/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/06/adipurush-film.jpg)
ફિલ્મ આદિપુરુષની રિલીઝના થોડા કલાકો બાદ મોટો હંગામો શરૂ થઇ ગયો છે
adipurush film controversy : ફિલ્મ આદિપુરુષની રિલીઝના થોડા કલાકો બાદ મોટો હંગામો શરૂ થઇ ગયો છે. ફિલ્મ પર પ્રતિબંધ મુકવાની માંગ ઉઠી છે. આ અંગે હાઇકોર્ટમાં અરજી કરવામાં આવી છે. હિન્દુ સેના દ્વારા આરોપ લગાવવામાં આવ્યો છે કે ફિલ્મમાં ઘણી વસ્તુઓ યોગ્ય રીતે બતાવવામાં આવી નથી. એવું પણ કહેવામાં આવ્યું છે કે રામાયણની મજાક ઉડાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.
હિન્દુ સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ વિષ્ણુ ગુપ્તાએ કોર્ટમાં આ અરજી દાખલ કરી છે. કહેવાય છે કે આ ફિલ્મ સંસ્કૃતિને બદનામ કરવાના હેતુથી બનાવવામાં આવી છે. હવે એક તરફ દેશમાં આ ફિલ્મ પર પ્રતિબંધ મુકવાની વાત ચાલી રહી છે તો બીજી તરફ નેપાળના કાઠમંડુમાં આ ફિલ્મને રિલીઝ થતી અટકાવવામાં આવી છે. વાસ્તવમાં આદિપુરુષમાં જાનકીને ભારતની દીકરી કહેવામાં આવી છે. હવે નેપાળ દાવો કરે છે કે આ હકીકત ખોટી છે અને તેને તાત્કાલિક સુધારવી જોઈએ.
આ પણ વાંચો - સીતા ભારતની પુત્રી છે’ સંવાદને લઇને નેપાળમાં હોબાળો, મેયરે બાલેને ટ્વીટ કરીને આપી ચેતવણી
આ પહેલાં પણ આદિપુરુષને લઈને ઉગ્ર હોબાળો મચ્યો હતો. ફિલ્મનું ટીઝર આવ્યું ત્યારે ગ્રાફિક્સને લઈને ઘણો હંગામો મચી ગયો હતો. આ પછી ટ્રેલરને સારો રિસ્પોન્સ મળ્યો હતો પરંતુ એક માહોલ રહ્યો હતો. હવે આ ફિલ્મ રિલીઝ થઈ ચૂકી છે એટલે લોકો બે ભાગમાં વહેંચાઈ ગયા છે. એક તરફ પ્રભાસના કારણે ફિલ્મને પસંદ કરી રહ્યા છે તો એક જુથ ફિલ્મને રામાયણની મોટી મજાક માની રહ્યા છે.
ફિલ્મના ડાયલોગ્સને લઈને ઘણો હંગામો જોવા મળી રહ્યો છે. જે રીતે કેટલાક ડાયલોગ લખાયા છે તેના કારણે લોકો તેને રામાયણનું અપમાન માની રહ્યા છે. ઉદાહરણ તરીકે હનુમાન કહે છે કે તે લંકા લગા દેંગે, રાવણ કહે છે કે કોઈ કામ-ધંધો નથી અને રાવણનો રાક્ષસ કહે છે - આ તારી ફોઇનો બગીચો નથી. આ બધા ડાયલોગ્સના કારણે સોશિયલ મીડિયા પર ફિલ્મને લઇને નેગેટિવ માહોલ જોવા મળી રહ્યો છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)

Follow Us