Ambaji Bhadravi Poonam Fair : ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના આરાસુરી મા અંબાના ધામ અંબાજીમાં 23 સપ્ટેમ્બરે શરૂ થયેલો સાત દિવસનો ભાદરવી પૂનમના મેળાની આજે પૂર્ણાહુતી કરવામાં આવી છે. આજે અંતિમ દિવસે મા અંબાના દર્શન માટે લાખો માઈ ભક્તો અંબાજી પહોંચ્યા હતા. અંબાજીમાં આમ તો દર પૂનમે મોટી સંખ્યામાં ભક્તો મા અંબાના દર્શને આવે છે, પરંતુ ભાદરવા મહિનાની પૂનમનું વિશેષ મહત્ત્વ માનવામાં આવે છે. આ વર્ષે લગભગ 40 લાખથી વધુ ભક્તોએ મા અંબાના દર્શનનો લાહ્વો લીધો, અને ભેટ સોગાદ આપી.
સાત દિવસમાં 40 લાખથી વધુ શ્રદ્ધાળુઓએ દર્શન કર્યા
સાત દિવસના ભાદરવી પૂનમના મેળામાં અંબાજી ભક્તિ મય બની ગયું હતું. બોલ મારી અંબે, જય જય અંબેના નાદથી અંબાજી તરફ જતા તમામ રસ્તાઓ ગુંજી ઉઠ્યા હતા. દેશભરમાંથી શ્રદ્ધાળુઓ મા અંબાના દર્શને ઉમટી પડતા અંબાજીમાં માનવ મહેરામણ જોવા મળી રહ્યું હતું. ગઈ કાલે સૌથી વધારે ભક્તોનું ઘોડાપુર લગભગ 8 લાખ લોકોએ દર્શનનો લાભ લીધો, આજે ભાદરવા મહિનાની પૂનમના દર્શનના મહત્ત્વને લઈ મોટી સંખ્યામાં ભક્તો ઉમટ્યા છે, તે જોતા સાત દિવસમાં દર્શનનો લાભ લેનાર ભક્તોની સંખ્યા 45 લાખને પાર કરી જાય તેવો અંદાજ છે.
મા અંબાના દરબારનો ડ્રોનથી અદભૂત નજારો
અંબાજી મંદિર ટ્રસ્ટ – સાત દિવસમાં કેટલી આવક થઈ
ભાદરવી પૂનમના સાત દિવસના મેળામાં મોટી સંખ્યામાં માનવ મહેરામણ ઉમટ્યું, અને મનમૂકિને માના દરબારમાં ભેટ, સોગાદ અને દાન કર્યું. કોઈએ સોનું અર્પણ કર્યું, તો કોઈએ પોતાની પાસે જે હોય તેમાંથી ફૂલ નહીં તો ફૂલની પાંખડી, એમ માની રોકડની ભેટ મુકી, આ સિવાય મંદિર સંસ્થાનને પ્રસાદ, સહિતની કુલ સાત દિવસમાં 5.50 કરોડની 6 દિવસમાં 28 તારીખ સુધીમાં આવક થઈ છે, ત્યારે આજે સાતમા દિવસે પણ મોટી સંખ્યામાં ભક્તો દર્શને આવ્યા છે, તે જોતા આ આંકડો 6 કરોડને પાર કરે તેવો અંદાજ છે.
આ પણ વાંચો – Ambaji Bhadarvi Poonam | અંબાજી ભાદરવી પૂનમ 2023 : ગબ્બર નો ઈતિહાસ અને દંતકથા
આ પણ વાંચો – Ambaji Bhadarvi Poonam 2023| ભાદરવી પૂનમ મેળો 2023 : અંબાજી મંદિરનો ઈતિહાસ અને ગાથા?
ભાદરવી પૂનમના મેળાની પૂર્ણાહુતી
અંબાજી મંદિરના વહિવટદાર કલેક્ટર વરૂણ બરનવાળે મંદિરે ધજા ચઢાવી મેળાની પૂર્ણાહુતી કરી હતી. સવારની મંગળા આરતીમાં લાખોની સંખ્યામાં ભક્તો દર્શન માટે લાઈનમાં લાગી ગયા હતા. પૂર્ણાહુતી બાદ તેમણે મીડિયા સાથેની વાતચીતમાં પૂર્ણાહુતીની જાહેરાત કરતા વહીવટી તંત્રના સ્ટાફ, રાજ્ય સરકાર, પોલીસ ટીમ સહિત તમામ સ્વયં સેવકો અને ભક્તોનો આભાર વ્યક્ત કરી શાંતીથી તમામ આયોજન થયું તેનો સંતોષ વ્યક્ત કર્યો હતો.