Ahmedabad Traffic : ગુજરાત હાઈકોર્ટે અમદાવાદમાં ટ્રાફિક સમસ્યા અને રખડતા ડોરના ત્રાસ મામલે ટ્રાફિક પોલીસ અને ગુજરાત સરકારને આડે હાથ લીધી. સરકારે બુધવારે ગુજરાત હાઈકોર્ટ સમક્ષ રજૂઆત કરી હતી કે, રાજ્ય સરકાર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ઢોરના ત્રાસને નિયંત્રણમાં રાખવાની નીતિની તપાસ કરી રહી છે કે, શું આ રાજ્યભરમાં લાગુ કરી શકાય છે કે કેમ, આ મામલે સાત દિવસની અંદર ડ્રાફ્ટ પોલિસી રજૂ કરવામાં આવશે.
આ દલીલ ત્યારે આવી જ્યારે જસ્ટિસ એએસ સુપેહિયા અને જસ્ટિસ એમઆર મેંગેડેની ખંડપીઠ રખડતા ઢોર અને ટ્રાફિકને નિયંત્રિત કરવા સંબંધિત 2017ની પીઆઈએલ પર હાઈકોર્ટના નિર્દેશોનું ઈરાદાપૂર્વક અનાદર કરવાનો આક્ષેપ કરતી તિરસ્કારની અરજીની સુનાવણી કરી રહી હતી.
ખંડપીઠે ટ્રાફિકને નિયંત્રિત કરવામાં નિષ્ફળ રહેવા બદલ અમદાવાદ ટ્રાફિક પોલીસની ઝાટકણી કાઢી હતી અને ગુજરાત સ્ટેટ લીગલ સર્વિસ ઓથોરિટી (જીએસએલએસએ)ના સભ્ય-સચિવને શહેરના ચોક્કસ વિસ્તારોનો સર્વે કરીને ગેરકાયદે પાર્કિંગ અને ટ્રાફિક અડચણો અંગેનો અહેવાલ આગામી સુનાવણીની તારીખ 25 જુલાઈ સુધીમાં રજૂ કરવા નિર્દેશ આપ્યો.
સરકારી વકીલ મનીષા લવકુમાર શાહને સંબોધતા, જસ્ટિસ સુપેહિયાએ ટિપ્પણી કરી કે, “આ સામાન્ય લોજિક છે, જેને લાગુ કરવું જોઈએ. આપણે રોડ રસ્તા પર જ્યાં-તયાં ખાણીપીણી, પાન ગલ્લા, ફાસ્ટ ફૂડની દુકાનો જોઈએ છીએ, જ્યાં પણ હોય ત્યાં તમને ટ્રાફિકની સમસ્યા જોવા મળે છે. કારણ કે વાહનો એવી રીતે પાર્ક કરવામાં આવે છે કે ત્યાંથી કોઈ પસાર થઈ શકતું જ નથી. આ પ્રકારનું ગેરકાયદેસર પાર્કિંગ અડધો રોડ કબજે કરી રહ્યું છે. તમે આ ખાણીપીણીની દુકાનો સામે શું પગલાં લો છો? તમે માત્ર એટલું જ જુઓ છો કે, પીક અવર્સ દરમિયાન ટ્રાફિક નિયંત્રિત થાય છે, તમારે 24×7 જોવું પડશે. જેથી ટ્રાફિક સરળતાથી નિયંત્રિત થાય. તમારે કામકાજના કલાકો અને ઓફિસના સમયનું ધ્યાન રાખવું પડશે. ત્યાં, તમારે એ સુનિશ્ચિત કરવું પડશે કે, નો પાર્કિંગ ઝોનમાં પાર્કિંગની મંજૂરી કોઈને ન મળે. બીજી એક બાબત જે અમે નોંધી છે કે, જ્યાં પણ પેટ્રોલ પંપ છે ત્યાં લોકો ખોટી લેનથી આવતા હોય છે. તેઓ ખુલ્લેઆમ કાયદાનો ભંગ કરે છે. તેઓ ગમે ત્યાંથી આવે છે. જેની તમારે કાળજી લેવી પડશે. જ્યાં પણ ડિવાઈડર છે ત્યાં (રહેણાંક) સોસાયટીના લોકો ખોટી ગલીમાંથી આવી રહ્યા છે. તેની કાળજી લેનાર પણ કોઈ નથી.
જ્યારે શાહે જવાબ આપ્યો કે, ટ્રાફિક પોલીસ નિષ્ઠાવાન પ્રયાસો કરી રહી છે, ત્યારે નાગરિકોની પણ જવાબદારી છે કે, જોકે ટ્રાફિકનો સરળ પ્રવાહ સુનિશ્ચિત કરે અને દેશભરમાં આદર્શ પરિસ્થિતિ પ્રાપ્ત કરવી મુશ્કેલ છે, જસ્ટિસ સુપેહિયાએ ટિપ્પણી કરી, “અમે રિપોર્ટ માંગીશું.” અને અમે જોશું કે, આ સિસ્ટમ કેવી રીતે અમલમાં લાવી શકો છો, અમને (તમારા પ્રયત્નો નિષ્ઠાવાન દેખાતા નથી).
કોર્ટે જીએસએલએસએના સભ્ય સચિવને ચાર રસ્તા-સર્કલ, રસ્તાઓની સામે અથવા શોપિંગ સેન્ટરો, રેસ્ટોરાં, પાન ગલ્લા વગેરેની આસપાસ ગેરકાયદે પાર્કિંગ પર સર્વે હાથ ધરવા અને રિપોર્ટ તૈયાર કરવાનો નિર્દેશ આપ્યો છે.
આ પણ વાંચો – અમદાવાદ : ચાર રસ્તા પર પીળા પટ્ટાઓનો શું છે મતલબ? ગુજરાતમાં પ્રથમ પાંજરાપોળ ઈન્ટરસેક્શન પર અમલ, શું ટ્રાફિક દંડ થશે?
કોર્ટે વધુમાં કહ્યું કે, “અત્યાર સુધી… એસજી હાઈવે, સીજી રોડ, જજીસ બંગલો રોડ, નારણપુરા ચાર રસ્તાથી ગુજરાત હાઈકોર્ટ પરિસર સુધીના રસ્તાનો રિપોર્ટ તૈયાર કરો.” “આ રસ્તાઓ પરના અવરોધો, ખાસ કરીને ખાણીપીણી, રેસ્ટોરન્ટ અથવા આ રસ્તાઓને અડીને આવેલા શોપિંગ સેન્ટરો” ને ઓળખી કાઢો અને તસવીરો સાથે રિપોર્ટ રજૂ કરો. સુનાવણીની આગામી તારીખ સુધીમાં રિપોર્ટ સબમિટ કરવામાં આવે.”





