/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/06/CM-Bhupendra-Patel-1.jpg)
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે દરિયા કાંઠા વિસ્તારના ગામડાઓમાં સીધો સંપર્ક કર્યો (તસવીર - ભૂપેન્દ્ર પટેલ ટ્વિટર)
Biparjoy Cyclone : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે દરિયાકિનારાના જિલ્લાઓના કેટલાંક ગામોના સરપંચો સાથે સીએમ ડેશ બોર્ડના માધ્યમથી વાતચીત કરી છે. સીએમ ડેશબોર્ડ દ્વારા બિપોરજોય વાવાઝોડાની સંભવિત આપત્તિને પગલે દરિયાકાંઠા વિસ્તારમાં દરિયાથી 0 થી 5 તથા 5 થી 10 કિ.મી. વિસ્તારના 164 ગામોનો સંપર્ક કરવામાં આવ્યો હતો અને સરપંચોને સ્થળાંતર અંગેની તથા વાવાઝોડા સામે સાવચેતીની સમજ આપવામાં આવી હતી.
બુધવારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે દ્વારકા, જામનગર, કચ્છ અને ગીર-સોમનાથ જિલ્લાના ગામોના સરપંચોનો મુખ્યમંત્રીના સી.એમ. ડેશબોર્ડ અને જનસંવાદ કેન્દ્ર મારફતે સંપર્ક કરીને તેમના ગામોની સ્થિતિની માહિતી મેળવી હતી. સરપંચોએ જિલ્લા વહીવટી તંત્ર અને રાજ્ય સરકાર દ્વારા મળી રહેલી મદદ માટે સંતોષની લાગણી વ્યક્ત કરી હતી. મુખ્યમંત્રીએ આ સંભવિત વાવાઝોડાની સ્થિતિમાં દરિયાકાંઠાના ગામોનો સંપર્ક સતત જળવાઈ રહે તે માટેની વ્યવસ્થાઓ અંગે માર્ગદર્શન આપ્યું હતું.
રાજ્યમાં છેલ્લા 20 વર્ષમાં આવેલા ચક્રવાત-વાવાઝોડાના પવનની તીવ્રતા તથા અન્ય અસરો અંગે મેળવવામાં આવેલા ડેટાબેઝના આધારે મુખ્યમંત્રીએ મીટિગેશન માટેના લાંબા ગાળાના ઉપાયો યોજી શકાય તે માટે જરૂરી વ્યવસ્થાઓ અને સર્વેક્ષણનું સૂચન કર્યું હતું.
બિપરજોય વાવાઝોડાની સંભવિત આપત્તિને પગલે સી.એમ ડેશબોર્ડ અને જનસંવાદ કેન્દ્રના માધ્યમથી દરિયાકાંઠા વિસ્તારના ગામોના સરપંચશ્રીઓ સાથે સંપર્ક કરી તેમના ગામોની સ્થિતિની માહિતી મેળવી.
વાવાઝોડાની સ્થિતિમાં દરિયાકાંઠાના ગામોનો સંપર્ક સતત જળવાઈ રહે તે માટેની વ્યવસ્થાઓ અંગે માર્ગદર્શન… pic.twitter.com/ZnqrNsRJUq— Bhupendra Patel (@Bhupendrapbjp) June 14, 2023
47 હજારથી વધુ નાગરિકોનું સુરક્ષિત સ્થળે સ્થળાંતર
રાહત કમિશનર આલોક પાંડેએ આ સમીક્ષા બેઠકની વિગતો આપતાં ઉમેર્યું હતું કે સંભવિત વાવાઝોડાના પરિણામે રાજ્યમાં કોઇપણ પ્રકારની જાનહાનિ ન થાય તે માટે રાજ્ય સરકાર દ્વારા સંપૂર્ણ તકેદારી રાખવામાં આવી રહી છે. રાજ્ય સરકારે સ્થળાંતર પર ખાસ ભાર મુકીને 8 જિલ્લાઓમાં અત્યાર સુધીમાં કુલ 47 હજારથી વધુ લોકોનું સુરક્ષિત સ્થળે સ્થળાંતર કરાવ્યું છે. હજુ પણ સ્થળાંતરની કામગીરી પ્રગતિમાં છે અને બુધવાર સાંજ સુધીમાં આ કામગીરી 100 ટકા પૂર્ણ થવાનો અંદાજ છે.
આ પણ વાંચો - વાવાઝોડાથી અસરગ્રસ્ત વિસ્તારોના લોકો 17 જૂન સુધી કોઈપણ મોબાઈલ નેટર્વકનો ઉપયોગ કરી શકશે
તેમણે વધુ માહિતી આપતા જણાવ્યું કે અત્યાર સુધીમાં જૂનાગઢ જિલ્લામાં 4462, કચ્છમાં 17,739, જામનગરમાં 8542, પોરબંદરમાં 3469, દેવભૂમિ દ્વારકામાં 4863, ગીર સોમનાથમાં 1605, મોરબીમાં 1936 અને રાજકોટમાં 4497 મળી કુલ 47,113 લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us