અભિનેત્રી અને રાજકારણીના કોમ્બિનેશનથી બનેલી દમદાર જોડી પરિણીતી ચોપરા અને રાઘવ ચઢ્ઢાએ દિલ્હી સ્થિત કપૂરથલામાં 13 મેના રોજ સગાઇ કરી હતી. ત્યારે હવે તેમના લગ્નની ચર્ચાએ વેગ પકડ્યો છે. પરિણીતી-રાઘવના પરિવારના સભ્યો તેમના લગ્નની તૈયારીમાં વ્યસ્ત છે. તેવામાં એવા સમાચાર સામે આવ્યાં છે કે, પરિણીતી ચોપરા ડેસ્ટિનેશન વેડિંગ કરવા માંગે છે. દરેક સેલિબ્રિટિની જેમ પરિણીતી પણ રાજસ્થાની એક હોટલમાં શાહી લગ્ન કરશે.
પ્રાપ્ત વિગત અનુસાર, પરિણીતી ચોપરા હાલના દિવસોમાં ઉદયપુરમાં છે. જ્યાં તેનો પરિવાર પણ હાજર છે. પરિણીતી અહીંની હોટલ, પર્યટન સ્થળો અને હેરિટેજ સ્થળો વિશે માહિતી મેળવી રહી છે. રાઘવ ચઢ્ઢા પણ ટૂંક સમયમાં જયપુર પહોંચશે અને તેઓ સાથે મળીને લગ્નનું સ્થળ નક્કી કરશે. પરિણીતી ચોપરા શનિવારે ઉદયપુર પહોંચી હતી. જ્યાં તે હોટેલ લીલા પેલેસમાં રોકાઈ હતી. પરિણીતીનો પરિવાર પણ ઉદયપુરના ઉદયવિલાસ પેલેસમાં રોકાયો છે. પરિણીતીએ તેના પરિવાર સાથે લંચ કર્યું અને પછી તેની હોટેલ ગઈ. એવા સમાચાર છે કે પરિણીતી તેના લગ્ન માટે ઉદયપુર અથવા જયપુરની સુંદર જગ્યા પસંદ કરી શકે છે.
પરિણીતી ચોપરા પ્રવાસન વિભાગના ડેપ્યુટી ડાયરેક્ટર શિખા સક્સેનાને પણ મળી હતી અને નજીકની ખાસ હોટેલો અને પર્યટન સ્થળો વિશે પૂછપરછ કરી હતી. રાઘવ ચઢ્ઢાનો પણ ઉદયપુર પહોંચવાનો પ્લાન હતો, પરંતુ હવે તે પરિણીતીને જયપુરમાં મળશે. રાઘવ પરિણીતી સાથે જયપુરમાં લગ્નના કેટલાક સ્થળો પણ જોશે અને બંને ટૂંક સમયમાં બધું ફાઇનલ કરશે. એવું માનવામાં આવે છે કે પરિણીતી અને રાઘવ ઓક્ટોબરમાં લગ્ન કરી શકે છે. બંનેના પરિવાર લગ્નની તૈયારીઓમાં વ્યસ્ત છે. રોયલ વેડિંગ રાજસ્થાનમાં થશે.
ઉલ્લેખનીય છે કે, આ પહેલા પણ ઘણા બોલિવૂડ સ્ટાર્સ રાજસ્થાનમાં રોયલ વેડિંગ કરી ચુક્યા છે. પરિણીતીની બહેન પ્રિયંકા ચોપરાએ જોધપુરના ઉમેદ ભવન પેલેસમાં નિક જોનાસ સાથે લગ્ન કર્યા હતા. દેશી ગર્લના રોયલ વેડિંગની દેશ-વિદેશમાં ચર્ચા થઈ હતી. હાલમાં જ બોલિવૂડના સુંદર કપલ સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણીએ જેસલમેરના સૂર્યગઢ પેલેસમાં શાહી લગ્ન કર્યા હતા.





