ભાજપ સંકલ્પ પત્ર : ખેડૂતો-મહિલાઓ-યુવાનો સહિત કોના માટે શું-શું વચન આપ્યા? જુઓ તમામ વિગત

BJP manifesto : ગુજરાત વિધાનસભા ચૂંટણી (Gujarat Election 2022) માટે ભાજપે તેના સંકલ્પ પત્ર (ભાજપ ચૂંટણી ઢંઢેરા) માં ખેડૂતો, યુવાનો, મહિલાઓ, આદિવાસીઓ, શિક્ષણ, આરોગ્ય અને આ સિવાય રાજ્યના વિકાસને લગતા વાયદા કર્યા.

Written by Kiran Mehta
Updated : November 26, 2022 18:03 IST
ભાજપ સંકલ્પ પત્ર : ખેડૂતો-મહિલાઓ-યુવાનો સહિત કોના માટે શું-શું વચન આપ્યા? જુઓ તમામ વિગત
ભારતીય જનતા પાર્ટીએ જાહેર કર્યો મેનિફેસ્ટો

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખી ભાજપે આજે તેમની પાર્ટનો સંકલ્પ પત્ર જાહેર કર્યો છે, જેમાં ભાજપે ખેડૂતો, કૃષિ, મહિલાઓ, યુવાનો, માછીમારો, પશુપાલકો, અર્થતંત્ર, આરોગ્ય, સમરસ વિકાસ, ગવર્નન્સ, ઈન્ફાસ્ટ્રક્ચર વગેરે વગેરે વિવિધ ક્ષેત્રે કેવી રીતે અને કેટલા રૂપિયાના કયા-કયા કામ કરીશું તેનો વાયદો કરવામાં આવ્યો છે. આ પ્રસંગે ભાજપ અધ્યક્ષ જે પી નડ્ડાએ કહ્યું કે, અમારા સંકલ્પ પત્રમાં રાજ્યના તમામ વર્ગને ધ્યાનમાં રાખવામાં આવ્યા છે, ભાજપ દ્વારા 15 દિવસ સર્વે તથા ચર્ચા વિચારણ બાદ જે વસ્તુ હજુ રાજ્યમાં ખૂટે છે તે દિશામાં અમારી સરકાર કામ કરશે, તેવો ભાજપ પાર્ટીનો સંકલ્પ છે.તો જોઈએ ભાજપના ચૂંટણી ઢંઢેરામાં શું શું વચનો આપવામાં આવ્યા.

1- ખેડૂતો, કૃષિ, પશુપાલન, માછીમારો, માટે વાયદો

ગુજરાત કૃષિ ઈન્ફ્રાસ્ટ્રક્ચર કોષ હેઠળ રૂ. 10,000 કરોડ નું રોકાણ કરીશું, જે કૃષિ વિકાસ માટે એક સર્વગ્રાહી વ્યવસ્થાને (APMCs, ખેડૂત મંડળીઓ, વર્ગીકરણ-ગ્રેડિંગ યુનિટ્સ, કોલ્ડ ચેન, વેરહાઉસ, પ્રાઈમરી પ્રોસેસિંગ યુનિટ્સ વગેરેનું આધુનિકીકરણ અને નિર્માણ દ્વારા) મજબૂત કરાશે.

રૂ. 25,000 કરોડ ના ખર્ચે સમગ્ર ગુજરાતમાં સુજલામ સુફલામ, SAUNI, લિફ્ટ ઇરિગેશન, સૂક્ષ્મ સિંચાઈ, ટપક સિંચાઈ અને અન્ય પદ્ધતિથી થતાં કૃષિ સિંચાઈના વર્તમાન નેટવર્કનું વિસ્તરણ કરીશું.

પશુધનની સર્વગ્રાહી કાળજી સુનિશ્ચિત કરવા માટે ગૌશાળાઓને માળખાગત રીતે મજબૂત (રૂ. 500 કરોડનું વધારાનું બજેટ), 1000 વધારાના મોબાઇલ વેટરનરી યુનિટ્સની રચના અને દરેક પશુધન માટે રસીકરણ તેમજ વીમાની ખાતરી કરાશે.

દેશના પહેલા બ્લૂ ઈકોનોમી ઈન્ડસ્ટ્રિયલ કોરિડોરનું નિર્માણ, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર એમ 2 સી-ફૂડ પાર્કને કાર્યાન્વિત કરી અને મત્સ્યોદ્યોગ માટે જરૂરી ઈન્ફ્રાસ્ટ્રક્ચર (જેવા કે જેટી, કોલ્ડ સપ્લાય ચેન અને બોટના મેકેનાઈઝેશનની સુવિધા)ને વધુ મજબૂત કરીશું.

2- આરોગ્ય માટે શું વચન આપ્યું

પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (આયુષ્માન ભારત) હેઠળ નિઃશુલ્ક તબીબી સારવારની ખાતરી સાથે કુટુંબ દીઠ વાર્ષિક સારવાર માટેની મહત્તમ મર્યાદાને રૂ. 5 લાખથી વધારીને રૂ. 10 લાખ કરીશું.

‘મુખ્યમંત્રી ફ્રી ડાયગ્નોસ્ટિક સ્કીમ’ થકી EWS પરિવારોને તમામ સરકારી આરોગ્ય સંસ્થા અને એમ્પેનલ્ડ લેબોરેટરીમાં નિ:શુલ્ક નિદાન ઉપલબ્ધ થાય તે માટે રૂ. 110 કરોડના ભંડોળનું નિર્માણ કરીશું.

રૂ. 10,000 કરોડના ભંડોળથી ‘મહારાજા શ્રી ભગવતસિંહજી સ્વાસ્થ્ય કોષ’નું નિર્માણ કરીશું, જેનાથી 3 નવી વર્લ્ડ ક્લાસ સિવિલ મેડિસિટી, 2 AIIMS સ્તરની હોસ્પિટલ અને હાલની તમામ સ્વાસ્થ્ય સુવિધાઓ (હોસ્પિટલ PHCs-CHCs)ને અપગ્રેડ કરીશું.

3- શિક્ષણ ક્ષેત્ર શું છે ભાજપનો વાયદો

મિશન સ્કૂલ ઑફ એક્સેલન્સ હેઠળ રૂ. 10,000 કરોડના ખર્ચે આગામી 5 વર્ષમાં 20,000 શાળાઓને અપગ્રેડ કરીશું.

રૂ. 1,000 કરોડના ભંડોળ સાથે ‘કેશવરામ કાશીરામ શાસ્ત્રી હાયર એજ્યુકેશન ટ્રાન્સફોર્મેશન ફંડ’ની રચના કરીશું, જેની મદદથી નવી સરકારી કોલેજોનું નિર્માણ કરાશે અને હાલની કોલેજ-યુનિવર્સિટીઓને અદ્યતન સુવિધાથી સજ્જ કરવામાં આવશે.

4- યુવાનો અને રોજગાર, રમત-ગમત મામલે વચન

ગુજરાતના યુવાનોને આગામી 5 વર્ષમાં 20 લાખ રોજગારીની તકો પ્રદાન કરીશું.

ગ્રીન એનર્જી, સેમિકન્ડક્ટર્સ, ફિનટેક અને એરોસ્પેસ જેવા ક્ષેત્રોમાં સેન્ટર ઑફ એકસેલન્સ તરીકે IITના તર્જ પર 4 ‘ગુજરાત ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેકનોલોજી’ની સ્થાપના કરીશું.

વર્ષ 2036માં ઑલિમ્પિક ગેમ્સની યજમાની કરવાના ઉદ્દેશ્ય સાથે વિશ્વ કક્ષાનું રમત-ગમતનું ઈન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવા ગુજરાત ઑલિમ્પિક મિશન શરૂ કરીશું.

ઉચ્ચ શિક્ષણ માટેની ભારતની NIRFમાં ટોચની રેન્કિંગ સંસ્થા અથવા વિશ્વની ટોચની સંસ્થામાં પ્રવેશ મેળવનાર દરેક OBC/ST/SC/EWS વિદ્યાર્થીઓને રૂ. 50,000નું પ્રોત્સાહન અનુદાન આપીશું.

5 - સમરસ વિકાસ માટે વચન

‘પ્રધાનમંત્રી આવાસ યોજના’ના 100% અમલીકરણ દ્વારા ગુજરાતના દરેક નાગરિકને પોતાનું પાકું ઘર મળે તેવું સુનિશ્ચિત કરીશું.

‘ફેમિલી કાર્ડ યોજના’ના માધ્યમથી દરેક પરિવારને રાજ્ય સરકાર દ્વારા સંચાલિત તમામ કલ્યાણકારી યોજનાઓનો લાભ મેળવવાનું સુગમ બનાવીશું.

PDS સિસ્ટમના માધ્યમથી દર મહિને 1 કિલો ચણા અને વર્ષમાં ચાર વખત 1 લીટર ખાદ્ય તેલ આપીશું.

6- આદિવાસી-વનબંધુઓ માટે વાયદો

ટ્રાઈબલ સબ પ્લાન હેઠળના 56 તાલુકામાં મોબાઈલ વાન મારફતે રાશન વિતરણની વ્યવસ્થા શરૂ કરીશું.

આદિવાસી ક્ષેત્રોના સર્વાંગી સામાજિક-આર્થિક વિકાસ માટે ‘વનબંધુ કલ્યાણ યોજના 2.0’ હેઠળ રૂ. 1 લાખ કરોડનો ખર્ચ કરીશું.

અંબાજી અને ઉમરગામ વચ્ચેના ‘બિરસા મુંડા આદિજાતિ સમૃદ્ધિ કોરિડોર’ અંતર્ગત 4-6 લેન હાઈ-વે, જંગલ આધારિત ઈન્ડસ્ટ્રીમાં રોજગારની તકો અને આદિવાસી સાંસ્કૃતિક સર્કિટ (પાલ દઢવાવ – સ્ટેચ્યૂ ઑફ યુનિટી – શબરી ધામ)નું નિર્માણ કરીશું.

આદિવાસી ક્ષેત્રોમાં દરેકને સર્વોત્તમ સ્વાસ્થ્ય સુવિધાઓ ઉપલબ્ધ થાય તેવા હેતુથી 8 મેડિકલ અને 10 નર્સિંગ/પેરા મેડિકલ કોલેજોની સ્થાપના કરીશું.

યુવાનો માટે રોજગારી ઊભી થાય તે હેતુથી આદિવાસી વિસ્તારોમાં 8 GIDCની સ્થાપના કરીશું.

મેરિટના આધારે આદિવાસી સમુદાયના 75,000 વિદ્યાર્થીઓને શ્રેષ્ઠ રહેણાંક શાળાની સુવિધા પૂરી પાડવા માટે 25 ‘બિરસા મુંડા જ્ઞાનશક્તિ નિવાસી શાળા’ઓ સ્થાપીશું.

7- મહિલાઓ-દીકરીઓ માટે શું છે ભાજપનો વાયદો?

KG થી PG સુધીની તમામ દીકરીઓને નિઃશુલ્ક ગુણવત્તાયુક્ત શિક્ષણ પ્રદાન કરીશું.

આર્થિક રીતે નબળા પરિવારની કોલેજ જતી દીકરીઓને મેરિટ પ્રમાણે ઈલેક્ટ્રિક સ્કૂટર આપવા માટે ‘શારદા મહેતા યોજના’ શરૂ કરીશું.

ગુજરાતમાં મહિલા સિનિયર સિટિઝન માટે નિઃશુલ્ક બસ મુસાફરીની યોજના લાવીશું.

આવનારા પાંચ વર્ષોમાં મહિલાઓ માટે 1 લાખથી વધુ સરકારી નોકરીઓનું નિર્માણ કરીશું.

શ્રમિકોને રૂ. 2 લાખ સુધીની કોલેટરલ ફ્રી લોન આપવા શ્રમિક ક્રેડિટ કાર્ડ રજૂ કરીશું.

8- ગવર્નન્સ માટે શું વચન આપ્યું?

‘ગુજરાત યુનિફોર્મ સિવિલ કોડ’ કમિટીની ભલામણોનો સંપૂર્ણપણે અમલ થાય તે સુનિશ્ચિત કરીશું.

‘એન્ટિ રેડિકલાઈઝેશન સેલ’ બનાવીશું જે દેશવિરોધી તત્વો અને આતંકવાદી સંગઠનોના સ્લીપર સેલને ઓળખીને તેને દૂર કરવાનું કામ કરશે.

રમખાણો, હિંસક વિરોધ, અશાંતિ વગેરે દરમિયાન અસામાજિક તત્વો દ્વારા જાહેર અને ખાનગી મિલકતોને થયેલા નુકસાનની વસૂલાત કરવા માટે ‘ગુજરાત રિકવરી ઑફ ડેમેજ ઑફ પબ્લિક એન્ડ પ્રાઇવેટ પ્રોપર્ટી એક્ટ’ લાગુ કરીશું.

રૂ. 1,000 કરોડથી વધુનો ખર્ચ કરીને મજબૂત માળખાકીય સુવિધાઓ, શ્રેષ્ઠ-વર્ગના સાધન-શસ્ત્રોની ખરીદી, અપરાધ અટકાવવામાં મદદ કરે તેવી આધુનિક ટેક્નોલોજીનો ઉપયોગ અને પોલીસ માટે ભારતનું સૌથી મજબૂત IT ઈન્ફ્રાસ્ટ્રક્ચરનું નિર્માણ કરવાના લક્ષ્ય સાથે પોલીસ દળનું આધુનિકીકરણ કરીશું

9- ગુજરાતના અર્થતંત્રમાં વૃદ્ધિ માટે વાયદો

ગુજરાતને 1 ટ્રિલિયન ડોલરનું અર્થતંત્ર બનાવવા મેન્યુફેક્ચરિંગ પાવરહાઉસ તરીકેનું સ્થાન જાળવી રાખીશું ઉપરાંત સર્વિસ સેક્ટર પર ફોકસ કરીને નવા યુગને અનુરૂપ ઉદ્યોગો માટે હ્યુમન-ઇન્સ્ટિટ્યૂશનલ કેપસીટી બિલ્ડીંગમાં રોકાણ કરીશું.

રૂ. 5 લાખ કરોડનું વિદેશી રોકાણ આકર્ષીને ગુજરાતને ભારતનું ડિફેન્સ અને એવિએશન મેન્યુફેક્ચરિંગ હબ બનાવીશું.

10- ઈન્ફાસ્ટ્રક્ચર માટે વચન

દેશમાં પહેલી વાર 3,000 કિ.મી. લાંબો અને સમગ્ર ગુજરાતને આવરી લેતો 4-6 લેનનો ‘પરિક્રમા પથ’ બનાવીશું. જેમાં સાઉથ ઈસ્ટર્ન પેરિફેરલ હાઈ-વે અને નોર્થ વેસ્ટર્ન પેરિફેરલ હાઈ-વે બનાવીશું.

‘ગુજરાત લિંક કોરિડોર્સ’નો વિકાસ કરીશું, જેમાં હાલના હાઈ-વેને વધુ લંબાવીશું અને ખૂટતી કડીઓ સમાન કામ પૂર્ણ કરીશું. પૂર્વ-પશ્ચિમ કોરિડોર દાહોદથી પોરબંદરને જોડશે અને ઉત્તર-દક્ષિણ કોરિડોર પાલનપુરથી વલસાડને જોડશે.

મહત્વના આર્થિક કેન્દ્રો અને નેશનલ હાઈ-વે વચ્ચે મજબૂત કનેક્ટિવિટી વિકસાવવા માટે ‘સૌરાષ્ટ્ર એક્સપ્રેસ હાઈ-વે ગ્રીડ’ને વિકસાવીશું.

શહેરી વિસ્તારોમાં ગીચતા ઘટાડવા (સેટેલાઇટ ટાઉનશીપ્સ) અને નાગરિકોના જીવનસ્તરમાં સુધારો કરવા (રિવરફ્રન્ટ, રિક્રિએશનલ પાર્ક્સ, અર્બન ફોરેસ્ટ, ટ્રાફિક મેનેજમેન્ટ સિસ્ટમ્સ) માટે ગુજરાત શહેરી વિકાસ મિશન હેઠળ રૂ25,000 કરોડનો ખર્ચ કરીશું.

ગાંધીનગર અને સુરત મેટ્રોની કામગીરીને નિર્ધારિત સમયમર્યાદા પૂર્ણ કરવાનું સુનિશ્ચિત કરીશું અને સૌરાષ્ટ્ર (રાજકોટ) અને મધ્ય ગુજરાત (વડોદરા)ની પ્રથમ મેટ્રો રેલ સેવા. પર ઝડપથી કામ શરૂ કરીશું.

11- ધાર્મિક સંસ્કૃતિ ક્ષેત્રે વિકાસ

દ્વારકા પશ્ચિમ ભારતનું સૌથી મોટું આધ્યાત્મિક કેન્દ્ર બને તે માટે ‘દેવભૂમિ દ્વારકા કોરિડોર’ બનાવીશું, જેમાં ભગવાન શ્રી કૃષ્ણની વિશ્વની સૌથી મોટી પ્રતિમા, 3D ઇમર્સિવ (Immersive) શ્રીમદ્દ ભગવદ્ ગીતા એક્સપિરિયન્સ ઝોન તથા વિલુપ્ત દ્વારકાનગરીની વ્યૂઇંગ ગેલેરી હશે.

મંદિરોના જીર્ણોદ્ધાર અને વિસ્તરણ માટે સોમનાથ, અંબાજી તથા પાવાગઢના સફળ ટ્રાન્સફોર્મેશન મોડેલને અનુસરીને આ હેતુ માટે રૂ. 1,000 કરોડ ફાળવીશું.

રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે ગુજરાતના ઉન્નત સાંસ્કૃતિક વારસાનું મહત્વ વધારવા માટે ₹2,500 કરોડનું રોકાણ કરીશું.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ