રીતુ શર્મા | Gujarat Loksabha Election 2024 : ગુજરાત ભાજપમાં અભૂતપૂર્વ મંથન ચાલી રહ્યું છે કારણ કે, પક્ષના લોકસભાના ઉમેદવારોની પસંદગી સામે અસંતોષના અવાજો વિવિધ લોકસભા બેઠકો પર ઉભરી સામે આવી રહ્યા છે. હવે સાબરકાંઠામાં ભાજપના લોકસભા ઉમેદવાર શોભનાબેન બરૈયા પક્ષના કાર્યકરોમાં વધી રહેલા નારાજગીનો ભોગ બન્યા છે.
ગુરુવારે, શોભનાબેન જિલ્લાની બેઠક માટે અરવલીના મોડાસામાં પાર્ટીના કાર્યાલય પર પહોંચતા જ ભાજપના કાર્યકરોએ પાર્ટીના ખેસ ઉતારીને વિરોધ કર્યો હતો. જ્યારે તેણીએ બેઠકમાં હાજરી આપી રહી હતી ત્યારે પણ, સ્થળની બહાર હાજર પક્ષના કાર્યકરોએ ભીખાભાઈ ઠાકોરના સમર્થનમાં સૂત્રોચ્ચાર કર્યા હતા, જેઓ સાબરકાંઠામાંથી ભાજપના પ્રથમ પસંદગી હતા.
તમને જણાવી દઈએ કે, 24 મી માર્ચે, ભીખાભાઈ ઠાકોર અંગત કારણોસર ચૂંટણીની રેસમાંથી ખસી ગયાના એક દિવસ પછી, ભાજપે તેમના સ્થાને શોભનાબેનની નિમણૂક કરી. હવે તમારા મનમાં પ્રશ્ન એ હશે કે, તેમણે જાતે જ ટિકિટ પાછી આપી છે તો કાર્યકરો કેમ નવા ઉમેદવારનો વિરોધ કરી રહ્યા છે, કદાચ આગળ સ્ટોરી વાંચતા તમને જવાબ સમજાઈ શકશે.
વિરોધીઓએ પાર્ટીને શોભનાબેનની ઉમેદવારી રદ કરવા વિનંતી કરી હતી અને ઠાકોરને સાબરકાંઠાના ઉમેદવાર તરીકે પુનઃસ્થાપિત કરવાની માંગ કરી હતી. ચૂંટણીનો બહિષ્કાર કરવાની ધમકી આપતા ઠાકોરના સમર્થકોએ દાવો કર્યો હતો કે, તેઓ ઉમેદવાર હશે તો જ મતદાન કરશે.
ઉલ્લેખનીય છે કે, શોભનાબેન કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહ બરૈયાના પત્ની છે, જેઓ લગભગ એક વર્ષ પહેલા જ ભાજપમાં જોડાયા હતા.
ભાજપ સાબરકાંઠા જિલ્લા પ્રમુખ કનુભાઈ પટેલે જણાવ્યું હતું કે, “શરૂઆતમાં ઉમેદવાર સામે વિરોધ થાય છે, પરંતુ એક શિસ્તબદ્ધ પક્ષ કાર્યકર હોવાથી તે અંતે હાઈકમાનના દરેક નિર્ણયને સમર્થન આપશે, અમે પરિસ્થિતિને શાંતિપૂર્ણ પટાવત કરીશું.” જોકે, તેમણે એ વાતનો ઇનકાર કર્યો હતો કે, પાર્ટી તેમના નામ પર પુનર્વિચાર કરશે.
આ દરમિયાન, ભીખાજી ઠાકોરે કહ્યું કે, પાર્ટીએ શોભનાબેનની સાબરકાંઠા લોકસભા ઉમેદવાર તરીકે પસંદગી કરી, તેની સામે તેમને કોઈ વાંધો નથી.
આ પણ વાંચો – લોકસભા ચૂંટણી 2024 : ભાજપે ગુજરાતના વધુ 6 ઉમેદવારના નામ જાહેર કર્યા, બીજેપીના તમામ 26 ઉમેદવારો થયા ફાઇનલ
તમને જણાવી દઈએ કે, ગયા અઠવાડિયે, વડોદરાના લોકસભા ઉમેદવાર રંજનબન ભટ્ટ સામે વિરોધ કરતા બેનરો સામે આવ્યા બાદ તેઓ પણ ટિકિટ પરત કરી મેદાનમાંથી ખસી ગયા હતા. મંગળવારે, રાજકોટમાં કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી મનસુખ માંડવિયાને “આયાતી ઉમેદવાર” ગણાવતા પોસ્ટરો દેખાયા હતા.