/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/06/doctor-70-1.jpg)
વિવાદ બાદ આદિપુરૂષના સંવાદ બદલવામાં આવ્યા
પૌરાણિક હિંદુ મહાકાવ્ય પર આધારિત સાઉથ સુપરસ્ટાર પ્રભાસની ફિલ્મ 'આદિપુરૂષ' પર પ્રતિબંધની અરજી સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવી હતી. જે મામલે આજે 30 જૂને શુક્રવારે સુનાવણી થવાની છે. ‘આદિપુરૂષ’ 16 મેએ રિલીઝ થઇ ત્યારથી ભારે વિવાદોમાં સપડાઇ છે. આદિપુરૂષને લઇને દેશભરમાં જોરશોરથી વિરોધ થઇ રહ્યો છે. આ ફિલ્મને લઇને પ્રતિદિન નવા વિવાદ સામે આવે છે. જેની પ્રબળ અસર તેના કલેક્શન પર પડી છે. જેને પગલે નિર્માતાઓને મોટું નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે.
આદિપુરૂષના નિર્માણ પાછળ 500 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે. મોટાભાગનો ખર્ચ VFX પાછળ કરાયો છે. ઓક્ટોબર 2022માં જ્યારે આદિપુરૂષનું ટીઝર રિલીઝ થયું ત્યારે તેની પણ ભારે આલોચના કરવામાં આવી હતી. ટીઝરને નેગેટીવ રિવ્યૂ મળ્યા હતા, જેમાં ખરાબ વીએફએક્સ તેમજ રામ-સીતા, હનુમાન સહિત રાવણ પર સવાલ ઉઠાવ્યા હતા. જે બાદ ફિલ્મ નિર્માતાએ તેમાં સુધારો કરવાનો નિર્ણય લીધો હતો. જેને પગલે ‘આદિપુરૂષ’ની રિલીઝમાં વિલંબ થયો હતો.
આખરે 16 મેના રોજ આદિપુરૂષ સિનેમાઘરોમાં રિલીઝ થઇ. જે બાદ ફિલ્મને ખરાબ રિવ્યૂ મળ્યા. આ ફિલ્મનો પ્રચંડ વિરોધ ખરાબ વીએફએક્સ અને મનોજ મુંતશિર દ્વારા લખાયેલા ડાયલોગને કારણે થયો. જો કે હાલમાં જ આ સંવાદમાં ફેરફાર કરાયા છે.
ફિલ્મ રિલીઝ થયાના એક દિવસ પછી મનોજ મુંતશિરે એક ઇન્ટરવ્યુમાં પોતાનો બચાવ કરતા કહ્યુ હતું કે, ‘આદિપુરૂષ માત્ર રામાયણના એક ભાગ પર જ કેન્દ્રિત છે, ત્યારે આ ફિલ્મને બદનામ કરવાનું ષડયંત્ર છે’. ફિલ્મને મળેલા ખરાબ રિવ્યૂને લઇને મનોજે કહ્યું હતું કે, માત્ર દર્શકોના રિવ્યૂ મહત્વના છે.
મનોજ મુંતશિરે આજ તકને આપેલા ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે, આદિપુરૂષ રામાયણનું રૂપાતંરણ નથી, પરંતુ માત્ર તેનાથી પ્રેરિત છે. તેમનું આ નિવેદન અગાઉના નિવેદનથી તદ્દન વિરૂદ્ધ છે. અગાઉ મનોજ મુંતશિરે પોતાના નિવેદનમાં કહ્યું હતું કે, આદિપુરૂષ ‘રામાયણ’ને ઇમાનદારી પૂર્વક બતાવવાની કોશિશ છે.
ફિલ્મ આદિપુરૂષમાં માતા સીતા ભારતની પુત્રી છે તેમ દર્શાવવામાં આવ્યું છે. જેને લઇને નેપાળના કાઠમાંડુના મેયર બાલેન શાહે નારાજગી વ્યક્ત કરી અને ધમકી આપી હતી કે, તે તમામ હિંદી ફિલ્મો પર પ્રતિબંધ લગાવી દેશે. બાલેન શાહે ત્રણ દિવસનો સમય આપ્યો હતો, પરંતુ કંઇ ફેરફાર ન થતાં ત્યાં હિંદી ફિલ્મો પર પ્રતિબંધ લાદવામાં આવ્યો. આ મામલો વધુ ઉગ્ર બનતા ટી-સીરિઝ માફી માંગવી પડી હતી.
આદિપુરૂષના સ્ટાર કાસ્ટની ફી અંગે વાત કરીએ તો ‘બાહુબલી’ની ધમાકેદાર સફળતા બાદ દેશના સૌથી મોટા સ્ટાર્સમાંનો એક અભિનેતા પ્રભાસ છે. પ્રભાસે પોતાની ફી વધારીને 100 કરોડ રૂપિયાથી વધુ કરી દીધી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ ફિલ્મમાં ભગવાન શ્રીરામની ભૂમિકા ભજવવા માટે પ્રભાસને લગભગ 150 કરોડ રૂપિયા આપવામાં આવ્યા છે.
/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)

Follow Us