આ શું હીરો બનશે? જ્યારે દિગ્ગજ અભિનેત્રીઓ મિથુન ચક્રવર્તી સાથે કામ કરવાની ના પાડી દેતી હતી

Mithun Chakraborty Dadasaheb Phalke Award : મિથુન ચક્રવર્તીની મહેનતનું જ પરિણામ છે કે સિનેમા જગતમાં તેમના યોગદાન બદલ દાદાસાહેબ ફાળકે એવોર્ડ આપવામાં આવશે. મિથુનને એકસમયે 'ગરીબોના અમિતાભ બચ્ચન'નો ટેગ પણ આપવામાં આવ્યો હતો. જાણો અભિનેતાની સંઘર્ષની કહાની

Written by Ashish Goyal
September 30, 2024 18:11 IST
આ શું હીરો બનશે? જ્યારે દિગ્ગજ અભિનેત્રીઓ મિથુન ચક્રવર્તી સાથે કામ કરવાની ના પાડી દેતી હતી
મિથુન ચક્રવર્તીને દાદા સાહેબ ફાળકે એવોર્ડ આપવામાં આવશે (Photo: Express Archive)

Mithun Chakraborty struggle story : પીઢ અભિનેતા મિથુન ચક્રવર્તી ના નામ પર વધુ એક સિદ્ધિ જોડાઈ ગઈ છે. મિથુનને દાદા સાહેબ ફાળકે એવોર્ડ આપવામાં આવશે. એવું કહેવામાં આવે છે કે એક નિષ્ફળતા તમારી સફળતા નક્કી કરતી નથી. અથાક પ્રયત્નો અને સખત મહેનતથી ઘણું બદલી શકાય છે. મિથુન ચક્રવર્તીએ પોતાની લાઇફમાં પણ કંઈક આવું જ કર્યું છે. 70-80ના દાયકામાં તેમનો સિનેમા જગતમાં સિક્કો ચાલતો હતો. ભૂતકાળમાં તેમનો એક સમયગાળો હતો. એક સમયે રસ્તા પર ભૂખ્યા સૂવા મજબૂર થયેલા આ એક્ટર આજે એક સફળ અભિનેતા તરીકે જાણીતા છે અને તેમણે ઘણા રેકોર્ડ પોતાના નામે કર્યા છે.

મિથુન ચક્રવર્તીની મહેનતનું જ પરિણામ છે કે સિનેમા જગતમાં તેમના યોગદાન બદલ દાદાસાહેબ ફાળકે એવોર્ડની જાહેરાત કરવામાં આવી છે. જો તેમણે એ વખતે પ્રજાના મહેણાં-ટોણાં અને નિષ્ફળતાથી હાર માની લીધી હોત તો આજે દુનિયાભરમાં તેમની ઓળખ ન થઈ હોત અને દાદાસાહેબ ફાળકે એવોર્ડ પણ મળ્યો ન આ હોત. તેમણે સંજોગો સાથે લડત આપી અને તે સમયે જ્યારે રાજેશ ખન્ના, અમિતાભ બચ્ચન, વિનોદ ખન્ના જેવા સુપરસ્ટાર્સનો દબદબો હતો ત્યારે તેમણે પોતાની આગવી ઓળખ ઊભી કરી હતી.

તેમણે ડિસ્કો ડાન્સર તરીકે ઓળખ બનાવી હતી. જોકે એક સમય એવો હતો જ્યારે ઇન્ડસ્ટ્રીની મોટી અભિનેત્રીઓ તેમની સાથે કામ કરવા માટે રાજી ન હતી. તેમને ‘ગરીબોના અમિતાભ બચ્ચન’નો ટેગ પણ આપવામાં આવ્યો હતો. ચાલો તમને તેમના જીવન વિશે જણાવીએ.

મિથુન ચક્રવર્તી જ્યારે એક્ટિંગમાં કરિયર બનાવવા માટે મુંબઈ આવ્યા ત્યારે તે સમયે ઇન્ડસ્ટ્રીમાં અમિતાભ બચ્ચનનું નામ ગૂંજી રહ્યું હતું. રાજેશ ખન્ના પોતાનું સ્ટારડમ ગુમાવી રહ્યા હતા. આવી સ્થિતિમાં મિથુન માટે બિગ બી જેવા સ્ટારની સામે કરિયર બનાવવું ઘણું મુશ્કેલ હતું. તેમણે ઇન્ડસ્ટ્રીના એ-લિસ્ટર્સ સાથે સ્પર્ધા કરવા સિવાય બીજો રસ્તો પસંદ કર્યો હતો. તેમણે બી ગ્રેડની ફિલ્મોમાં કામ કરવાની સાથે સાથે નાના બજેટની ફિલ્મોમાં પણ કામ કર્યું હતું. જેમાં ‘ગુંડા’, મૃણાલ સેનની ‘મૃગયા’ જેવી ફિલ્મોનો સમાવેશ થાય છે. ‘મૃગયા’ થી તેમની નોંધ લીધી હતી. પછી સ્ટારડમનો બીજો પડાવ આવ્યો હતો.

તેમણે 1980ના દાયકામાં ‘સુરક્ષા’, ‘પ્યાર ઝુકતા નહીં’, ‘કસમ પૈદા કરને વાલે કી’ અને ‘કમાન્ડો’ જેવી ફિલ્મોમાં કામ કરીને પોતાની અભિનય ક્ષમતા સાબિત કરી હતી. તેમણે કારકિર્દીમાં ત્રણ વખત રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર શ્રેષ્ઠ અભિનેતાનો એવોર્ડ જીત્યો હતો. આ ઉપરાંત તેમને પદ્મભૂષણથી પણ સન્માનિત કરવામાં આવ્યા હતા.

મિથુનના નામે નોંધાયો આ રેકોર્ડ

મિથુનને શરૂઆતના તબક્કામાં ઇન્ડસ્ટ્રીમાં ઘણું સહન કરવું પડ્યું હતું. પરંતુ આમ છતાં તેમણે ઇન્ડસ્ટ્રીમાં પોતાની ઓળખાણ ‘ડિસ્કો ડાન્સર’ તરીકે આપી હતી. ફિલ્મ ‘ડિસ્કો ડાન્સર’એ મિથુનનું નસીબ બદલી નાખ્યું હતું. આ ફિલ્મથી તેમને નામ અને પ્રસિદ્ધિ તો મળી જ હતી, પરંતુ આ કારણે એક રેકોર્ડ પણ તેમના નામે નોંધાયો હતો. 100 કરોડની કમાણી કરનારી આ ઇન્ડસ્ટ્રીની પહેલી ફિલ્મ હતી. આ સાથે મિથુન પહેલો એવો અભિનેતા બની ગયો જેની ફિલ્મે 100 કરોડની કમાણી કરી હતી. તેણે ઇન્ડસ્ટ્રીમાં લીકથી હટીને કામ કર્યું. પોતાની ફિલ્મો દ્વારા તેમણે લોકોને કરાટે અને ડિસ્કો ડાન્સનો પરિચય કરાવ્યો હતો. આ પછી તેમને લોકોનો ખૂબ પ્રેમ મળ્યો અને લોકો તેમને ભારતીય જેમ્સ બોન્ડ અને બ્રુસ લી કહેવા લાગ્યા હતા.

મારી યાત્રા બેડ પરના ગુલાબ જેવી રહી નથી : મિથુન

મિથુન ચક્રવર્તીએ વર્ષ 2022માં મેન્સ વર્લ્ડ ઈન્ડિયાને પોતાના સંઘર્ષ વિશે જણાવ્યું હતું કે તેમની સફર સરળ ન હતી. તે બેડ પરના ગુલાબ જેવું નથી. તેઓ ખૂબ જ પીડા અને સંઘર્ષ સહન કરીને અહીં પહોંચ્યા છે. સફળતાની ઊંચાઈઓને સ્પર્શવા માટે તે દરરોજ લડતા હતા. તેમણે લોકોને એમ કહેવા માટે પ્રોત્સાહિત કર્યા કે જો તેઓ તે કરી શકે છે, તો દરેક વ્યક્તિ તે કરી શકે છે. મિથુને એકવાર ઝી ટીવી ના શો સા રે ગા મા પા માં કહ્યું હતું કે તે જે પરિસ્થિતિમાંથી પસાર થયો છે તેમાંથી કોઈ બીજા પણ પસાર થાય અને તેનો સામનો કરે. દરેક વ્યક્તિ ખરાબ સમયમાંથી પસાર થાય છે, સંઘર્ષ કરે છે. પરંતુ, તેમને તેના સ્કિન કલરથી બોલાવવામાં આવે છે. આ કારણે તેને ઘણાં વર્ષો સુધી અનાદર સહન કરવો પડ્યો હતો.

આ પણ વાંચો – મિથુન ચક્રવર્તી ને અપાશે દાદા સાહેબ ફાળકે એવોર્ડ, કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે કરી જાહેરાત

આ શું હીરો બનશે?

મિથુન ચક્રવર્તીએ આ વાતચીતમાં વધુમાં કહ્યું હતું કે એક વ્યક્તિ કેટલી લડાઈ લડી શકે? કોઈ મોટી હિરોઈન મારી સાથે કામ કરવા તૈયાર ન હતી. તેઓએ વિચાર્યું કે હું એક નાનો સ્ટાર છું. આ શું હીરો બનશે? બી ગ્રેડ એક્ટર હોવા અંગે મિથુને કહ્યું હતું કે એક સમય એવો પણ હતો જ્યારે ઇન્ડસ્ટ્રીની મોટી-મોટી અભિનેત્રીઓ મારું નામ સાંભળીને ફિલ્મો છોડી દેતી હતી. કારણ કે અન્ય મોટા કલાકારો તેમને ચેતવણી આપતા હતા કે જો તમે તેની સાથે કામ કરશો તો તમે અમારી સાથે કામ નહીં કરી શકો.

મિથુન ચક્રવર્તી ગરીબો માટે પ્રેરણારૂપ બન્યા

આ સાથે મિથુને એકવાર રેડિયો નશાને કહ્યું હતું કે તેને જોઈને લોકોની અપેક્ષાઓ વધી ગઈ છે. તેને લાગતું હતું કે ચાલી કે ગામમાં રહેવા છતાં તેમનો પુત્ર પણ અભિનેતા બની શકે છે. તેઓ સામાન્ય માણસ માટે પ્રેરણાસ્ત્રોત બન્યા અને તેમના હીરો બન્યા. તેમણે આ વાતચીતમાં કહ્યું હતું કે સામાન્ય માણસ માટે સુપરસ્ટાર બનવું ઘણી મોટી વાત છે.

અત્યંત ગરીબીના દિવસો જોયા

મિથુન ચક્રવર્તીનો જન્મ કોલકાતામાં થયો હતો. તેમનું સાચું નામ ગૌરાંગ ચક્રવર્તી હતું. ફિલ્મોમાં આવ્યા બાદ તેમણે પોતાનું નામ બદલ્યું હતું. પહેલી વાર મુંબઈ આવ્યા ત્યારે તેમને સમજાયું નહીં કે ક્યાં જવું અને શું કરવું. તે જમીન પર સૂતા હતા, રસ્તામાં જમતા હતા અને માટુંગા જીમખાનામાં ફક્ત એટલા માટે પ્રવેશ મેળવ્યો કારણ કે તે ત્યાં સ્નાન કરી શકતા હતા. અભિનેતાએ કહ્યું હતું કે આ બધું તેના માટે સરળ ન હતું, પરંતુ તેને કોઈ ફરિયાદ પણ ન હતી.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં જાણો બોલિવૂડ, હોલીવુડ, OTT, સેલેબ્સ અને અન્ય વધુ રસપ્રદ મનોરંજન સમાચાર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ