બોલિવૂડ અભિનેત્રી આલિયા ભટ્ટ અને રણબીર કપૂર તેમની પર્સનલ લાઇફને ખાનગી જ રાખવા માંગે છે. બંને દીકરી રાહા કપૂર વિશે ખુબ જ ઓછી વાત કરે છે. જો કે તાજેતરમાં આલિયા ભટ્ટ સાથે ખાસ વાતચીત કરી હતી. આ દરમિયાન અભિનેત્રીએ રણબીર અને રાહાના બોન્ડીંગ વિશે વાત કરી હતી. આ સિવાય તે જે રીતનો અવાજ કાઢતા શીખી છે, એ જોઇને તેમણે રાહાને આપેલા નવા નામ અંગે ખુલાસો કર્યો હતો. સાથે જ રણબીર જ્યારે રાહાને તેડે છે ત્યારે તે કેવો લાગે છે તે વિશે પણ જણાવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે, ગત વર્ષે એપ્રિલમાં કપલે પાંચ વર્ષના રિલેશનશિપ બાદ લગ્ન કર્યા હતા અને નવેમ્બરમાં તેમને ત્યાં પારણું બંધાયું હતું. કપલની દીકરી રાહા પાંચ મહિનાની થઈ ગઈ છે. ત્યારે વોગ ઈન્ડિયાને આપેલા ઈન્ટરવ્યૂમાં રણબીરના રાહા સાથેના બોન્ડિંગ વિશે વાત કરતાં આલિયાએ જણાવ્યું હતું કે ‘રણબીર હંમેશાથી લાગણીશીલ, પ્રામાણિક અને સપોર્ટિવ રહ્યો છે. પરંતુ રાહાનો જન્મ થયો ત્યારથી તે વધારે લાગણીશીલ બની ગયો છે. તે તેને ખૂબ જ પ્રેમ કરે છે’. આ સાથે એક્ટ્રેસે કહ્યું હતું કે ‘રાહા ખરેખર હેપ્પી બાળક છે. તે શીખવાની પ્રક્રિયામાં છે. તે જે રીતે અવાજ કરે છે તેના પરથી મેં અને રણબીરે તેનું હુલામણું નામ ‘ચિત્તા’ પાડ્યું છે’.
આલિયા ભટ્ટે કહ્યું હતું કે, જ્યારે રણબીર રાહાને પોતાના હાથમાં રાખે છે ત્યારે તે વિશાળકાય લાગે છે. ‘બંનેને સાથે જોવાની મજા આવે છે કારણ કે રણબીરમાં તેની ફિલ્મ એનિમલના પાત્રની થોડી અસર દેખાઈ છે. તેથી જ્યારે તે રાહાને ઊંચકે છે ત્યારે એવું લાગે છે કે કોઈ વિશાળકાય નાના ગલુડિયાને ઊંચકતું હોય તેવું લાગે છે. રણબીર ઘરે ખરેખર હેન્ડ-ઓન ફાધર છે. ઘણીવાર તો એક સેકન્ડ માટે તેને તેડવી મારા માટે મુશ્કેલ થઈ દાય છે. તેની પાસે રાહાને ઊંચકવાની અનોખી રીત છે, તે બારી પાસે તેને લઈને બેસવાનું પસંદ કરે છે, જ્યાંથી પવન આવે છે. આ સાથે તે તે ત્યાં મૂકેલા મોટા છોડને જોવામાં થોડો સમય વિતાવે તેમ તે ઈચ્છે છે. તે આ ક્ષણમાં મુલાફરી કરી રહ્યો હોય છે. તેથી, હું રાહા સાથે તે જ રુટિન રિક્રિએટ કરવાનો પ્રયાસ કરું છું કારણ કે રણબીર સતત નર્વસ રહે છે કે તે તેને કદાચ ભૂલી જશે’.
વધુમાં રાહાના જન્મ બાદ પોતે સતત ટેન્શનમાં રહેતી હોવાનો પણ આલિયા ભટ્ટે ખુલાસો કર્યો હતો. તેણે કહ્યું હતું કે, તેને હંમેશા ડર રહે છે કે, તે દીકરી અને કામ બંને ઠીક રીતે મેનેજ તો કરી લેશે ને? એક્ટ્રેસે કહ્યું હતું કે, રાહાના આવ્યા બાદ તેનું જીવન સંપૂર્ણરીતે બદલાઈ ગયું છે. ‘એક મા તરીકે હું ગિલ્ટી અનુભવું છું. કામ અને રાહાને સરખી રીતે સંભાળી રહી છું કે નહીં તેની ચિંતા થાય છે. મહિલાઓ પર બંને બાબતને સંભાળવાનું દબાણ હોય છે. લોકો આજે પણ જૂના વિચારોમાં જીવી રહ્યા છે કે, એકવાર મા બની ગયા તો જીવન કુરબાન કરવું પડશે. નવી મમ્મીઓ માટે ચેલેન્જ વધી ગઈ છે. હું વિચારું છું કે લોકો શું વિચારતા હશે. જો સમાજમાં જજમેન્ટ ન હોય તો તમે પોતાને સરળતાથી સંભાળી લો છો. હાલ હું મારી મેન્ટલ હેલ્થ પર વધારે ધ્યાન આપી રહી છું. દર અઠવાડિયે થેરાપી લઉ છું. હું દરેક પ્રકારના ડર પર ખુલીને વાત કરું છું. થેરાપીથી મને લડવાની તાકાત મળે છે’, તેમ તેણે ઉમેર્યું હતું.