ગઈ હતી. પરંતુ તેઓ ધ્યાનમા એટલા મગ્ન હતા કે તેમનું ઊધઇ પર ધ્યાન ગયું ન હતું. ત્યાર બાદ જ્યારે ધ્યાન પૂર્ણ થયું ત્યારે તેમણે ઊધઈ સાફ કરી હતી. ઊધઈના ઘરને વાલ્મીકિ કહેવામાં આવે છે. કહેવાય છે કે આ ઘટના બાદ તેમનું નામ વાલ્મીકિ રાખવામાં આવ્યું હતું.
આ પણ વાંચો – દિવાળી પહેલા ખરીદી લો આ 4 વસ્તુઓ, માતા લક્ષ્મીના આશીર્વાદ મળશે, સુખ-સમૃદ્ધિ વધશે
પ્રાચીન કથામાં જણાવવામાં આવ્યું છે કે જ્યારે શ્રીરામે માતા સીતાનો ત્યાગ કર્યો હતો. આ સમય દરમિયાન તેઓ વાલ્મીકિ આશ્રમમાં ઘણાં વર્ષો સુધી રહ્યાં અને ત્યાં જ માતા સીતાએ પોતાના પુત્ર લવ અને કુશને જન્મ આપ્યો હતો. વાલ્મીકિ જીને રત્નાકરના નામથી પણ ઓળખવામાં આવે છે. કહેવાય છે કે બાળપણમાં એક ભીલે તેમની ચોરી કરી હતી, જેના કારણે ભીલ સમાજમાં તેનો ઉછેર થયો હતો અને બાદમાં તે લૂંટારું બની ગયા હતા.
વાલ્મીકિ જયંતિ 2024 મહત્વ
મહર્ષિ વાલ્મીકિના જન્મદિવસ નિમિત્તે વાલ્મીકિ જયંતિ ઉજવવામાં આવે છે. વાલ્મીકિને ભગવાન રામના સૌથી મોટા ભક્ત માનવામાં આવે છે અને તેમણે આખી રામાયણ લખી હતી. દરેક વ્યક્તિ આ દિવસ ખૂબ જ ધામધૂમથી ઉજવે છે. આ દિવસે ઋષિ વાલ્મીકિની પૂજા કરવામાં આવે છે. તેમના મંદિરોને ફૂલોથી શણગારવામાં આવે છે, અને રામાયણના શ્લોકો વાંચવામાં આવે છે. સેમિનારોનું પણ આયોજન કરવામાં આવે છે અને તેમને યાદ કરવામાં આવે છે.